જવાબ મળ્યો- દેશના દુશ્મન
રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બીટ્ટુ વચ્ચે જે શાબ્દિક ટપાટપી થઈ તેનો વીડિયો પણ વાયરલ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૬: સંસદમાં આજે પણ હંગામાનું વાતાવરણ જોવા મળ્યું. જો કે બજેટ સત્ર દરમિયાન આજે કઈક એવું જોવા મળ્યું જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રીને ગદ્દાર દોસ્ત કહી દીધુ તો તરત જ જવાબ મળ્યો દેશના દુશ્મન. વાત જાણે એમ હતી કે સંસદના મકર દ્વાર પર કોંગ્રેસના સાંસદો હાથમાં બેનર લઈને દેખાવ કરી રહ્યા હતા. અચાનક ત્યાંથી કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ પસાર થયા તો રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી તરફ ઈશારો કરીને ટિપ્પણી કરી. તેમણે હાથ મિલાવવાની રજૂઆત કરતા કહ્યું કે નમસ્કાર ભાઈ, મારા ગદ્દાર દોસ્ત, ચિંતા ન કર, તમે પાછા કોંગ્રેસમાં આવી જશો. રાહુલ ગાંધીની આ ટિપ્પણી બાદ માહોલ ગરમાઈ ગયો.
રાહુલ ગાંધીએ જે ગદ્દાર મિત્રવાળી ટિપ્પણી કરી તેનો તરત જ તેમને રવનીતસિંહ બિટ્ટુએ જવાબ આપ્યો. રાહુલ ગાંધી જ્યારે હાથ મિલાવવા માટે આવ્યા તો હાથ મિલાવવાની ના પાડી દીધી અને પલટવાર કરીને કહ્યું કે દેશના દુશ્મન….આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજકીય માહોલ ગરમાયો છે.
રવનીતસિંહ બીટ્ટુ ત્રણવાર કોંગ્રેસમાંથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ પહેલીવાર ૨૦૦૯માં આનંદપુર સાહિબ લોકસભામાંથી ચૂંટાયા હતા. ત્યારબાદ ૨૦૧૪ અને ૨૦૧૯માં લુધિયાણાથી જીત્યા હતા. ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથી અવાજના પ્રખર વિરોધી ગણાતા બિટ્ટુ ૨૦૨૪માં થયેલી લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા. જો કે ચૂંટણીમાં તેઓ લુધિયાણાથી પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગથી લગભગ ૨૦ હજાર મતથી હારી ગયા. ચૂંટણી હારવા છતાં કેન્દ્ર સરકારમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા. રેલ તથા ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્ય મંત્રીની જવાબદારી સોંપાઈ.
બીટ્ટુના પરિવારની વાત કરીએ તો તેઓ માત્ર ૧૧ વર્ષના હતા અને પિતાનું નિધન થયું હતું. ત્યારબાદ ૨૦ વર્ષની ઉંમરમાં તેમણે દાદા અને પંજાબ ના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહને પણ ગુમાવ્યા. જેમની ૩૧ ઓગસ્ટ ૧૯૯૫ના રોજ ચંડીગઢમાં ખાલિસ્તાન સમર્થક આતંકીઓએ હત્યા કરી હતી. ૨૦૦૭માં રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ તેમણે રાજકારણમાં ડગ માંડ્યા હતા.

