તંત્રીની કલમે….
ભારતને કૃષિપ્રધાન દેશ કહેવાય છે, પરંતુ દુર્ભાગ્ય એ છે કે આજે દેશનો ખેડૂત સૌથી વધુ અસુરક્ષિતતા અનુભવે છે. ખેતરમાં મહેનત ખેડૂત કરે, જોખમ ખેડૂત લે, વરસાદ ન પડે તો પણ મુશ્કેલી ખેડૂતની અને બજારમાં ભાવ તૂટી પડે તો પણ નુકસાન ખેડૂતનું જ. આવી સ્થિતિમાં MSP એટલે કે “ન્યૂનતમ ટેકાદર” ખેડૂતો માટે આશાનો આધાર બનવો જોઈએ, પરંતુ આજે એ જ MSP ખેડૂતોના ગુસ્સાનું કારણ બની રહ્યો છે.
તાજેતરમાં ફરી એકવાર દેશભરમાં MSP મુદ્દે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો. પંજાબ-હરિયાણા સુધી મર્યાદિત લાગતો આ પ્રશ્ન હવે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના ખેડૂતો પણ હવે પૂછવા લાગ્યા છે કે જો સરકાર MSP જાહેર કરે છે, તો પછી બજારમાં ખેડૂતોને ઓછા ભાવે પાક વેચવા કેમ મજબૂર થવું પડે છે?
ગુજરાતમાં કપાસ, મગફળી, જીરું, એરંડા અને ઘઉં જેવા પાકોનું મોટું ઉત્પાદન થાય છે. પરંતુ MSP હોવા છતાં ખેડૂતોને વેપારીઓ પાસે ઓછી કિંમતે પાક વેચવો પડે છે. કારણ સ્પષ્ટ છે — સરકારની ખરીદી વ્યવસ્થા મર્યાદિત છે. APMC મંડીઓમાં લાંબી લાઈનો, મોડું પેમેન્ટ અને ખરીદીની મર્યાદા ખેડૂતોને પરેશાન કરે છે. પરિણામે ખેડૂત સ્જીઁની જાહેરાતને “કાગળ પરની સહાનુભૂતિ” ગણવા લાગ્યો છે.
સૌરાષ્ટ્રના કપાસ ઉત્પાદક ખેડૂતો હોય કે ઉત્તર ગુજરાતના જીરાના ખેડૂત — દરેકની ફરિયાદ લગભગ એકસરખી છે. ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે. ખાતર, ડીઝલ, મજૂરી, વીજળી અને જંતુનાશક દવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી તરફ પાકના ભાવમાં એ પ્રમાણે વધારો થતો નથી. MSP જાહેર થાય છે, પરંતુ તેનો વાસ્તવિક લાભ કેટલાને મળે છે એ મોટો પ્રશ્ન છે.
ખેડૂતોની સૌથી મોટી માંગ હવે MSPને કાયદાકીય હક્ક બનાવવાની છે. તેમનું કહેવું છે કે જો સરકાર MSPનક્કી કરે છે, તો કોઈ વેપારી તેનાથી ઓછા ભાવે ખરીદી ન કરી શકે એવી ગેરંટી હોવી જોઈએ. સરકાર આ માંગ સામે સાવચેત છે, કારણ કે કાયદાકીય સ્જીઁથી સરકાર પર હજારો કરોડો રૂપિયાનું વધારાનું ભારણ આવી શકે છે. પરંતુ બીજી બાજુ પ્રશ્ન એ પણ છે કે જો ખેડૂતને પાકનો યોગ્ય ભાવ નહીં મળે, તો દેશની કૃષિ વ્યવસ્થા લાંબા ગાળે કેવી રીતે ટકી રહેશે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદની અનિયમિતતા, પાણીની સમસ્યા અને બજારના ઉતાર-ચઢાવને કારણે ખેડૂતો વધુ દબાણ અનુભવી રહ્યા છે. નર્મદાનું પાણી હજુ પણ ઘણા વિસ્તારો સુધી પૂરતું પહોંચતું નથી. સિંચાઈ ખર્ચ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં સ્જીઁ ખેડૂતો માટે માત્ર આર્થિક નહીં, પણ માનસિક સુરક્ષા પણ છે.
આ મુદ્દાનું રાજકીય પાસું પણ એટલું જ મહત્વનું છે. ચૂંટણી નજીક આવે એટલે ખેડૂતો માટે જાહેરાતો અને વચનોની ભરમાર થાય છે, પરંતુ ખેડૂતો હવે માત્ર ભાષણોથી ખુશ થવાના નથી. તેઓને પરિણામ જોઈએ છે. દેશના ખેડૂતનો ગુસ્સો હવે માત્ર રસ્તા પરના વિરોધ સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે રાજકીય અસંતોષમાં પણ બદલાઈ રહ્યો છે.
સરકાર માટે આ સમય ગંભીર આત્મચિંતનનો છે. માત્ર MSP વધારવાથી સમસ્યા ઉકેલાશે નહીં. ખરીદી વ્યવસ્થાને પારદર્શક અને સરળ બનાવવી પડશે. ખેડૂતોને સીધો લાભ મળે તે માટે ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી પડશે. સાથે જ કૃષિ ઉત્પાદનને બજાર સાથે સીધું જોડવા માટે મજબૂત નીતિઓ બનાવવાની જરૂર છે.
ખેડૂત માત્ર મતદાર નથી, પરંતુ દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે. જો ખેતર નબળું પડશે, તો ખેડૂત નરળો પડશે અને અંતે બજાર પણ નબળું પડશે. શહેરોની ચમક પાછળ ગામડાંની મહેનત છુપાયેલી છે — અને એ મહેનતને યોગ્ય સન્માન અને ભાવ મળવો જ જોઈએ.
MSPનો મુદ્દો હવે માત્ર ભાવનો પ્રશ્ન નથી રહ્યો; એ વિશ્વાસનો પ્રશ્ન બની ગયો છે. સરકાર જો સમયસર ખેડૂતોની વ્યથા નહીં સમજે, તો આ ગુસ્સો ભવિષ્યમાં વધુ મોટા અસંતોષમાં ફેરવાઈ શકે છે. કારણ કે ખેતરની માટી જ્યારે ગુસ્સે થાય છે, ત્યારે તેની અસર આખા દેશને અનુભવવી પડે છે.
નરેન્દ્ર જોષી

