Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujaratPolitics

સરકારી કાર્યક્રમોમાં પ્રોટોકોલના ભંગ બદલ ધારાસભ્યોની નારાજગી

એક વર્ષમાં ૩ ફરિયાદ મળ્યાની ગૃહમાં સરકારી કબૂલાત!

તુષાર ચૌધરી, પ્રદ્યુમન વાજા અને કુંવરજી હળપતિએ પ્રોટોકોલ ભંગ અંગે રજૂઆત કરી હોવાની માહિતી સામે આવી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — આજે વિધાનસભાના ગૃહમાં પ્રશ્નોતરી સમયમાં પ્રોટોકલ વિભાગના પ્રશ્નોની ચર્ચા યોજાઇ હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ સરકારી કાર્યક્રમોમાં લોકપ્રતિનિધિઓના પ્રોટોકોલ જાળવવા અંગે વિધાનસભામાં મહત્વની માહિતી રજૂ કરવામાં આવી છે. કોંગ્રસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે, ’છેલ્લા એક વર્ષમાં પ્રોટોકોલ ભંગ અંગે કુલ ૩ રજૂઆતો અંગેની ફરિયાદો સરકારને મળી છે.’
આ અંગે ગૃહમાં સરકારે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, સંસદસભ્યો અને ધારાસભ્યો માટે પ્રોટોકોલ સંબંધિત પરિપત્રો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૮/૧૦/૨૦૨૧ અને ૩૧/૦૫/૨૦૨૩ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જો આ પ્રોટોકોલનું પાલન ન કરવામાં આવે તો જવાબદાર અધિકારીઓ સામે નિયમાનુસાર ગંભીર નોંધ લઈ પગલાં ભરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી, ભાજપના ધારાસભ્ય ડો. પ્રદ્યુમ્ન વાજા અને તત્કાલિન રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા પ્રોટોકોલ ભંગ અંગેની ફરિયાદ કરી હતી.

રાજ્યમાં સરકારી કાર્યક્રમો અને લોકાર્પણ વિધિઓ દરમિયાન પ્રોટોકોલના પાલનને લઈને વિવાદ સર્જાયો છે. ખેડબ્રહ્માના ધારાસભ્યથી લઈને રાજ્યકક્ષાના મંત્રી સુધીના મહાનુભાવોએ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી અવગણના અંગે સરકારમાં ગંભીર રજૂઆતો થઈ ચૂકી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીની ફરિયાદ અનુસાર સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે ૫ મે ૨૦૨૫ના રોજ યોજાયેલા ખેડૂત તાલીમ કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રોટોકોલનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. જે-તે સમયે ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ ફરિયાદ કરી હતી કે, ઈ-આમંત્રણ કાર્ડમાં સ્થાનિક ધારાસભ્ય તરીકે તેમનું નામ લખવામાં આવ્યું ન હતું. તેમની રજૂઆત બાદ તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લાના ચારેય ધારાસભ્યોના નામ સાથેનું બીજું આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું હતું.

જ્યારે કોડિનારના ભાજપના તત્કાલીન ધારાસભ્ય અને હાલના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ પણ મે ૨૦૨૫ દરમિયાન યોજાયેલા વિવિધ સરકારી કાર્યક્રમોમાં પ્રોટોકોલના ભંગ અંગે રજૂઆત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે, લોકાર્પણની તકતીમાં તેમનું નામ લખવામાં આવ્યું ન હતું, અને તેમને સ્ટેજ પર સંબોધન કરવાની તક પણ આપવામાં આવી ન હતી. વધુમાં, તેમને કાર્યક્રમ અંગેની અગાઉથી જાણકારી પણ આપવામાં આવી ન હોવાનું તેમણે જણાવ્યું છે.

આ વિવાદ માત્ર ધારાસભ્યો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તત્કાલીન મંત્રી કુંવરજી હળપતિ સાથે પણ આવી પ્રેટોકોલ ભંગ થયાની ઘટના સામે આવી છે. જે-તે સમયે ભરૂચ જિલ્લાના વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમોમાં જિલ્લા કલેક્ટર દ્વારા તેમની સાથે કોઈ સંકલન સાધવામાં આવ્યું ન હોવાની ફરિયાદ ત્કાલીન રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ કરી હતી. તેમને માત્ર વોટ્‌સએપના માધ્યમથી આમંત્રણ પત્રિકા મોકલી દેવાઈ હતી, તેમાં પણ પ્રભારી મંત્રી તરીકે તેમના નામ કે હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો તેવી ફરિયાદ કરી હતી.

આ ત્રણેય ફરિયાદ સામે સરકારની કાર્યવાહી કરી કબૂલાત પ્રોટોકોલ મંત્રી કહ્યું કે, આ તમામ રજૂઆતોને પગલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છે કે સરકારી કાર્યક્રમોમાં જનપ્રતિનિધિઓના સરકારી પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેમ જણાવ્યું હતું. તેમજ ભરૂચ અને ગીર સોમનાથ સહિતના જિલ્લા કલેક્ટરોને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેની તકેદારી રાખવા આદેશો આપવામાં આવ્યા છે. આમ સરકારી કાર્યક્રમોમાં પ્રોટોકોલના ભંગ બદલ ધારાસભ્યોની નારાજગી અંગે ગૃહમાં ચર્ચાઇ હતી.

Related posts

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની દિલ્હીમાં બેઠક

Master Admin

કોંગ્રેસની અરથી ઉઠાવવા માટે ૪ પણ ન રહે તેનું ધ્યાન રાખજો

Master Admin

મને ગર્વ છે કે હું ભણ્યો છું, હું ૮ પાસ નથી : ઈટાલિયા

Master Admin

Leave a Comment

Translate »