Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકા ચાંદી નકલી

તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો

ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો અસલી નીકળી

(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ, તા.૨૨ એપ્રિલ ૨૦૨૬ — હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટા પાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર ૫-૬% જ શુદ્ધ ચાંદી છે. આ ખુલાસાએ માત્ર ભક્તોની આસ્થાને જ ઠેસ નથી પહોંચાડી, પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો કર્યો છે.

આ કૌભાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, હાલમાં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે ચઢાવામાં મળેલી આશરે ૨૦ ટન ધાતુને શુદ્ધિકરણ અને મૂલ્યાંકન માટે દિલ્હીની સરકારી ટંકશાળમાં મોકલી હતી. બોર્ડને આશા હતી કે, આ ધાતુઓમાંથી અંદાજે રૂ. ૫૦૦ થી રૂ. ૫૫૦ કરોડ મૂલ્યની શુદ્ધ ચાંદી મળશે. જો કે ટંકશાળમાં થયેલી તપાસ અને શુદ્ધિકરણ બાદ, આ આંકડો ઘટીને માત્ર રૂ. ૩૦ કરોડ આસપાસ જ રહી જતા ટ્રસ્ટ પણ ચોંકી ઉઠ્યું હતું.

ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો જ અસલી ચાંદી નીકળી. બાકીની ૯૫% થી વધુ ધાતુ સસ્તી અને મિલાવટી હતી.

ચાંદી જેવી જ દેખાતી સસ્તી ધાતુઓ જેવી કે કેડમિયમ અને લોખંડનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય શ્રદ્ધાળુઓ માટે નરી આંખે આ મિલાવટ ઓળખવી અશક્ય છે.

આ મિલાવટ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત જોખમી છે. કેડમિયમ એક અત્યંત ઝેરી ધાતુ છે. આ મિલાવટી ધાતુને અલગ કરવા માટે જ્યારે તેને પિગાળવામાં આવે છે, ત્યારે તેમાંથી કેડમિયમનો ધુમાડો નીકળે છે. આ ધુમાડો શ્વાસમાં જવાથી ફેફસાં અને કિડની પર ખૂબ જ ખરાબ અસર પડે છે. લાંબા ગાળે આનાથી કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. આ જ કારણે અનેક ગ્રાહક ઉત્પાદનોમાં કેડમિયમના ઉપયોગ પર પ્રતિબંધ છે.

ભક્તો માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધાને કારણે છત્ર, છડા (પાયલ), સિક્કા કે અન્ય ચાંદીની વસ્તુઓ ખરીદીને ચઢાવે છે. પરંતુ ચાંદી વેચનારા વેપારીઓ આમાં ભારે મિલાવટ કરીને તેમની આસ્થા અને પૈસા બંને સાથે ચેડા કરી રહ્યા છે.

આ મામલો ધાર્મિક સ્થળો પર થતી અનિયમિતતાઓ અને આર્થિક કૌભાંડો તરફ આંગળી ચીંધે છે. હવે જરૂરી છે કે આ અંગે કડક તપાસ થાય અને દોષિત વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી શ્રદ્ધાળુઓનો વિશ્વાસ કાયમ રહી શકે.

Related posts

પૂજ્ય મોરારી બાપૂએ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં

Master Admin

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેરઠથી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા

Master Admin

વર્લ્ડ મોટરસાઇક્લિંગ ડે નિમિત્તે જાવા, યઝદી અને બીએસએના રાઇડર્સ મોટરસાઇક્લિંગના અદમ્ય જુસ્સાને બિરદાવવા માટે એક મંચ પર આવ્યા

Master Admin

Leave a Comment

Translate »