Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

રામકથા સપ્તપદી છે

 

સત્ય,પ્રેમ અને કરુણા સાથે આપણા લગ્ન થઈ જાય એવાં ફેરા ફરવાના છે.

સાહસ સહસા નહીં પણ ખૂબ તપ કર્યા પછી કરવું.

ઇસાઇ ધર્મગુરુ પોપ ફ્રાન્સીસનાં નિર્વાણને વ્યાસપીઠ તરફથી શ્રદ્ધાંજલિ અપાઇ.

બુદ્ધપુરુષનું પોતાનું વેકઅપ હોય છે.

 

ચશ્મે-શાહી શ્રીનગરનાં દલ સરોવર પાસે ચાલી રહેલી રામકથાનો સંવાદ ચોથા દિવસે બુધ્ધપુરૂષ-સાધુપુરૂષની નખશીખ આંતર બાહ્ય સુંદરતાને સહન ન કરી શકનારા લોકો કેવું-કેવું કરતા હોય એ રજૂ કરતી ગઝલ અને ફિલ્મી પંક્તિઓથી ભર્યો-ભર્યો રહ્યો.

અહીં આવેલા કથાપ્રેમી ગુજરાતી શ્રોતાઓ શ્રીનગરમાં જ્યાં-જ્યાં ગયા ત્યાંના લોકોનો જોઈને શ્રીનગરની પ્રજા શારીરિક રૂપમાં જ નહીં પણ અંદરથી પણ કેટલી સુંદર છે એની વાતો કરી.

બાપુએ અહીંના રાજ્યપાલ,મુખ્યમંત્રી અબ્દુલાજી તેમજ સૈનિકો,આર્મીમેન,સુરક્ષા કર્મીઓ,આયોજકો સીમા સુરક્ષા દળ,કાશ્મીરી પોલીસ બધા જ અધિકારીઓ-આ તમામનો સહયોગ,સુવિધા,

સદભાવ પ્રાપ્ત થાય છે એના તરફ પોતાનો આદર અને રાજીપો વ્યક્ત કર્યો

રામકથા સપ્તપદી છે એમ જણાવતા કહ્યું કે સત્ય પ્રેમ અને કરુણા સાથે આપણા લગ્ન થઈ જાય એવા ફેરા ફરવાના છે.મનોરથી અરૂણભાઇ શ્રોફ પરિવારને સાથે લઈને કહ્યું કે અહીં મહોબ્બત,ભાઈચારો લઈને બધાને એક અને નેક કરવા માટે આવ્યા છીએ. મહાભારત કાર દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય કયું છે એ યક્ષ પ્રશ્નના જવાબમાં જણાવે છે કે જીવ ઉપર મૃત્યુ લટકી રહ્યું છે તો પણ સંસારના રંગોમાં રંગાઈ જાય છે-આ પરમ આશ્ચર્ય છે.

બુદ્ધપુરુષ નખશિખ સુંદર છે એનો જ ઘણાને વાંધો છે.બધાને છળ,પાખંડ અને કપટ આ ત્રણ શબ્દો ખૂબ પજવે છે.બુદ્ધનાં કાળમાં પણ બુદ્ધ સાથે ખૂબ નજીકના લોકોને પણ તકલીફ હતી.

સાધુ સાહસ કરે છે પણ સાહસનું ઊલટું સહસા કરતો નથી.એટલે કે ખૂબ સાધના કરે છે.સાહસ સહસા નહીં પણ ખૂબ તપ કર્યા પછી કરવું.

ઇસાઇ ધર્મગુરુ પોપ ફ્રાન્સીસના નિર્વાણને શ્રદ્ધાંજલિ આપીને એની સાથે સંકળાયેલો એક સુંદર કિસ્સો પણ બાપુએ વર્ણવ્યો.જણાવ્યું કે પોપ ફ્રાંસીસ કહેતા કે ભય,પ્રલોભન અને ચમત્કારથી ધર્મનો પ્રચાર ક્યારેય ન કરશો.

જેનાં પરિઘ પર ચક્ર ફરો છો એ કેન્દ્રને ન ભૂલશો.કેન્દ્રમાં કોઈ વ્યક્તિ નહીં પણ પોથી છે.બુદ્ધપુરુષને લોકો પોતાની રીતે મેકઅપ કરે છે પણ બુદ્ધપુરુષનું પોતાનું વેકઅપ હોય છે.

સમર્થ સ્વામી રામદાસ કહે છે કે કથા ગણપતિની,કાર્તિકેયની,શંકરની, ભાસ્કર-સૂર્યની.પણ રાઘવની કથા એ તો રાઘવની કથા છે.

રામચરિત માનસમાં ૧૮ વખત શ્રી શબ્દ કઈ-કઈ પંક્તિમાં આવ્યો એ પંક્તિઓને ખોલી બતાવી. પરિવારમાં દીકરી ન હોય તો પરિવાર અપૂર્ણ ગણાય છે એમ દીકરો ન હોય તો પણ પરિવાર અધુરો ગણાય છે.દશરથને શાંતા નામની દીકરી હતી પણ દીકરાઓ ન હતા અને જનકને પુત્રી ન હતી.એથી જ શ્રીનો ખુબ મહિમા શાસ્ત્રોમાં ગાયેલો છે.

જનકના જીવનમાં ગ્લાની થઈ કે પુત્રી નથી.જનકની માનસ પુત્રી શ્રી એટલે કે સીતાજી છે.જાણીતી કથા છે કે જનકપુરમાં દુકાળ પડ્યો.યજ્ઞ માટે ભૂમિ શોધન ની પ્રક્રિયા કરવા માટે હળ ચલાવવામાં આવ્યું.અને હળની દાંડી જેને સીત કહેવામાં આવે છે એ ભૂમિની અંદર ટકરાયું.જોયું તો એક કળશ હતો અને એ કળશમાં માસુમ બાલિકા હતી જે શ્રી-જાનકી- જગદંબા રૂપે પ્રગટ થઈ.એથી જ શ્રી નથી તો કંઈ નથી.

એ પછી શતાનંદજીએ સીતનાં કારણે પ્રાપ્ત થઈ હતી એનું સિતા એવું નામકરણ કર્યું.સિતાનો એક અર્થ ખેતરમાં રહેલા ચાસ પણ થાય છે.

કથા પ્રવાહમાં શિવની સમાધિ છૂટી અને દક્ષ પ્રજાપતિની ઘટના શરૂ થઈ અને બાપુએ ગુજરાતી ગરબાઓનું ગાયન ઉપાડ્યું.વધુ એક વખત એ ગાયનના રંગમાં વ્યાસપીઠ ઉપરથી ઉતરીને આખો કથા મંડપ અને બાપુ દુહા છંદની રમઝટ વચ્ચે રાસથી ઝૂમ્યા અને એ રીતે આજની કથાને વિરામ અપાયો

Related posts

Morari Bapu hails Sunita Williams, expresses hope she will visit Gujarat soon

Reporter1

તલગાજરડા ખાતે રામવાડીમાં નરસિંહ મહેતા એવૉર્ડ સમારંભ યોજાયો  

Reporter1

ડિજિટલ યુગમાં ગુમ વ્યક્તિની અફવાઓઃ ભય, તથ્યો, કાયદો અને લોકશાહી માટે ખતરો

Master Admin
Translate »