Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછતઃ પંપો પર અફરાતફરી

લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા

પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ બાદ સરહદી વિસ્તારોમાં લોકો દ્વારા ઇંધણનો સંગ્રહ શરૂ કરાયો હોવાની ચર્ચા

(સંપૂર્ણ સમાચાર સેવા)
વાવ-થરાદ,તા.૧૫ મે ૨૦૨૬ — વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. વડાપ્રધાન દ્વારા તાજેતરમાં સોનાની ખરીદી ટાળવા તેમજ પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ બાદ સરહદી વિસ્તારોમાં લોકો દ્વારા ઇંધણનો સંગ્રહ શરૂ કરાયો હોવાની ચર્ચા વચ્ચે થરાદ શહેરમાં ઈંધણની અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

થરાદ શહેર અને આસપાસના વિસ્તારમાં કુલ મળીને અંદાજે ૧૦ જેટલા પેટ્રોલ પંપ કાર્યરત છે, જેમાં ઇન્ડિયન ઓઇલના ૨, નાયરા કંપનીના ૩, હિન્દુસ્તાન પેટ્રોલિયમના ૩ અને ભારત પેટ્રોલિયમના ૨ પંપોનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે અનેક પેટ્રોલ પંપો પર પ્લાસ્ટિકના કેરબા, ડ્રમ અને સીસામાં ખુલ્લેઆમ પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવી રહ્યું છે. જો કે સરકાર તરફથી આવા પ્રકારના ખુલ્લા સંગ્રહ અંગે કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી. લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો આવી રીતે લઈ જવામાં આવેલ પેટ્રોલ-ડીઝલથી કોઈ આગજની કે જાનહાની સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે?

ગઈ રાત્રે ડીસા હાઇવે ઉપર આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. એક પીકઅપ ડાલામાં મોટા ડ્રમોમાં ડીઝલ ભરાતું જોવા મળ્યું હતું. આ અંગે પંપના માલિક ગજેન્દ્રસિંહ રાણા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતના ૭/૧૨ના ઉતારા મંગાવવામાં આવ્યા છે અને હાલ જેટલો સ્ટોક ઉપલબ્ધ છે તે મુજબ ટુ-વ્હીલરમાં ૨૦૦, ફોર વ્હીલરમાં ૫૦૦ અને મોટી ગાડીઓમાં ૧૫૦૦ સુધીનું ઇંધણ આપવામાં આવી રહ્યું છે. ધાનેરા રોડ ઉપર આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના ઓનર હરેશભાઈ એસ. રાઠોડે જણાવ્યું હતું કે ઉપલબ્ધ સ્ટોક મુજબ લોકોને ડીઝલ અને પેટ્રોલ આપવામાં આવે છે. સાથે સાથે ડ્રમ અને કેરબામાં પણ ઇંધણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ પુરાવા તરીકે માત્ર આધારકાર્ડ લેવામાં આવે છે. અન્ય કોઈ દસ્તાવેજ લેવામાં આવતા નથી.

સાંચોર હાઇવે ઉપર આવેલા નાયરા પંપના ઓનર ઉપેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલાં જ રૂપિયા ભરાઈ ગયા હોવા છતાં હજુ સુધી ડીઝલ અને પેટ્રોલનો જથ્થો પહોંચ્યો નથી અને સપ્લાય માટે ગાડીઓ વેઇટિંગમાં હોવાનું ઉપરથી જણાવવામાં આવી રહ્યું છે. ભારત પેટ્રોલિયમના સ્ટાફે પણ સ્વીકાર્યું હતું કે હાલ પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી અને સપ્લાયમાં ઘટાડો નોંધાયો છે.

થરાદ વિસ્તારમાં વિવિધ કંપનીઓના હાલના ઇંધણના ભાવ
ઇન્ડિયન ઓઇલ
પેટ્રોલ ૯૮
ડીઝલ ૯૪.૦૮

નાયરા પંપ, સાંચોર હાઇવે
પેટ્રોલ ૧૦૩
ડીઝલ ૯૭.૪૦

હિન્દુસ્તાન પેટ્રોલિયમ
પેટ્રોલ ૯૮.૪૯
ડીઝલ ૯૪.૨૯

ભારત પેટ્રોલિયમ
પેટ્રોલ ૯૮.૩૧
ડીઝલ ૯૪.૯૦

થરાદ શહેરમાં હાલમાં ત્રણ સીએનજી પંપ કાર્યરત છે, ત્યાં પણ વાહનોની લાઈનો જોવા મળી રહી છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો છે. પેટ્રોલ પંપો પર લાંબી કતારો, મર્યાદિત ઇંધણ વિતરણ અને ડ્રમ-કેરબામાં ભરાતા ઇંધણને લઈને હવે સુરક્ષા અને નિયમોના પાલન અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

Related posts

છોટાઉદેપુરમાં “દૌડ” નામની ટ્રાઈબલ મેરેથોનમાં 15 હજારથી પણ વધુ લોકો જોડાયા

Master Admin

ધોલેરા વચ્ચે ૨૨૦ની સ્પીડે દોડશે સેમી હાઈ સ્પીડ ટ્રેન

Master Admin

વન વિભાગે કરી જાહેરાતઃ અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતું પકડાયું તો થશે જેલ

Master Admin

Leave a Comment

Translate »