Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ કરાઈ

વિશ્વભરમાં ઇબોલાનો ખૌફ!

૧૦ વર્ષ બાદ યોજાવવાની હતી ખાસ સમિટ : ભારતના નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી લેવાયેલો નિર્ણય

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ મે ૨૦૨૬ — વૈશ્વિક આરોગ્ય સંકટની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય રાજકારણ પર જોવા મળી રહી છે. આફ્રિકા ખંડમાં ઝડપથી ફેલાઈ રહેલા ખતરનાક અને જીવલેણ ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને, ભારતમાં યોજાનારી પ્રતિષ્ઠિત ચોથી ’ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ’ને સત્તાવાર રીતે મોકૂફ રાખવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે આફ્રિકન યુનિયન સાથે સંયુક્ત બેઠક કર્યા બાદ આ મોટો નિર્ણય લીધો છે.

આ સમિટ આગામી ૨૮થી ૩૧ મે દરમિયાન નવી દિલ્હીમાં યોજાવાની હતી, જેમાં આફ્રિકાના ૪૦થી વધુ દેશોના રાષ્ટ્રીય નેતાઓ અને હજારો ડેલિગેટ્‌સ ભાગ લેવાના હતા. પરંતુ ભારતના નાગરિકોની સુરક્ષા અને પબ્લિક હેલ્થને ટોપ પ્રાયોરિટી આપીને આ નિર્ણય લેવાયો છે.

આ સમિટ ભારત અને આફ્રિકાના સંબંધો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે તે ૧૦ વર્ષના લાંબા ગાળા પછી યોજાવા જઈ રહી હતી. આની પહેલા ૨૦૦૮, ૨૦૧૧ અને છેલ્લે ૨૦૧૫માં ત્રીજી સમિટ યોજાઈ હતી, જેમાં પીએમ મોદીએ ખાસ મુલાકાત પણ કરી હતી. આ વર્ષે આફ્રિકન યુનિયન કમિશનના સહયોગથી દિલ્હીમાં ભારત-આફ્રિકા પાર્ટનરશિપનો નવો રોડમેપ તૈયાર થવાનો હતો, જે હવે પાછળ ઠેલાયો છે.

આફ્રિકામાં ઇબોલાના આઉટબ્રેકને પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતના તમામ બંદરો, ઍરપૉર્ટ્‌સ અને એન્ટ્રી પોઇન્ટ્‌સ પર કડક હેલ્થ એડવાઇઝરી જાહેર કરી છે. ખાસ કરીને આફ્રિકાના ૩ દેશોને ’હાઇ રિસ્ક’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છેઃ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન.

સરકારની નવી એડવાઇઝરી મુજબ, જો કોઈ પણ મુસાફર આ ૩ દેશોમાંથી સીધો ભારત આવી રહ્યો હોય અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ કરીને ભારત પહોંચી રહ્યો હોય, તો તેણે ઇમિગ્રેશન ચેક-ઇન કાઉન્ટર પર જતાં પહેલાં જ ઍરપૉર્ટ હેલ્થ ઑફિસર અથવા હેલ્થ ડેસ્કને રિપોર્ટ કરવો પડશે. સમિટ ભલે સ્થગિત થઈ હોય, પણ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત આ મુશ્કેલ સમયમાં આફ્રિકાની પ્રજા અને ત્યાંની સરકારો સાથે મજબૂતીથી ઊભું છે. આફ્રિકા સીડીસી દ્વારા વાયરસને કાબૂમાં લેવા માટે જે પણ પ્રયાસો થઈ રહ્યા છે, તેમાં ભારત તબીબી અને આર્થિક મદદ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.

Related posts

દેશમાં એલજીપી સિલિન્ડરની અછત નથી : પેટ્રોલિયમ મંત્રી

Master Admin

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યુંઃ અમેરિકા પાસેથી ઓઈલની ખરીદી કરવી એ ભારતના રણનીતિક હિતમાં છે

Master Admin

દેશની સરહદો અત્યંત સુરક્ષિત છે : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

Master Admin

Leave a Comment

Translate »