Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

રામ મંદિરમાંથી ૪૦ પેટીનું દાન, ૨ કિલો સોનાની ગદા ગુમ

એસઆઇટી સતત બીજા દિવસે અયોધ્યા પહોંચી

એસઆઇટી ૧૫ દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે, ટ્રસ્ટના સભ્યોની પણ પૂછપરછ થઇ શકે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા, તા.૧૭ જૂન ૨૦૨૬ — અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની ચોરીનો વિવાદ સામે આવ્યો છે. જેને પગલે આ મામલે એસઆઇટી દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરમાં જે દાન આવે છે તેની ગણતરી કરનારા આશરે ૪૩ જેટલા કર્મચારીઓની એસઆઇટી દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે. કેમ કે ચોરી મુખ્યત્વે દાન પેટીમાં આવેલા દાનમાંથી જ કરવામાં આવી હોવાના અહેવાલો છે. સમગ્ર મામલે તપાસ કરી રહેલી એસઆઇટી હાલ દાનમાં આવેલા નાણાની ગણતરી અને તેની વ્યવસ્થા કરી રહેલી સમગ્ર ટીમ પર નજર રાખી રહી છે. સુત્રો દ્વારા એવી માહિતી મળી છે કે દાન પેટીઓમાંથી જ નાણા ચોરી લેવામાં આવ્યા છે. મંદિર અંદર જ આશરે ૪૦ જેટલી દાનપેટી આવેલી છે, અગાઉ જ્યારે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે આ પેટીની સંખ્યા ૧૦ હતી જેમાં બાદમાં વધારો થતો ગયો. એવા અહેવાલો છે કે અત્યાર સુધીમાં પૂછપરછ દરમિયાન પાંચ કર્મચારીઓ પાસેથી બે કરોડ રૂપિયા પરત મેળવી લેવાયા છે. જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેમાં આ કર્મચારીઓ ચોરી કરતા ઝડપાયા હોવાથી બાદમાં તેમને પ્રશાસન દ્વારા કાઢી મુકવામાં આવ્યા હતા.જોકે સત્તાવાર રીતે કોઇ જ ફરિયાદ દાખલ કરાવવામાં નથી આવી. એસઆઇટી આ સમગ્ર મામલે આશરે ૧૫ દિવસમાં પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપશે જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એસઆઇટી સતત બીજા દિવસે પણ રામ મંદિર પહોંચી હતી. મંદિરના ટ્રસ્ટ સાથે જોડાયેલા સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે માત્ર રૂપિયા નહીં સોના ચાંદીની જ્વેલરીની પણ ચોરી કરાઇ છે, બે કિલોની સોનાની ગદા પણ ગાયબ થયાની ચર્ચા છે. જોકે આ અંગે કોઇ સત્તાવાર માહિતી જાહેર કરાઇ નથી. આ સમગ્ર મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના પૂર્વ ડ્રાઇવર રામ શંકર યાદવ પર પણ કેટલાક આરોપો લાગી રહ્યા છે. જોકે આ આરોપોને તેઓ ફગાવી ચુક્યા છે.

Related posts

રામચરિતમાનસ સનાતન ધર્મનો અંતિમ ગ્રંથ છે.

Master Admin

વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Master Admin

પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો

Master Admin

Leave a Comment

Translate »