અપહરણ, રેપ અને હત્યા કેસમાં પંજાબ-હરિયાણા હાઇકોર્ટનો ચુકાદો
બાળકીનો મૃતદેહ સળગાવી દીધો હતો, ઓળખ કરવા માટે માતા પિતાનો ડીએનએ ટેસ્ટ કરવો પડયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચંડીગઢ, તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૬ –– સાત વર્ષની એક બાળકીનું અપહરણ, બળાત્કાર અને બાદમાં હત્યાના ગુનામાં ૨૧ વર્ષના યુવકને દોષિત ઠેરવીને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ૫૦ વર્ષ સુધી જેલમાં રાખવાની સજા ફટકારી હતી. સાથે જ હાઇકોર્ટે એક આકરી ટિપ્પણી પણ કરી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી પુરુષત્વના ઉન્માદનો સૂર્ય અસ્ત ના થાય ત્યાં સુધી તેને જેલમાં જ રાખવામાં આવે.હરિયાણાના કૈથલમાં વર્ષ ૨૦૨૨માં સાત વર્ષની બાળકી બપોર પછીના સમયે ગૂમ થઇ ગઇ હતી તેથી પરિવારે આ અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. બીજા દિવસે જ બાળકીનો સળગેલો મૃતદેહ કુરાર ગામના જંગલમાંથી મળી આવ્યો હતો.બાળકીનો ચેહરો બળી ગયો હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતું, એવામાં ગુમ થયાની ફરિયાદ કરનારા માતા પિતાના ડીએનએ સેમ્પલ મેચ કરવામાં આવ્યા તે બાદ પીડિત બાળકી કોણ છે તેની જાણકારી મળી શકી હતી. કૈથલની ટ્રાયલ કોર્ટે પોક્સ સહિતની વિવિધ કલમો હેઠળ આરોપી યુવકને બીજા જ વર્ષે દોષિત ઠેરવ્યો હતો અને ફાંસીની સજા ફટકારી હતી.આરોપીની ઓળખ સીસીટીવી કેમેરાના ફૂટેજથી થઇ હતી. કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ પુરાવાનો નાશ કરવા કે બચવા માટે બાળકીની હત્યા કરી દીધી હોવાનું સ્પષ્ટ થાય છે. બીજી તરફ અલ્લાહાબાદ હાઇકોર્ટે શારીરિક શોષણના મામલાને લઇને મહત્વનું અવલોકન કર્યું છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે શારીરિક શોષણની ફરિયાદમાં પુરાવાના અભાવને આગળ કરીને પોલીસ એફઆઇઆર દાખલ કરવાની ના ન પાડી શકે. સાથે જ હાઇકોર્ટે એમ પણ નોંધ્યું હતું કે જ્યારે પીડિતા ફરિયાદ લઇને આવે એ સમયે પોલીસ કાયદેસરની તપાસનો ભાર પીડિતા પર ના નાખી શકે. પોતાના આરોપોના પુરાવા તરીકે વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડિંગ કે અન્ય સામગ્રીના અભાવે પોલીસ ફરિયાદ દાખલ કરવાની ના ન પાડી શકે.

