Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

દેશમાં હવે ભીષણ ગરમી પડશે, સુપર અલ-નિનોને કારણે એલર્ટ

૨૦૨૬માં તાપમાન તમામ રેકોર્ડ તોડશે

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ મે ૨૦૨૬ — વિશ્વભરમાં તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતના અનેક વિસ્તારોમાં આ વર્ષે એપ્રિલમાં જ તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. જોકે, મે મહિનાની શરૂઆતથી દેશના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે, પરંતુ ૯ મે પછી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના તાજેતરના અહેવાલોએ મોટી ચેતવણી આપી છે. ઠંડા પવનોને બદલે હવે ‘સુપર અલ-નીનો’નો ખતરો મંડરાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વર્ષ ૨૦૨૬ના મધ્યમાં આ કુદરતી ઘટનાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. આ ફેરફાર માત્ર થોડા દિવસોની ગરમી પૂરતો મર્યાદિત નથી, પરંતુ આગામી ચોમાસા અને ખેતી માટે પણ જોખમની નિશાની છે.ભારતીય હવામાન વિભાગે મે ૨૦૨૬ના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે દેશના કેટલાક ભાગોમાં વરસાદને કારણે તાપમાન સામાન્યથી ઓછું રહી શકે છે, પરંતુ અનેક રાજ્યોમાં ભીષણ હીટવેવનો ખતરો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં રાત્રિના તાપમાનમાં પણ વધારો થશે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે મેથી જુલાઈ ૨૦૨૬ વચ્ચે અલ-નિનો પૂર્ણપણે સક્રિય થવાની ૬૧ ટકા શક્યતા છે. નિષ્ણાતોના મતે, આ ફેરફાર એટલી ઝડપથી આવશે કે માણસને સંભાળવાની તક પણ નહીં મળે.અલ-નીનો એક કુદરતી ઘટના છે. જ્યારે પેસિફિક મહાસાગરનું પાણી ગરમ થાય છે, ત્યારે તેને અલ-નિનો કહેવામાં આવે છે. પરંતુ જ્યારે સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે (આશરે ૨ ડિગ્રી સેલ્સિયસથી વધુ) વધી જાય, ત્યારે તેને ‘સુપર અલ-નિનો’ કહેવાય છે. એક રિપોર્ટ અનુસાર, ૨૦૨૬માં જોવા મળનારો અલ-નિનો છેલ્લા ૧૪૦ વર્ષમાં સૌથી શક્તિશાળી હોઈ શકે છે. આ કુદરતી ઘટનાથી વાતાવરણમાં ભારે ગરમી પેદા થાય છે અને વરસાદની પેટર્ન બદલાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો અલ-નિનો સક્રિય થાય તો ભારતમાં ચોમાસું નબળું પડવાની શક્યતા વધી જાય છે, જે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જી શકે છે. ૯ મે પછી સૂર્યના તાપનો પ્રકોપ વધવાની સાથે અલ-નિનોની સક્રિયતાથી તાપમાનમાં અચાનક ઉછાળો આવી શકે છે.

Related posts

પેટ્રોલમાં લીટરે રૂ.૧૪, ડીઝલમાં રૂ.૧૮ની ખોટ

Master Admin

ભારતની સિલિકોન વેલી બેંગ્લુરુનું પાણી પીવાલાયક રહ્યું નથી

Master Admin

ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ

Master Admin

Leave a Comment

Translate »