Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
internationalPolitics

‘ઈરાનના તહેરાનમાં અંધાધૂંધ ગોળીબારમાં ૨૧૭ દેખાવકારોના મોત

ડૉક્ટરનો ચોંકાવનારો દાવો

આ વિરોધ પ્રદર્શનો ૨૮ ડિસેમ્બરથી આર્થિક સંકટ સામે શરૂ થયા હતા, પરંતુ હવે તે ઈરાનના તમામ ૩૧ પ્રાંતોમાં ફેલાઈ ચૂક્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. ઈરાની સરકારના નિર્દેશ પર સુરક્ષાદળો દ્વારા ઘણી જગ્યાએ ગોળીબાર કરવામાં આવી રહ્યો હોવાની વાતો સામે આવી રહી છે. ટાઈમ મેગેઝિન સાથેની વાતચીતમાં, એક ઈરાની ડોક્ટરે પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે દાવો કર્યો છે કે માત્ર રાજધાની તેહરાનની છ હોસ્પિટલોમાં જ ઓછામાં ઓછા ૨૧૭ પ્રદર્શનકારીઓના મોત નોંધાયા છે, જેમાંથી મોટાભાગના ગોળીબારમાં માર્યા ગયા છે. જોકે, ટાઈમ મેગેઝિને આ આંકડાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી.જો આ મૃત્યુઆંક સાચો હોય તો, તે ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોના ભયાનક દમન તરફ ઈશારો કરે છે.

આ વિરોધ પ્રદર્શનો ૨૮ ડિસેમ્બરથી આર્થિક સંકટ સામે શરૂ થયા હતા, પરંતુ હવે તે ઈરાનના તમામ ૩૧ પ્રાંતોમાં ફેલાઈ ચૂક્યા છે અને ઈસ્લામિક શાસનને ઉખાડી ફેંકવાની માંગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ‘આઝાદી’ અને ‘તાનાશાહ મુર્દાબાદ’ જેવા નારા લગાવી રહ્યા છે.ઈરાની ડોક્ટરે દાવો કર્યો કે, “જેમ-જેમ પ્રદર્શનો તીવ્ર બન્યા, ઘણા વિસ્તારોમાં સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓ પર સીધી ગોળીઓ ચલાવી. શુક્રવારે હોસ્પિટલોમાંથી મૃતદેહોને હટાવવામાં આવ્યા. મરનારાઓમાં મોટાભાગના યુવાનો હતા.

ઉત્તરી તેહરાનના એક પોલીસ સ્ટેશનની બહાર મશીનગનથી થયેલા ફાયરિંગમાં ઘણા પ્રદર્શનકારીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા.” આ દરમિયાન, ઈરાની પ્રદર્શનકારીઓએ તેહરાનની અલ-રસૂલ મસ્જિદમાં આગ લગાવી દીધી હોવાના પણ અહેવાલ છે.આ વિરોધ પ્રદર્શનો વચ્ચે ઈરાની નેતૃત્વએ કડક સંદેશ આપ્યા છે. સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામૈનીએ કહ્યું છે કે ‘ઈસ્લામિક રિપબ્લિક તોફાનીઓ સામે નહીં ઝૂકે’. તેહરાનના સરકારી વકીલે ચેતવણી આપી છે કે પ્રદર્શનકારીઓને મોતની સજા સુધી આપવામાં આવી શકે છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એક અધિકારીએ તો માતા-પિતાને પોતાના બાળકોને પ્રદર્શનોથી દૂર રાખવા, નહીંતર ગોળી વાગવા પર ફરિયાદ ન કરવાની પણ ધમકી આપી છે.માનવાધિકાર સંગઠનોએ મૃત્યુઆંક

ડોક્ટરના દાવા કરતાં ઓછો જણાવ્યો છે. વોશિંગ્ટન સ્થિત હ્યુમન રાઈટ્‌સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૬૩ લોકોના મોત થયા છે, જેમાં ૪૯ નાગરિકોનો સમાવેશ થાય છે. જોકે, ઈરાનમાં મીડિયા પર સરકારી નિયંત્રણ અને વિદેશી સમાચાર એજન્સીઓ પર કડક પ્રતિબંધોને કારણે મૃત્યુના આંકડાઓમાં ભિન્નતા જોવા મળી રહી છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખામૈનીના નેતૃત્વવાળા ઈસ્લામિક શાસનને ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓની હત્યા થઈ તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે.

Related posts

પાક.માં આર્મી ચેક પોસ્ટ ઉપર આત્મઘાતી હુમલામાં ૧૮ના મોત

Master Admin

નવસારી ભાજપમાં ભડકો, બે મહામંત્રીઓએ આપ્યા રાજીનામા

Master Admin

કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી મ્ત્નઁની પોસ્ટર વોર

Master Admin
Translate »