હત્યા કરી છાણના ઢગલામાં મૃતદેહ સંતાડ્યો
રોષે ભરાયેલા લોકોએ મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પુણે, તા.૨ મે ૨૦૨૬ — મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં વેકેશન માણવા પોતાની નાનીના ઘરે આવેલી ચાર વર્ષની માસૂમ બાળકી પર એક ૬૫ વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની પથ્થરથી કચડીને હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને તણાવની સ્થિતિ સર્જાી છે.બાળકી ઉનાળાના વેકેશનમાં પોતાની નાનીના ઘરે આવી હતી. શનિવારે તે ઘરની બહાર રમી રહી હતી ત્યારે આરોપી ભીમરાવ કાંબલે (૬૫ વર્ષ) તેને ફોસલાવીને પોતાના ઘરની સામે આવેલા પશુઓના તબેલામાં લઈ ગયો હતો. આરોપ છે કે ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ પથ્થરથી કચડીને તેની હત્યા કરી નાખી. પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ બાળકીના મૃતદેહને તબેલામાં રહેલા છાણના ઢગલા નીચે છુપાવી દીધો હતો.જ્યારે બાળકી લાંબા સમય સુધી ઘરે ન પરતી ત્યારે પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તબેલામાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા, જેમાં આરોપી બાળકીને તબેલા તરફ લઈ જતો જોવા મળ્યો હતો. આ પુરાવાના આધારે પોલીસે ભીમરાવ કાંબલેને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.આ ઘટના બાદ સેંકડો ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આરોપીને કડક સજાની માંગણી કરી હતી. રોષે ભરાયેલા લોકોએ મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. સ્થિતિ વણસતા મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક સંદીપસિંહ ગિલે લોકોને ખાતરી આપી છે કે આ મામલે ૧૫ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે.

