ભુવનેશ્વર ૨૦૨૨થી ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે
હું આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટ એટલા માટે રમું છું કારણ કે, મને તેનાથી પ્રેમ છે : ભુવનેશ્વર કુમાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૩ ઓગસ્ટ ૨૦૨૬ — અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે હવે નેશનલ ક્રિકેટ ટીમમાં વાપસી પોતાનો મુખ્ય હેતું ન હોવાનું જણાવતાં કહ્યું કે, તેણએ ભારતીય ટીમની બહારના જીવનને અપનાવી લીધું છે અને હવે માત્ર ક્રિકેટ પ્રત્યે પોતાના જનૂનને કારણે રમી રહ્યો છે. ૩૬ વર્ષીય ભઉવનેશ્વરે છેલ્લે ૨૦૨૨માં ભારત તરફથી મેચ રમી હતી. અત્યાર સુધી ૨૧ ટેસ્ટ, ૧૨૧ વન-ડે અને ૮૭ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ રમી ચૂક્યો છે. દેશનું પ્રતિનિધિત્ત્વ કરવાનું સ્વપ્ન પૂર્ણ થયા પછી હવે પોતાને સાબિત કરવા માટે કોઈ દબાણ લાગતું નથી. ભુવનેશ્વરે કહ્યું કે, હું આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટ એટલા માટે રમું છું કારણ કે, મને તેનાથી પ્રેમ છે. હું ઘરેલુ ક્રિકેટ રમું છું. યુપી-ટી૨૦ લીગમાં રમું છું. ઇન્ટરનેશન ક્રિકેટથી દૂર પોતાના જીવન અંગે કહ્યું કે, હું સંપૂર્ણ રીતે શાંતિપૂર્વક રહું છું અને તેનો શ્રેય મારા પરિવારને આપું છું. ઘરે પણ અમે ક્યારેય ક્રિકેટ અંગે વાત કરતા નથી. અમે એ પણ ચર્ચા નથી કરતા કે, શું મને ફરી ભારતીય ટીમમાં સ્થાન મળશે, મને કેમ સામેલ ન કરાયો કે, શું મારી સાથે ખોટું થઈ રહ્યું છે. આ પ્રકારની કોઈ ચર્ચા કરતા નથી. હું ભારત તરફથી રમી ચૂક્યો છું હવે મારે કંઈ મેળવવાની જરૂરત નથી. જો મને તક મળશે તો તે સારી વાત ગણાશે. જોકે, અત્યારે હું જ્યાં છું ત્યાં ઘણો ખુશ છું.

