Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો ૭૭ વર્ષે બદલાયો

શિખરને સ્થાને ત્રિશૂળ બનશે નવી ઓળખ

ટ્રસ્ટનો નવો લોગો ૧ એપ્રિલથી અમલમાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
સોમનાથ, તા.૨૭ માર્ચ ૨૦૨૬ — પ્રથમ જ્યોતિર્લિંગ અને વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો લોગો બદલવામાં આવ્યો છે. ટ્રસ્ટે સ્થાપનાને ૭૭ વર્ષ બાદ લોગો બદલવાનો નિર્ણય કર્યો છે. નવા લોગોમાં ત્રિશૂળને પ્રતિત કરવામાં આવ્યું છે.
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે સ્થાપના આટલાં વર્ષો બાદ પ્રથમ વખત લોકો બદલ્યો છે. ટ્રસ્ટનો નવો લોગો આગામી ૧ એપ્રિલથી સત્તાવાર રીતે અમલમાં આવશે.

અગાઉના લોગોમાં મંદિરનું શિખર દર્શાવવાની સાથે તેમાં જય સોમનાથ લખેલુ હતું. જ્યારે હવે નવા લોગોમાં વાદળી કલરના બેકગ્રાઉન્ડ પર ત્રિશૂળ દર્શાવવામાં આવ્યું છે અને તેની નીચે સોમનાથ લખ્યું છે.

ટ્રસ્ટના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, લેટરપેડ સહિતના સ્થાને નવો લોગો મૂકવામાં આવશે. આ સાથે મંદિર પરિસરમાં મોટા હોર્ડિંગ્સ અને સાઈન બોર્ડ્‌સ પર નવો લોગો લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવો લોગો માત્ર દેખાવ ખાતર નહીં, પણ પ્રભાસ ક્ષેત્રની દિવ્ય ઉર્જા અને સનાતન ધર્મના ઊંડા મૂળ સાથે જોડાવા માટે બદલવામાં આવ્યો છે. આ નવા લોગો પાછળના મુખ્ય કારણો અને પ્રતિકોની જો વાત કરીએ તો…

શિખરને સ્થાને ત્રિશૂળ જ્યોતઃ નવા લોગોમાં શિખરના બદલે ત્રિશૂળની જ્યોત રાખવામાં આવી છે. જે ભગવાન શિવ અને શક્તિના મિલનનું પ્રતિક છે. તેમાં વપરાયેલ પીળો અને કેસરી રંગ સૃષ્ટિના સર્જન અને બ્રહ્માંડના સંતુલનને દર્શાવે છે.
કોસ્મિક બ્લુ (ઘેરો વાદળી) રંગનું મહત્ત્વઃ લોગોમાં જે ઘેરો વાદળી રંગ છે, તે અનંત ઉર્જા ક્ષેત્ર દર્શાવે છે. આ રંગ ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે, જે બ્રહ્માંડના પાલનહાર છે. પ્રભાસ ક્ષેત્રમાં જ ભગવાન શ્રીકૃષ્ણ (વિષ્ણુ અવતાર) એ દેહોત્સર્ગ કર્યો હતો, તેથી આ રંગ વિષ્ણુના જલશાયી નારાયણ સ્વરૂપ અને નીલકંઠ મહાદેવના ત્યાગનો પણ સાક્ષી છે.

પવિત્ર જળાશયોનું પ્રતિકઃ આ વાદળી રંગ પ્રભાસના પવિત્ર જળ સ્ત્રોતો જેવા કે ત્રિવેણી સંગમ, સોમનાથ સરોવર, ભાલકા સરોવર, બ્રહ્મકુંડ અને રત્નાકર સાગર (સમુદ્ર) ને સમર્પિત છે.

ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ નવી ઓળખ સ્વાભિમાન પર્વ અને હિન્દુ નવવર્ષના પ્રારંભે એક નવા સૂર્યોદય સમાન છે. જે માત્ર એક મંદિર પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર પ્રભાસ ક્ષેત્રની પવિત્ર ભૂગોળ અને તેની શાશ્વત ઉર્જાને વિશ્વ સમક્ષ પ્રગટ કરે છે.
આ લોગો શિવ (પુરૂષ) અને શક્તિ (પ્રકૃતિ) ના સંગમનું પ્રતિક છે. ગોળાકાર આકાર બ્રહ્માંડના ગર્ભ સમાન છે, જે દર્શાવે છે કે સોમનાથ એ માત્ર ભક્તિનું કેન્દ્ર નથી પણ સમગ્ર સૃષ્ટિની ઉર્જાનું ઉદગમ સ્થાન છે.

Related posts

દિવ્ય-દેવભૂમિ ઉત્તરાખંડની ધરા-વિષ્ણુ પ્રયાગથી ૯૭૫મી રામકથાનો આરંભ

Master Admin

મનને ધોવા માટે બે જ ઉપાય છે : બુદ્ધપુરુષની વાણી અને આપણી આંખનું પાણી.

Master Admin

કૃષ્ણ જે કહે છે એ સત્ય છે,કૃષ્ણ સ્વયં પરમસત્ય છે.

Master Admin

Leave a Comment

Translate »