જીત બાદ કેપ્ટન સૂર્યાનો મોટો ખુલાસો
ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બોલિંગ કરવાનો જે નિર્ણય લીધો તે તેમના પર જ ભારે પડ્યો હતો : સૂર્યકુમાર યાદવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલંબો, તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬: કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલા હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને ૬૧ રને કારમી હાર આપી છે. આ જીત બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાની એક મોટી ભૂલ વિશે ખુલાસો કર્યો છે, જે ભારત માટે ‘ગેમચેન્જર’ સાબિત થઈ હતી.ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના સૌથી મોટા જંગમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. મેચ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, ટોસ જીતીને પાકિસ્તાને પહેલા બોલિંગ કરવાનો જે નિર્ણય લીધો તે તેમના પર જ ભારે પડ્યો હતો. સૂર્યાના મતે, આ પીચ પર પહેલા બેટિંગ કરવી વધુ સારો વિકલ્પ હતો અને પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા અહીં જ થાપ ખાઈ ગયા.ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું, “અમે અમારી બ્રાન્ડની ક્રિકેટ રમી. જ્યારે અમારો સ્કોર ૦/૧ થયો, ત્યારે કોઈએ જવાબદારી લેવાની જરૂર હતી અને ઈશાન કિશને તે બખૂબી નિભાવી. આ વિકેટ પર પહેલા બેટિંગ કરવી સરળ નહોતી, કારણ કે લાઈટ્સમાં પીચ કેવું વર્તન કરશે અને ઝાકળ આવશે કે નહીં તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો. પણ ઈશાનની ઈનિંગ અને અમારા બોલરોના સામૂહિક પ્રદર્શને કામ સરળ કરી દીધું.”પ્લેયર ઓફ ધ મેચ બનેલા ઈશાન કિશને પોતાની રણનીતિ વિશે જણાવ્યું કે, “શરૂઆતમાં વિકેટ મુશ્કેલ હતી, પણ મારે મારી તાકાત પર ભરોસો હતો. મારા મગજમાં ૧૬૦-૧૭૦ રનનો લક્ષ્યાંક હતો. મેં ઓફ-સાઈડ પર ઘણી મહેનત કરી છે અને પાકિસ્તાન સામેની આ જીતથી અમારો આત્મવિશ્વાસ વધશે.”બીજી તરફ, હાર બાદ પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ કબૂલ્યું કે તેમની વ્યૂહરચના ફેલ રહી હતી. સલમાને કહ્યું કે અમારા સ્પિનરો માટે આજનો દિવસ સારો રહ્યો નથી. પાવરપ્લેમાં વધુ વિકેટ ગુમાવવી અમને ભારે પડી. પહેલી ઇનિંગમાં પીચ ધીમી હતી અને બોલ રોકાઈને આવતો હતો, જેનો ભારતીય બેટ્સમેનોએ સારો સામનો કર્યો.ભારતે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન સામે ૧૭૬ રનનો પડકારજનક લક્ષ્યાંક મૂક્યો હતો. તેના જવાબમાં પાકિસ્તાની બેટ્સમેનો ભારતીય બોલરો સામે ઘૂંટણિયે પડી ગયા હતા અને સમગ્ર ટીમ માત્ર ૧૧૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામેનો રેકોર્ડ હવે ૮-૧ થઈ ગયો છે.

