Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Educationnational

NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા

ખાનગી કોચિંગના મટીરિયલમાંથી સવાલો પૂછાયાનો દાવો

એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬માં ગેરરીતિ અને પેપર લીકની આશંકા વ્યક્ત કરી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૧૬ જૂન ૨૦૨૬ — સંઘ લોક સેવા આયોગ (UPSC) પ્રિલિમ્સ ૨૦૨૬નું પરિણામ સોમવારે રાત્રે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામની સાથે જ યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬ને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬માં કથિત ગેરરીતિ અને પેપર લીક થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દેશમાં ચાલી રહેલા NEET પેપર લીક વિવાદની વચ્ચે હવે યુપીએસસી પ્રિલિમ્સને લઈને નવો હોબાળો મચી ગયો છે.

એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬માં ગેરરીતિ અને પેપર લીકની આશંકા વ્યક્ત કરી છે. જાખડે આ અંગે એનએસયુઆઈના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે આરોપ લગાવતા કહ્યું કે, ‘૨૪ મેના રોજ યોજાયેલી પ્રિલિમ્સ પરીક્ષા આપનારા કેટલાક ઉમેદવારો એનએસયુઆઈ ઓફિસે આવ્યા હતા, જેમણે પ્રિલિમ્સનું પેપર લીક થયું હોવાની શંકા વ્યક્ત કરી છે.

તેઓએ દાવો કર્યો છે કે, યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬ની પરીક્ષામાં પૂછાયેલા ૧૦૦ માંથી ૮૨ સવાલો એક ખાનગી કોચિંગ સંસ્થા ’અનંતમ IAS’ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટડી મટીરિયલ સાથે મેળ ખાય છે.

એનએસયુઆઈ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જાખડે એવો પણ આક્ષેપ કર્યો છે કે, યુપીએસસી પ્રિલિમ્સ ૨૦૨૬માં પૂછાયેલા ઘણા સવાલો માત્ર ખાનગી કોચિંગ સંસ્થાના સ્ટડી મટીરિયલને મળતા આવતા હતા એટલું જ નહીં, પરંતુ તે સવાલોની ભાષા અને તેની રજૂઆત પણ બિલકુલ તેના જેવી જ હતી.

જાખડે આ ખાનગી કોચિંગ સંસ્થા પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. જાખડે આક્ષેપ કર્યો કે, યુપીએસસી પ્રિલિમ્સની પરીક્ષા પૂરી થયા પછી આ ખાનગી કોચિંગ સંસ્થા દ્વારા સંબંધિત સ્ટડી મટીરિયલમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને મટીરિયલ સાથે જોડાયેલી તારીખોમાં પણ કથિત રીતે હેરફેર કરવામાં આવી હતી.

એનએસયુઆઈ દ્વારા આ સમગ્ર મામલે યુપીએસસીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે, જેમાં આ બાબતની પારદર્શક તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. એનએસયુઆઈ એ આ મુદ્દે યુપીએસસી પાસે સ્પષ્ટતા અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. બીજી તરફ, આ સમગ્ર વિવાદ અને પેપર લીકની આશંકાઓ અંગે યુપીએસસી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

Related posts

દેશના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક

Master Admin

એસિડ એટેકના કેસથી સુપ્રીમ ચિંતિત, સજામાં વધારો કરવા કેન્દ્રને ભલામણ

Master Admin

નેશનલ હાઈવે પર બિઝનેસ કરવા ઓનલાઈન મળશે NOC

Master Admin

Leave a Comment

Translate »