CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી
રિ-ઇવેલ્યુએશન બાદ બંને વિષયોમાં ગુણ વધતા તેનો કુલ સ્કોર ૧૦૦ ટકા પર પહોંચી ગયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૩ જૂન ૨૦૨૬ — CBSE ધોરણ-૧૨ની રિ-ઇવેલ્યુએશન પ્રક્રિયામાં ઝારખંડના રાંચીની વિદ્યાર્થીની અવની કેજરીવાલે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મૂળ પરિણામમાં ઓછા ગુણ મળ્યા બાદ રિ-ઇવેલ્યુએશન માટે અરજી કરનાર અવનીના કુલ ૨૪ ગુણ વધતા હવે તેને ૫૦૦માંથી ૫૦૦ ગુણ મળ્યા છે.૧૦૦ માંથી ૧૦૦ માર્ક મળ્યાં
પ્રાપ્ત માહિતી અનુસાર, અવનીને પ્રારંભિક પરિણામમાં અંગ્રેજી વિષયમાં અપેક્ષા કરતાં ૧૯ ગુણ ઓછા મળ્યા હતા. ઉપરાંત બિઝનેસ સ્ટડીઝમાં પણ ૫ ગુણ ઓછા નોંધાયા હતા. અંગ્રેજી તેનો સૌથી મજબૂત અને પ્રિય વિષય હોવાથી તેણે ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. રિ-ઇવેલ્યુએશન બાદ બંને વિષયોમાં ગુણ વધતા તેનો કુલ સ્કોર ૧૦૦ ટકા પર પહોંચી ગયો છે.
ધુર્વા સ્થિત DPS સેલ ટાઉનશિપ સ્કૂલમાં અભ્યાસ કરતી અવનીએ આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા, શિક્ષકો અને માર્ગદર્શકને આપ્યો છે. તેના પિતા મિતેશ કેજરીવાલ વ્યવસાયી છે. જ્યારે માતા પૂનમ કેજરીવાલ ગૃહિણી છે. પરિવારના જણાવ્યા મુજબ અવની શરૂઆતથી જ અભ્યાસ પ્રત્યે ગંભીર અને મહેનતુ રહી છે.
અવનીએ જણાવ્યું કે તે ભવિષ્યમાં બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છે છે. આ માટે તેણે CUET UG 2026 પરીક્ષા પણ આપી છે. ઉલ્લેખનીય છે કે CBSEએ આ વર્ષે ધોરણ-૧૨ની ઉત્તરવહીઓની તપાસ માટે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. પરિણામ જાહેર થયા બાદ અનેક વિદ્યાર્થીઓએ ગુણાંકન અંગે રજૂઆતો કરતાં બોર્ડે રિ-ઇવેલ્યુએશનની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.

