તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર
ઓ. પન્નીરસેલ્વમ શુક્રવારે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની હાજરીમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) માં સામેલ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નાઈ, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ – તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકારણમાં સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા ઓ. પન્નીરસેલ્વમ (OPS) સત્તાધારી પક્ષ DMKમાં સામેલ થઈ ગયા છે. આ ઘટનાક્રમ AIADMK અને ભાજપ બંને માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
તમિલનાડુની ૨૩૪ બેઠકોની વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજ્યનું રાજકીય સમીકરણ બદલાઈ ગયું છે. જયલલિતાના સૌથી વફાદાર ગણાતા અને ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા ઓ. પન્નીરસેલ્વમ શુક્રવારે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની હાજરીમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) માં સામેલ થયા છે. છેલ્લા ત્રણ વર્ષથી પોતાના મૂળ સંગઠન AIADMKમાં પાછા ફરવાના નિષ્ફળ પ્રયાસો બાદ આખરે તેમણે આ મોટો નિર્ણય લીધો છે.
જયલલિતાના નિધન બાદ AIADMKમાં આંતરિક કલહ સતત વધતો રહ્યો હતો. પન્નીરસેલ્વમ અને એડપ્પડી કે. પલાનીસ્વામી વચ્ચેના તણાવને કારણે સંગઠનમાં ભાગલા પડ્યા હતા અને ૨૦૨૨ માં પન્નીરસેલ્વમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેમણે પક્ષના નિયમોમાં કરવામાં આવેલા સુધારા અને પલાનીસ્વામીની કાર્યશૈલીની આકરી ટીકા કરી હતી.
ડ્ઢસ્દ્ભમાં જોડાયાના થોડા દિવસો પહેલા જ પન્નીરસેલ્વમે ભાવુક થઈને કહ્યું હતું કે જો તેમની કોઈ ભૂલ સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે. તેમણે ૪૬ વર્ષ સુધી પક્ષ માટે આપેલા યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમને પક્ષનો ઝંડો અને ધોતી પહેરતા રોકવામાં આવ્યા, જે અપમાન તેમણે ધીરજપૂર્વક સહન કર્યું હતું.
એક તરફ શશિકલાએ નવી દ્રવિડિયન પાર્ટી બનાવવાનો નિર્ણય લીધો છે, ત્યારે બીજી તરફ પન્નીરસેલ્વમનું DMKમાં જવું એ વિપક્ષી છાવણી માટે મુશ્કેલી વધારી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ઓપીએસના આ નિર્ણયની અસર આવનારી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કેવી પડે છે.

