Nirmal Metro Gujarati News
GujaratPolitics

વિપક્ષના હોબાળા વચ્ચે પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા

ધ્વનિ મતથી થયેલા મતદાનમાં સૌથી વધુ મત મળ્યાં

કોંગ્રેસના સભ્યોએ ખેડૂતોના દેવા માફી, સરકારી વિભાગોમાં આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવા જેવી માંગણીઓ ઉઠાવી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે કાર્યવાહી શરૂ થઈ હતી. જોકે ગૃહમાં ભારે હોબાળા વચ્ચે રાજ્યપાલને પોતાનું ઉદ્બોધન માત્ર ૨૦ મિનિટમાં પૂર્ણ કરવાની ફરજ પડી. રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી ગૃહ ગજવી દીધું હતું.

જોકે, આ હોબાળા વચ્ચે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. ધ્વનિ મતથી ઉપાધ્યક્ષ માટેનું મતદાન થતા સૌથી વધુ મત પૂર્ણેશ મોદીને મળ્યા છે.

બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજકીય તણાવ સ્પષ્ટ જોવા મળ્યો. રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ ખેડૂતોના દેવા માફી, સરકારી વિભાગોમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરવા જેવી માંગણીઓ ઉઠાવી હતી. વિપક્ષના ધારાસભ્યો સરકાર પર સામાન્ય જનતા અને ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આક્ષેપ કરતા હતા. ગૃહમાં સૂત્રોચ્ચાર અને ટિપ્પણીઓ વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું.

રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખ કરવામાં આવ્યો અને ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ. લાંબા સમય બાદ ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાતા રાજકીય ગરમાવો વધુ વધ્યો હતો.

કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી. પરમારે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ઉપાધ્યક્ષનું પદ પરંપરાગત રીતે વિપક્ષને આપવામાં આવતું રહ્યું છે, પરંતુ બહુમતીના જોરે ભાજપે આ પરંપરા તોડી છે. તેમણે જાહેર હિસાબ સમિતિ (ઁછઝ્ર) સહિતની સમિતિઓમાં પણ વિપક્ષને યોગ્ય સ્થાન ન અપાયાનો આક્ષેપ કર્યો હતો.

ભાજપ તરફથી જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો. અધ્યક્ષ દ્વારા દરખાસ્તને ધ્વનિ મત માટે મૂકવામાં આવી, જેમાં પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળતા તેમને વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે વરણી કરવામાં આવ્યા. ગૃહમાં ભાજપના સભ્યોએ “જય શ્રી રામ”ના નારા સાથે તેમને વધાવ્યા. પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું.

આ તરફ આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયામાંથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધો હતો. ‘આપ’ના નેતા ચૈતર વસાવાએ જણાવ્યું કે પરિણામ સ્પષ્ટ હોવાથી પક્ષ મતદાનમાં ભાગ નહીં લે. તેમણે ઉમેર્યું કે જો કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ થાય તો તેની અસર ‘આપ’ પર ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે. લોકશાહીના મૂલ્યો જળવાઈ રહે તે જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું. આ રીતે બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના ટૂંકાવેલા ઉદ્બોધન, વિપક્ષના હોબાળા અને ઉપાધ્યક્ષ પદની ચૂંટણીને લઈને ગૃહમાં રાજકીય ચડત-ઉતાર જોવા મળ્યા.

Related posts

નામમાં સ્પેલિંગ મિસ-મેચ બાબતે ચૂંટણી પંચને સંવેદનશીલ રહેવા સુપ્રીમનો નિર્દેશ

Master Admin

હાલારના ક્ષત્રિય સમાજનો નિર્ણય – કોંગ્રેસને તો મત નહીં જ આપીએ

Reporter1

ભારત-EU વચ્ચેની ઐતિહાસિક ટ્રેડ ડીલ ૨૭ જાન્યુઆરીએઃ કૃષિનો સમાવેશ નહીં

Master Admin

Leave a Comment

Translate »