Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Politics

બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે

  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન
  • પ્રયાગરાજમાં સીએમ યોગીએ કહ્યું કે, આજે હિન્દુ સમાજમાં જાતિ, મત અને સંપ્રદાયના નામ પર ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજ, તા.૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે, જેમાં લઘુમતીઓ તેનો શિકાર બની રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં ૭ જેટલા હિન્દુઓનો ભોગ લેવાયો છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે વિપક્ષ પર મોટા પ્રહાર કર્યા છે. પ્રયાગરાજમાં જગદગુરૂ રામાનંદાચાર્યની ૭૨૬મી જયંતિ સમારોહને સંબોધિત કરતા સીએમ યોગીએ કહ્યું કે, આજે હિન્દુ સમાજમાં જાતિ, મત અને સંપ્રદાયના નામ પર ભાગલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું કે, આ ભાગલા એ રીતે વિનાશનું કારણ બનશે, જે આજે બાંગ્લાદેશમાં જોવા મળી રહ્યા છે.

યોગીએ કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે જે કંઈ થઈ રહ્યું છે, તેના પર કહેવાતા સેક્યુલરિઝમનો ઠેકો લઈને ચલનારા લોકો મૌન છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, એવું લાગે છે કે જાણે કોઈ તેમના મોં પર ફેવિકોલ ચીપકાવી દીધી હોય કે ટેપ ચીપકાવી દીધી હોય. બાંગ્લાદેશની ઘટનાઓને લઈને ન તો કોઈ કેન્ડલ માર્ચ નિકળી રહી છે, ન તો કોઈ અવાજ ઉઠાવાઈ રહ્યા છે. આ સ્થિતિ આપણા સૌ માટે એક મોટી ચેતવણી છે.

પ્રયાગરાજમાં સનાતન ધર્મ અને સમાજની એકતાને લઇને સીએમ યોગીએ કહ્યું કે, ગત પાંચ-છ દિવસોમાં માઘ મેળામાં ૧ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે, એ સ્પષ્ટ સંકેત છે કે સનાતન આસ્થા આજે પણ સંપૂર્ણ રીતે જીવંત અને પ્રબળ છે. મુખ્યમંત્રીએ તેને સમાજની સામૂહિક આસ્થા અને વિશ્વાસની અનોખી શક્તિ ગણાવી.

યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે, સનાતન આસ્થાને વધુ મજબૂત કરવા માટે ડબલ એન્જિનની સરકાર સતત જનતાની સાથે છે. સમાજની જવાબદારી બને છે કે હિન્દુઓને તોડવા અને ભાગલા પાડનારા લોકોને કોઈપણ સંજોગોમાં ઉદભવવા ન દે. સમાજમાં એકતાને નબળી પાડનારા કોઈપણ પ્રયાસને રોકવા જોઈએ અને આગળ ન વધવા દેવા જોઈએ.

મુખ્યમંત્રીએ કહ્યું કે, જો સમાજ એકજુટ થઈને દૃઢ સંકલ્પ સાથે આગળ વધે છે તો આવનારો સમય સનાતન ધર્મનો હશે. જે પ્રકારે ભવ્યતા અને દિવ્યતા સાથે સનાતન ધ્વજ (અયોધ્યામાં) ફરકાવાઈ રહ્યો છે, તે રીતે આખા વિશ્વમાં સનાતન ધર્મની ઓળખ સ્વાભાવિક રીતે સ્થાપિત થશે. જ્યારે સનાતનની શક્તિ અને સમાજની એકતા વિશ્વ સમક્ષ આવશે, તો કોઈપણ જગ્યાએ હિન્દુ સમાજ, ખાસ કરીને નબળા અને દલિત વર્ગના લોકો વિરુદ્ધ હિંસાનું દુસ્સાહસ નહીં થાય.

મુખ્યમંત્રીએ ભાર આપતા કહ્યું કે, સનાતન ધર્મની મજબૂતી માત્ર આસ્થાથી નથી, પરંતુ સમાજની એકતા, સજાગતા અને સામૂહિક સંકલ્પથી સંભવ છે. એકજૂટ રહીને સનાતન મૂલ્યોની રક્ષા અને તેના વિસ્તાર માટે સતત પ્રયાસ કરો. સેક્યુલરિઝમનો ઠેકો લઈને ચાલનારા લોકો હિન્દુ સમાજ અને સનાતન ધર્મને નબળો પાડવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દે છે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર પર તેના મોં બંધ છે, લાગે છે કોઈએ ફેવિકોલ ચીપકાવી દીધો છે.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગ્યા! ૧ મે બાદ યોજાશે

Master Admin

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર

Master Admin

નામમાં સ્પેલિંગ મિસ-મેચ બાબતે ચૂંટણી પંચને સંવેદનશીલ રહેવા સુપ્રીમનો નિર્દેશ

Master Admin
Translate »