પંજાબે હૈદરાબાદને હરાવ્યું
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં પંજાબે ૧૮.૫ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચંદીગઢ, તા.૧૧ એપ્રિલ ૨૦૨૬ — IPL 2026ની ૧૭મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. હાઈ સ્કોરીંગ મેચમાં પંજાબ કિંગ્સે બાજી મારી લીધી છે. મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબને જીતવા માટે ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પંજાબે ૧૮.૫ ઓવરમાં ટાર્ગેટ ચેજ કરી લીધો હતો. પંજાબ કિંગ્સ માટે કેપ્ટન શ્રેયસ અય્યરે ૫ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૩૩ બોલ પર અણનમ ૬૯ રન બનાવ્યાં, જ્યારે પ્રિયાંશ અને પ્રભરમસિને પણ તોફાની ફિફ્ટી ફટકારી પંજાબની જીતમાં મોટી ભૂમિકા ભજવી.
રનચેઝમાં પંજાબ કિંગ્સની શરૂઆત ધમાકેદાર રહી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ વચ્ચે પહેલી વિકેટ માટે ૩૮ બોલમાં ૯૯ રનની પાર્ટનરશીપ થઈ. આ પાર્ટનરશીપ દરમિયાન પ્રિયાંશે માત્ર ૧૬ બોલ પર જ ફિફ્ટી પૂરી કરી લીધી હતી. સ્પિનર શિવાંગ કુમારે પ્રિયાંશને આઉટ કરીને આ પાર્ટનરશીપને તોડી હતી. પ્રિયાંશે ૨૦ બોલમાં ૫૭ રન બનાવ્યા, જેમાં પાંચ છગ્ગા અને પાંચ ચોગ્ગા સામેલ હતા.
શિવાંગ કુમારે ત્યારબાદ પ્રભસિમરન સિંહને પણ પોતાની ફિરકીમાં ફસાવ્યો, જે અડધી સદી પૂરી કરી ચૂક્યો હતો. પ્રભસિમરને ૪ છગ્ગા અને ૪ ચોગ્ગાની મદદથી ૨૫ બોલમાં ૫૧ રન બનાવ્યા. શિવાંગ કુમારે પછી કૂપર કોનોલીને (૧૧ રન) પણ પેવેલિયન મોકલી દીધો હતો. અહીંથી કેપ્ટન શ્રેયસ અય્યર અને નેહાલ વઢેરાએ મળીને ચોથી વિકેટ માટે ૬૯ રનની પાર્ટનરશીપ કરી હતી, જેણે મેચને પંજાબ કિંગ્સની તરફ સંપૂર્ણપણે ઝુકાવી દીધી.
સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ૬ વિકેટે ૨૧૯ રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત અત્યંત તોફાની રહી. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ વચ્ચે ૪૯ બોલમાં ૧૨૦ રનની પાર્ટનરશીપ થઈ. અભિષેકે ૫ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી માત્ર ૧૮ બોલમાં જ ફિફ્ટી ઠોકી દીધી. આ ભાગીદારીને શશાંક સિંહે તોડી, જેણે હેડની વિકેટ લીધી. હેડે ૫ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૨૩ બોલમાં ૩૮ રન બનાવ્યા. શશાંક સિંહે ૯મી ઓવરમાં અભિષેક શર્માને પણ આઉટ કર્યો હતો.
અભિષેક શર્માએ ૨૮ બોલમાં ૭૪ રન બનાવ્યા, જેમાં ૮ છગ્ગા અને ૫ ચોગ્ગા સામેલ હતા. ત્યારબાદ હેનરિક ક્લાસેન અને કેપ્ટન ઈશાન કિશન વચ્ચે ત્રીજી વિકેટ માટે ૪૭ રનની ભાગીદારી થઈ. ઈશાન ૨૯ રનના વ્યક્તિગત સ્કોરે અર્શદીપ સિંહનો શિકાર બન્યો.
અનિકેત વર્મા કંઈ ખાસ કરી શક્યો નહીં અને ૧૮ રન બનાવીને રન આઉટ થયો. સલિલ અરોડાએ પણ નિરાશ કર્યા અને ૯ રન બનાવીને અર્શદીપ સિંહનો શિકાર બન્યો. હેનરિક ક્લાસેને પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી. ક્લાસેનને છેલ્લી ઓવરમાં જેવિયર બાર્ટલેટે આઉટ કર્યો. ક્લાસેને ૧ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૩૩ બોલમાં ૩૯ રન બનાવ્યા. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ અને શશાંક સિંહે બે-બે વિકેટ ઝડપી હતી.

