પોલીસે પિતા-પુત્રને ઝડપ્યા
દુકાન ધોળકામાં વર્ષોથી ચાલતી હોવાથી લોકોએ તેમના પર ભરોસો કરી રૂપિયા ૪૦ હજારથી માંડીને ૫૦ લાખ સુધીનું રોકાણ કર્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧ ઓગસ્ટ ૨૦૨૬ — ચાંદીમાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચે આશરે ૪૦ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર પિતા-પુત્રની પોલીસે ધરપકડ કરી છે. ચાંદીના વધી રહેલા ભાવમાં ઊંચું વળતર મળશે તેમ જણાવીને ધોળકાની હરિ જ્વેલર્સના સંચાલક પિતા પુત્રોએ લોકો પાસેથી ૪૦ હજારથી માંડીને ૫૦ લાખનું રોકાણ કરાવ્યુ હતું. આરોપી પિતા પુત્રએ રોકાણકારો પાસેથી આશરે ૧૦ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. જોકે માત્ર બે મહિના લોકોને વળતર ચૂકવી ફરાર થયેલા પિતા પુત્ર પોલીસના હાથે ઝડપાતા હવે પોલીસે આરોપીઓની સંપત્તિ અંગે તપાસ હાથ ધરી અન્ય ફરાર એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આરોપી પિતા પુત્રની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી છે. ઘનશ્યામ સોની અને યશ સોની નામના પિતા પુત્રે વર્ષ ૨૦૨૫માં ચાંદીમાં રોકાણના બહાને લોકો પાસેથી રૂપિયા મેળવી કરોડોની ઠગાઈ કરી હતી. ચાંદીમાં રોકાણ કરવાથી ૨૦ થી ૩૦ ટકા જેટલું વળતર મળશે તેવી લાલચ આપીને ૩૪ જેટલા ભોગ બનનાર પાસેથી ૧૦ કરોડ ૬૭ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે રૂપિયા મેળવ્યા બાદ માત્ર બે મહિના સુધી વળતર ચૂકવી પિતા પુત્ર ફરાર થઈ ગયા હતા. આ મામલે ધોળકા ટાઉન પોલીસે ગુનો નોંધ્યા બાદ હવે ધોળકા પોલીસે ફરાર પિતા પુત્રની વૈષ્ણવદેવી પાસેના ભાડાના ફ્લેટમાંથી ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપીની હરિ જ્વેલર્સ નામની દુકાન ધોળકામાં વર્ષોથી ચાલતી હોવાથી લોકોએ તેમના પર ભરોસો કરી રૂ. ૪૦ હજારથી માંડીને ૫૦ લાખ સુધીનું રોકાણ કર્યું હતું. જોકે આરોપીઓ સામાન્ય માણસો અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર પિતા પુત્રની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં હજી એક આરોપી દીપ સોની ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

