Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પુતિને યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો

ઝેલેન્સ્કી ઇમાનદાર ન લાગ્યા : પુતિન

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના બેઠકના પ્રસ્તાવને નકારી કાઢ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
મોસ્કો, તા.૬ જૂન ૨૦૨૬ — રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી દ્વારા આપવામાં આવેલા સીધી મુલાકાતના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. પોતાના વતન સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ દરમિયાન પુતિને જણાવ્યું કે હાલનું વાતાવરણ બંને દેશોના નેતાઓ વચ્ચે અર્થપૂર્ણ બેઠક માટે અનુકૂળ નથી.

ઝેલેન્સકીના ખુલ્લા પત્રનો ઉલ્લેખ કરતાં પુતિને પ્રશ્ન કર્યો કે શું આ પ્રકારની પહેલ ખરેખર વ્યક્તિગત મુલાકાત અને વાતચીત માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ છે કે પછી એવું વાતાવરણ સર્જવાનો પ્રયાસ છે જે કોઈપણ પ્રકારની સીધી મુલાકાતને અશક્ય બનાવી દે. તેમણે કહ્યું કે તેમની દૃષ્ટિએ બીજી શક્યતા વધુ યોગ્ય લાગે છે. પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હાલમાં આવી બેઠકમાં તેમને કોઈ અર્થ કે ફાયદો દેખાતો નથી.

રશિયાના રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે તેમનો દેશ હજુ પણ શાંતિપૂર્ણ સમાધાન માટે તૈયાર છે. તેમના જણાવ્યા અનુસાર મોસ્કો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા શાંતિ પ્રસ્તાવના આધારે યુક્રેન સાથે કરાર કરવા ઇચ્છુક છે, પરંતુ તે માટે કિવને કેટલાક સમાધાનો સ્વીકારવા પડશે. પુતિને દાવો કર્યો કે રશિયન સૈન્ય યુદ્ધના મેદાનમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યું છે અને દેશ પોતાના વ્યૂહાત્મક લક્ષ્યો હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

પુતિને કહ્યું કે યુક્રેન તરફથી વધતા ડ્રોન હુમલાઓને ધ્યાનમાં રાખીને રશિયા પોતાની હવાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી રહ્યું છે. તેમણે રશિયન જનતાની દેશભક્તિ અને મજબૂત ઇચ્છાશક્તિ પર વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ જ શક્તિ દેશને તેના લક્ષ્યો સુધી પહોંચાડશે.

બીજી તરફ, ઝેલેન્સકીએ સંપૂર્ણ યુદ્ધવિરામ અને સીધી વાટાઘાટોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પોતાના પત્રમાં તેમણે લખ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે સીધી વાતચીત દ્વારા જ આ યુદ્ધનો અંત લાવી શકાય છે. તેમણે પુતિનને વ્યક્તિગત બેઠક માટે આમંત્રણ આપતાં જણાવ્યું કે બંને દેશોના નેતાઓ વચ્ચે ખુલ્લો સંવાદ શાંતિ સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે પણ આ પત્ર મળ્યાની પુષ્ટિ કરી છે.

પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન પુતિને ગયા વર્ષે અલાસ્કાના એન્કોરેજ શહેરમાં ટ્રમ્પ સાથે થયેલી શિખર બેઠકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે રશિયા તે ચર્ચાઓના આધારે શાંતિ કરાર કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે તે બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમાધાનની શક્યતાઓ અંગે ચર્ચા થઈ હતી અને જો યુક્રેન પણ આ શરતો સ્વીકારી લે તો બંને દેશો વચ્ચેનો સંઘર્ષ ઝડપથી સમાપ્ત થઈ શકે છે. આ નિવેદનો બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધના ભવિષ્ય અંગે ચર્ચાઓ તેજ બની છે. નિષ્ણાતોનું માનવું છે કે બંને દેશો વચ્ચે સીધી વાટાઘાટો અને પરસ્પર સમાધાનનો માર્ગ અપનાવવામાં આવે તો લાંબા સમયથી ચાલી રહેલા આ સંઘર્ષનો શાંતિપૂર્ણ અંત આવી શકે છે.

Related posts

ભારતે રશિયન ઓઈલ નહીં ખરીદવા, $૫૦૦ અબજનું રોકાણનું વચન આપ્યું છેઃ અમેરિકા

Master Admin

રશિયાએ યુક્રેન પર ૨૦૨૬નો સૌથી મોટો હુમલો કર્યો, ૧૫ લોકોના મોત

Master Admin

ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના ભીષણ હુમલા

Master Admin

Leave a Comment

Translate »