તિરાડો દેખાતા લેવાયો નિર્ણય
નવો બ્રિજ બનાવવાની સત્તાવાર જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર દ્વારા કરવામાં આવી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૪ જૂન ૨૦૨૬ — અમદાવાદના વાહનચાલકો અને નાગરિકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક અને વ્યસ્ત એવા સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડીને તેની જગ્યાએ નવો બ્રિજ બનાવવાની સત્તાવાર જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર દ્વારા કરવામાં આવી છે.સુભાષ બ્રિજના પિલર (થાંભલા)માં તાજેતરમાં જ મોટી તિરાડો જોવા મળી હતી. આ બાબત સામે આવ્યા બાદ તુરંત જ બ્રિજ એક્સપર્ટસની ટીમ દ્વારા આખા બ્રિજનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક્સપર્ટસની ટીમે આ અંગે એક વિગતવાર તપાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં જણાવાયું છે કે આ બ્રિજના પિયસ-Piers (થાંભલાની સૌથી ઉપર તૈયાર કરેલું આડું માળખું)નું આયુષ્ય પણ ૫૩ વર્ષ જેટલું થઈ ગયું છે, જે હવે જોખમી સ્તરે પહોંચી ગયા છે.
તજજ્ઞોના રિપોર્ટ અને સૂચનોના આધારે સર્વસંમતિથી એવો નિર્ણય લેવાયો છે કે જૂના પિયર્સ અને સબ-સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવે અને તેના સ્થાને નવો જ બ્રિજ તૈયાર કરવામાં આવે.
અગાઉ સુભાષ બ્રિજના માત્ર રિપેરિંગ પાછળ ૨૩૬ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આખો બ્રિજ નવેસરથી બનાવવાનો હોવાથી પ્રોજેક્ટના કુલ ખર્ચમાં મોટો વધારો થશે. બ્રિજના રિપેરિંગ કામ માટે અગાઉ ૯ મહિનાનો સમય લાગવાનો અંદાજ હતો, પરંતુ હવે નવો બ્રિજ બનાવવાનો હોવાથી આ સમયગાળામાં પણ નોંધપાત્ર વધારો થશે.
હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નવા પ્રોજેક્ટના કોસ્ટ, ટાઈમ, સંપૂર્ણ પ્રોજેક્ટ લાઈફ અને નવી ડિઝાઈન સહિતના તમામ ટેકનિકલ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે લેવાયેલો આ નિર્ણય શહેરના ભવિષ્યના ટ્રાફિક વ્યવસ્થાપન માટે અત્યંત મહત્ત્વનો સાબિત થશે.

