પશ્ચિમ બંગાળની રેલીમાં અમિત શાહનો હુંકાર
દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળ,તા.૨૧ એપ્રિલ ૨૦૨૬ — પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના માહોલે જોર પકડ્યું છે. દાર્જિલિંગ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કુલ્ટી વિધાનસભા વિસ્તારમાં જનસભા સંબોધી મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, એક સમયે કુલ્ટી દેશમાં લોખંડના ખનિજ ઉત્પાદનનું મોટું કેન્દ્ર હતું, પણ હાલની સરકારની નીતિઓના કારણે આ વિસ્તાર હવે બંધ થવાની કગાર પર પહોંચી ગયો છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની અવગણના થઈ છે, જેના કારણે અનેક પરંપરાગત ઉદ્યોગો પર સંકટ છવાઈ ગયું છે. તેમણે કહ્યું કે, જો યોગ્ય નીતિઓ અપનાવવામાં આવી હોત, તો આજે પણ કુલ્ટી જેવા વિસ્તારો દેશની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી શક્યા હોત.
દાર્જિલિંગમાં યોજાયેલી જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યની રાજકીય સ્થિતિ પર આકરું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હવે રાજ્યમાં પરિવર્તનની માંગ વધી રહી છે અને જનતા પરિવર્તન તરફ વિચાર કરી રહી છે. અમિત શાહે ગોરખા સમુદાયના મુદ્દાઓ પર પણ મોટો રાજકીય સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે, તો ગોરખા બહેનો અને ભાઈઓની વર્ષોથી ચાલી રહેલી સમસ્યાઓને પ્રાથમિકતા આપીને ઉકેલવામાં આવશે. અમિત શાહે દાવો કર્યો કે, ભાજપ સરકાર બન્યા પછી છ મહિનાની અંદર ગોરખા સમુદાયની જૂની સમસ્યાઓના ઉકેલ માટે ઠોસ પગલાં લેવામાં આવશે, જેથી લોકોના જીવનમાં સંતોષ અને સ્થિરતા આવી શકે.
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (્સ્ઝ્ર) બંને પર ગોરખા સમુદાય અને દાર્જિલિંગ વિસ્તારની અવગણના કરવાનો આરોપ રહ્યો છે. શાહના જણાવ્યા અનુસાર, આ સમસ્યાઓનો ઉકેલ ભાજપ પોતાની સરકાર બન્યા પછી નિર્ધારિત સમયમર્યાદામાં લાવવાનો પ્રયાસ કરશે. ઉત્તર બંગાળના લોકોને સંબોધતા તેમણે અપીલ કરી કે, એક વખત ભાજપને મોકો આપો, જેથી વિકાસ અને સમાધાનની પ્રક્રિયા આગળ વધી શકે. તેમણે કહ્યું કે, “ઉત્તર બંગાળના લોકો, એક વાર ભાજપ સરકાર બનાવી દો. ત્રણ ચૂંટણીથી દાર્જિલિંગ તો કમળ પર મત આપી રહ્યું છે, પણ આ વખતે આખું બંગાળ નક્કી કરી ચૂક્યું છે કે દીદીને હટાવવાનો સમય આવી ગયો છે.”
અમિત શાહે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકાર પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, રાજ્યમાં બજેટ ફાળવણીમાં ભેદભાવ કરવામાં આવે છે. અમિત શાહે જણાવ્યું કે, તૃણમૂલ સરકારે ઉત્તર બંગાળ, આદિવાસી અને પર્વતીય વિસ્તારો માટે લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે, જ્યારે મદરસા અને અલ્પસંખ્યક વિસ્તારો માટે ૫૮૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. તેમણે આને અન્યાયપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે, હવે ઉત્તર બંગાળ અને ગોરખા સમુદાય સાથે ન્યાયની શરૂઆત થશે.
શાહે આરોપ મૂક્યો કે, મમતા બેનર્જીના શાસનમાં અનેક મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને સંદેશખાલી કેસનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, આવી ઘટનાઓએ આખા બંગાળને શરમાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, બંગાળમાં ગુનો કરનાર દરેકને કાયદાના દાયરામાં લાવવામાં આવશે અને ભાજપ સરકાર બન્યા પછી આવા કેસોમાં કડક કાર્યવાહી થશે.

