ગુજરાતમાં AAPની મોટી જાહેરાત
મરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી મુદ્દે પ્રદેશ નેતૃત્વ નિર્ણય લેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૬ માર્ચ ૨૦૨૬ — ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દીધું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP તમામ ૧૨૦૦૦ સીટો પર ચૂંટણી લડશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી છે. પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જાહેરાત પણ કરી કે, ‘આજથી ત્રણ દિવસ સુધી ઉમેદવારોના નામ પર પ્રદેશ ટીમ ચર્ચા કરશે. ત્રણ દિવસની સ્ક્રિનિંગ પ્રક્રિયા પછી ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરીશું.’ તેમજ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી અંગે પણ પાર્ટી જલ્દી જ નિર્ણય લેશે.
આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઈસુદાન ગઢવીની સાથે સાથે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, મહામંત્રી રાકેશ હીરપરા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતમાં આવી રહેલી ચૂંટણીઓ અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ ૧૨૦૦૦ સીટો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. આજથી સ્ટેટ ઇલેકશન કમિટી દ્વારા ૧૬, ૧૭ અને ૧૮ તારીખ સુધી ત્રણ દિવસ સુધી જુદા જુદા ઝોનમાંથી આવેલા નામો પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલી વખત આમ આદમી પાર્ટી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની તમામ સીટો પર પૂરજોશમાં ચૂંટણી લડશે. અત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાવા અને ચૂંટણી લડવા માટે અનેક લોકો ઉત્સુક બન્યા છે. આમ આદમી પાર્ટી પહેલી એવી પાર્ટી છે જેણે ‘ઓપન ટુ ઓલ’ની પદ્ધતિ અપનાવી છે.
અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં ધારાસભ્યો અથવા નેતાઓના પરિવારજનોને જ તક મળતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ સામાન્ય લોકોમાંથી ઉમેદવારો પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. સમાજસેવકો, રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરવામાં આવ્યા છે અને તેમના પર પણ ચર્ચા કરવામાં આવશે.

