એરલાઈન્સ અને પરિવહન ક્ષેત્રને રાહત
સરકારે ATFની કિંમતો સ્થિર રાખવા માટે રૂ.૧૦,૦૦૦ કરોડના પ્રાઈઝ સ્ટેબલાઈઝેશન ફંડના પ્રસ્તાવને મંજૂરી આપી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩ જૂન ૨૦૨૬ — કેન્દ્રીય કેબિનેટે આજે મોટો નિર્ણય લઈને માળખાગત સુવિધાનો વિકાસ કરવા અને નીતિગત પ્રસ્તાવો હેઠળ રૂ.૩૯,૨૯૦ કરોડના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધી છે. આ પ્રોજેક્ટોમાં હાઈવે-શહેરો રસ્તાઓ તેમજ એવિએશન સેક્ટરના પ્રોજેક્ટો સામેલ છે.
હાલ મધ્ય-પૂર્વના કારણે ઉભા થયેલા સંકટની અસર ભારતી એવિએશન સેક્ટરમાં પણ પડી છે. ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ જતા એવિએશન સેક્ટરો મોંઘાભાવે ATF (એવિએશન ટરબાઈન ફ્યૂલ) ખરીદવા મજબૂર બની ગયા છે, ત્યારે સરકારે ATFની કિંમતો સ્થિર રાખવા માટે રૂ.૧૦,૦૦૦ કરોડના પ્રાઈઝ સ્ટેબલાઈઝેશન ફંડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ઉપરાંત દિલ્હીમાંથી જૂના ટ્રકો-બસો તબક્કાવાર હટાવીને નવા ખરીદવા માટે રૂ.૫૦૪૧ કરોડની યોજનાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠકમાં રામેશ્વર, કોણાર્ક અને પારાદીપને જોડતા ‘કોસ્ટલ હાઈવે પ્રોજેક્ટ’ માટે રૂ.૮૩૦૧ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. બિહાર, તેલંગણા અને મધ્યપ્રદેશના અનેક ધોરીમાર્ગ પ્રોજેક્ટ પણ મંજૂર કરાયા છે.
કેન્દ્ર સરકારની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને આર્થિક રાહત આપીને જૂના વાહનોના સ્થાને નવા વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રૂ.૫૦૪૧ કરોડની આ વાહન ટ્રાન્સફર અથવા બદલી યોજના દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સરકાર અને કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ જો તમે તમારું જૂનું વાહન બદલીને નવું વાહન ખરીદશો, તો તમને વાહન લોન પર વ્યાજમાં ૫% ની સબસિડી (રાહત) મળશે. આ ઉપરાંત, ઓઇલ કંપનીઓ તરફથી આગામી ૫ વર્ષ સુધી દર મહિને ઇંધણ (પેટ્રોલ-ડીઝલ) માટેના ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે અને વાહન બનાવતી કંપનીઓ (ઓટોમોબાઈલ ઉત્પાદકો) પણ વાહનની કિંમતમાં ખાસ છૂટછાટ આપશે. એટલું જ નહીં, રાજ્ય સરકારો પણ નવા વાહન પર ૧૦૦% રોડ ટેક્સ (મોટર વ્હીકલ ટેક્સ) માફ કરશે અને નવી ગાડીના રજિસ્ટ્રેશનની ફી પણ લેવામાં નહીં આવે.

