ઈઝરાયલ પર ક્લસ્ટર મિસાઈલથી વળતો પ્રહાર
લારીજાનીના મોતનો બદલો લેવા માટે ઈરાને ઇઝરાયલની રાજધાની તેલ અવીવ પર જોરદાર હુમલો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
તેલ અવીવ, તા.૧૮ માર્ચ ૨૦૨૬ –– ઈરાની મીડિયાએ લાંબી ચુપકીદી બાદ આખરે સ્વીકાર્યું છે કે ઇઝરાયલના હવાઈ હુમલામાં અલી લારીજાની માર્યા ગયા છે. ઇઝરાયલે આ હુમલાને પોતાની સૌથી મોટી સૈન્ય સફળતા ગણાવી છે. આ હુમલામાં બસીજ કમાન્ડર ગોલામરેજા સોલેમાનીના પણ મોતના અહેવાલ છે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે ઈરાનને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ઇઝરાયલ દ્વારા તેહરાન પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાની સુરક્ષા વ્યવસ્થાના મુખ્ય ચહેરા અને સુપ્રીમ લીડરના નજીકના સલાહકાર અલી લારીજાની માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ છે. આ સાથે જ બસીજ કમાન્ડર ગોલામરેજા સોલેમાનીના ખાતમાએ ઈરાની સૈન્ય માળખાને હચમચાવી દીધું છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ઈરાનના ટોચના નેતૃત્વને ખતમ કરી દેવામાં આવ્યું છે.” ટ્રમ્પે દાવો કર્યો હતો કે એક એવો મોટો અધિકારી માર્યો ગયો છે જે છેલ્લા બે અઠવાડિયામાં હજારો લોકોના મોત માટે જવાબદાર હતો. ટ્રમ્પ સતત ઈરાન પર હુમલા તેજ કરવાની વાત કરી રહ્યા છે અને નાટો સહયોગીઓ પાસે પણ મદદ માંગી રહ્યા છે, જોકે તેમને ખાસ સમર્થન મળ્યું નથી.અલી લારીજાની ઈરાનની રાજનીતિ અને સુરક્ષા વ્યવસ્થાના અત્યંત મહત્ત્વના હિસ્સા હતા. તેઓ સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પૂર્વ પ્રમુખ, સંસદના પૂર્વ સ્પીકર અને સુપ્રીમ લીડરના ખાસ સલાહકાર રહી ચૂક્યા હતા. ઈરાનના દરેક મોટા વ્યૂહાત્મક નિર્ણયોમાં તેમની ભૂમિકા મહત્વની ગણાતી હતી. તેમનું મોત આ યુદ્ધમાં ઈરાન માટે અપૂર્ણીય ક્ષતિ સમાન છે.લારીજાનીના મોતનો બદલો લેવા માટે ઈરાને ઇઝરાયલની રાજધાની તેલ અવીવ પર જોરદાર હુમલો કર્યો છે. ઈરાને આ હુમલામાં એવી મિસાઈલોનો ઉપયોગ કર્યો છે જેમાં ક્લસ્ટર વોરહેડ લાગેલા હતા. આ હુમલા બાદ વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે અને યુદ્ધ વધુ ગંભીર વળાંક લે તેવી શક્યતા છે.

