Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

કામાખ્યા મંદિરમાં અંબુબાચી મહાયોગનો પ્રારંભઃ ભક્તો ઉમટ્યા

૩ દિવસ માટે બંધ થયા શક્તિપીઠના દ્વાર

દેવી કામાખ્યાને સમર્પિત આ મંદિર દેશના ૫૧ શક્તિપીઠોમાં સ્થાન ધરાવે છે અને શક્તિ પૂજા માટેનું સૌથી પવિત્ર કેન્દ્ર માનવામાં આવે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૩ જૂન ૨૦૨૬ — પૂર્વ ભારતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંના એક એવા વાર્ષિક ‘અંબુબાચી મહાયોગ’ની શરૂઆત સાથે જ અસમના ગુવાહાટીમાં નીલાચલ ટેકરીઓ પર સ્થિત પવિત્ર કામાખ્યા મંદિરના દ્વાર સોમવારથી ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. માતા કામાખ્યાના વાર્ષિક માસિક ધર્મ ચક્ર સાથે જોડાયેલી આ પરંપરા અંતર્ગત મંદિર આગામી ત્રણ દિવસ સુધી ભક્તો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. પરંપરા અનુસાર, આ સમયગાળા દરમિયાન દેવી વાર્ષિક માસિક ધર્મમાંથી પસાર થાય છે તેમ માનવામાં આવે છે, જેથી ગર્ભગૃહની અંદર તમામ પ્રકારની પૂજા અને ધાર્મિક વિધિઓ સ્થગિત રાખવામાં આવે છે.શાક્ત પરંપરામાં અત્યંત મહત્ત્વ ધરાવતા આ આધ્યાત્મિક મહોત્સવમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી હજારો સાધુઓ, સંતો, તાંત્રિકો અને અસંખ્ય ભક્તો કામાખ્યા મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે. ‘પૂર્વના મહાકુંભ’ તરીકે ઓળખાતા આ અંબુબાચી મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વાર્ષિક મેળો સ્ત્રી શક્તિ અને ફળદ્‌્રુપતાની પૂજા સાથે ઊંડો સંબંધ ધરાવે છે અને તેને દેશના સૌથી મહત્ત્વપૂર્ણ તાંત્રિક ઉત્સવોમાંનો એક ગણવામાં આવે છે.દેવી કામાખ્યાને સમર્પિત આ મંદિર દેશના ૫૧ શક્તિપીઠોમાં સ્થાન ધરાવે છે અને શક્તિ પૂજા માટેનું સૌથી પવિત્ર કેન્દ્ર માનવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી દેવી સતીના શરીરના ટુકડા કર્યા હતા, ત્યારે તેમનો યોનિ ભાગ આ સ્થાન પર પડ્યો હતો, જેથી આ સ્થાનની ભારે ધાર્મિક આસ્થા છે.મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, ત્રણ દિવસની ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ મંદિરનું ગર્ભગૃહ ફરીથી ખોલવામાં આવશે. ત્યારબાદ ભક્તોને માતાજીના દર્શન કરવાની મંજૂરી અપાશે. આ અવસરે ભક્તોને પવિત્ર ‘રક્ત વસ્ત્ર’ અને ‘અંગોદક’ (પવિત્ર જળ) પ્રસાદ રૂપે આપવામાં આવશે, જેને શ્રદ્ધાળુઓ અત્યંત શુભ અને મંગલકારી માને છે.મેળામાં આવનારા લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને અસમ સરકાર, કામરૂપ (મેટ્રો) જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા વ્યાપક અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા, તબીબી સુવિધાઓ, સ્વચ્છતા, ટ્રાફિક મેનેજમેન્ટ અને શ્રદ્ધાળુઓ માટે રહેવાની ઉત્તમ સગવડ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્રણ દિવસ પછી જ્યારે મંદિરના દ્વાર ફરી ખુલશે ત્યારે દેવીના આશીર્વાદ લેવા માટે ભારે ભીડ ઉમટે તેવી સંભાવના છે.

Related posts

કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ

Master Admin

મારૂતિ સુઝૂકીએ પાવરપેક પરફોર્મન્સ સાથે New Brezza Turbo Boosterjet લૉન્ચ કરી

Master Admin

વર્લ્ડ મોટરસાઇક્લિંગ ડે નિમિત્તે જાવા, યઝદી અને બીએસએના રાઇડર્સ મોટરસાઇક્લિંગના અદમ્ય જુસ્સાને બિરદાવવા માટે એક મંચ પર આવ્યા

Master Admin

Leave a Comment

Translate »