મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ
મણિપુરના ૨૦થી વધુ ભાજપ ધારાસભ્યો પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મણિપુર, તા.૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — મણિપુરના ૨૦થી વધુ ભાજપ ધારાસભ્યો પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા છે. પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ પણ તેમની સાથે છે. મણિપુર ભાજપના પ્રમુખ અધિકારીમાયુમ શારદા દેવીએ જણાવ્યું કે, તમામ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. અમને આશા છે કે જનતાની સરકાર બનશે.
પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે કહ્યું, એનડીએના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોને બેઠકમાં આમંત્રણ આપવામાં આવી રહ્યું હોવાથી, મને સકારાત્મક પરિણામની આશા છે. અગાઉ, ભાજપના તમામ ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રપતિ શાસન ૧૨મી ફેબ્રુઆરીએ સમાપ્ત થાય છે. અમને સકારાત્મક પરિણામની આશા છે.
એન. બિરેનને પૂછવામાં આવ્યું કે જો તે સત્તામાં હોત તો પરિસ્થિતિ અલગ હોત, ત્યારે તેમણે કહ્યું, સરકાર એક ચાલુ પ્રક્રિયા છે. મેં મણિપુરમાં પરિસ્થિતિ બદલવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યાં.
પહાડી અને ખીણ બંને વિસ્તારોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. લામસંગ મતવિસ્તારના ધારાસભ્ય એસ. રાજન સિંહે કહ્યું, સરકાર રચવાની શક્યતા છે. જોકે, રાજ્યની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નેતાની પસંદગી કરવામાં આવશે. આ બેઠક સોમવારે સાંજે થવાની શક્યતા છે.
ધારાસભ્ય એચ. ડિંગોએ જણાવ્યું હતું કે બેઠક સોમવારે સાંજે યોજાવાની છે, પરંતુ હજુ સુધી એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી. અમને આજે જ દિલ્હી પહોંચવાનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છેકે, મે ૨૦૨૩થી મણિપુરમાં મૈતેઈ અને કુકી-ઝો જૂથો વચ્ચે વંશીય હિંસામાં ૨૬૦થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. ગયા વર્ષે ૧૩મી ફેબ્રુઆરીએ એન બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેન્દ્રએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. રાજ્ય વિધાનસભા, જેનો કાર્યકાળ ૨૦૨૭માં સમાપ્ત થાય છે, તેને સ્થગિત કરવામાં આવી હતી. ૬૦ સભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપ પાસે ૩૭ ધારાસભ્યો છે. NDA સાથી NPP અને નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના રાજ્યમાં અનુક્રમે છ અને પાંચ ધારાસભ્યો છે.

