સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ શ્રી યતિનભાઈ કાંતિભાઈ પ્રજાપતિ (માધવ ગ્રુપ) અને તેમના મંડળના તમામ સદસ્યોના આયોજનમાં આજ રોજ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત પ્રજાપતિ સમાજના યુવક-યુવતીઓ માટે આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાવનગર, વડોદરાથી લઈને અમદાવાદ સુધીના વિવિધ વિસ્તારોના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માન. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, વટવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ, બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહ તથા મણિનગરના ધારાસભ્ય ડો. હસમુખભાઈ પટેલ હાજર રહીને કાર્યક્રમને ગૌરવ વધાર્યું. વસ્ત્રાલ અને ઓઢવ વિસ્તારના કોર્પોરેટરોની પણ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની વિશિષ્ટતા રૂપે “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી”નો સંદેશ આપતો એક વિશિષ્ટ ડેમો રજૂ કરવામાં આવ્યો, જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સમર્પિત હતો. સાથે સાથે કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ માટે 5108 દીવડાઓથી આરતી કરીને શુભાશિષો સમર્પિત કરવામાં આવી હતી.
ગરબામાં પ્રજાપતિ સમાજના આશરે 800 થી વધુ યુવક-યુવતીઓએ પરંપરાગત વેશભૂષા સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં અંદાજે 3000 થી વધુ લોકો હાજર રહ્યા હતા. અંતે ખેલૈયાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા અને ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાળી, માળા પહેરાવી અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ પ્રમુખ શ્રી યતિનભાઈ તથા સમગ્ર મંડળ અને સમાજના સભ્યોની પ્રશંસા થઈ રહી છે.