દર વર્ષે ૮૦ કરોડથી વધુનું નુકસાન : રિપોર્ટ
ભારતની આશરે ૮૪% બેંકિંગ સંસ્થાઓએ છેલ્લા એક વર્ષમાં ફ્રોડના કારણે થતા નાણાકીય નુકસાનમાં મોટો વધારો નોંધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ જૂન ૨૦૨૬ — આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી જ્યાં એકતરફ નાણાકીય ક્ષેત્રને આધુનિક બનાવી રહી છે, ત્યાં બીજી તરફ તે ભારતીય બેંકિંગ સેક્ટર માટે એક મોટો માથાનો દુખાવો બની ગઈ છે. બાયોકેચ દ્વારા કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, ભારતની આશરે ૮૪% બેંકિંગ સંસ્થાઓએ છેલ્લા એક વર્ષમાં ફ્રોડના કારણે થતા નાણાકીય નુકસાનમાં મોટો વધારો નોંધ્યો છે. આ સર્વેમાં વિશ્વના ૨૫ દેશોના ૧,૪૪૦ નાણાકીય લીડર્સે ભાગ લીધો હતો, જેમાં ભારત આર્થિક કૌભાંડો અને AIઆધારિત ડિજિટલ જોખમોથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં મોખરે રહ્યું છે.
આ અહેવાલમાં બેંકિંગ અને નાણાકીય ગુના નિવારણ સાથે જોડાયેલા ભારતના ૧૦૦ અગ્રણી નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. તેમાંથી આશ્ચર્યજનક રીતે ૯૦% નિષ્ણાતોએ સ્વીકાર્યું છે કે તેમની સંસ્થાઓમાં છેતરપિંડીના પ્રયાસોમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જે ૮૧%ના વૈશ્વિક સરેરાશ કરતાં ઘણો વધારે છે. અગાઉના વર્ષના સર્વેમાં આ આંકડો માત્ર ૭૦% હતો, જે દર્શાવે છે કે સાયબર ગુનેગારો હવે ભારતીય બેંકોને વધુ નિશાન બનાવી રહ્યા છે. આ ઉપરાંત, ૮૪% ઉત્તરદાતાઓ માને છે કે આગામી વર્ષમાં ફાઇનાન્સ સેક્ટરમાં સુરક્ષાની દ્રષ્ટિએ છૈં એજન્ટ્સ સૌથી નબળી કડી સાબિત થઈ શકે છે.
સર્વેક્ષણમાં નાણાકીય છેતરપિંડીમાં AIની સક્રિય ભૂમિકા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતના ૯૩% નાણાકીય લીડર્સ માને છે કે AIના કારણે સાયબર ક્રિમિનલ્સના કૌભાંડોની રીતો વધુ હાઈટેક અને જટિલ બની ગઈ છે. વળી, ૯૦% લોકોનું કહેવું છે કે ભવિષ્યમાં છૈંની મદદથી કરવામાં આવતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને સામાન્ય ગ્રાહકોની સાચી પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત પારખવો બેંકો માટે અત્યંત મુશ્કેલ બની જશે.
ભારતીય બેંકિંગ લીડર્સ સાયબર છેતરપિંડી જે ઝડપથી અંજામ આપવામાં આવે છે તેનાથી સૌથી વધુ ચિંતિત છે. ભારતમાંથી ૯૫% ઉત્તરદાતાઓએ ફ્રોડની વધતી સ્પીડ અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેની સામે વૈશ્વિક સરેરાશ માત્ર ૭૬% છે. આ ફ્રોડના કારણે ભારતીય બેંકોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે, જેમાં સર્વેક્ષણમાં સામેલ લગભગ અડધી (૪૮%) ભારતીય બેંકો દર વર્ષે ૧૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૮૩ કરોડ રૂપિયાથી વધુ ગુમાવી રહી છે.
અહેવાલમાં સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ ડિજિટલ ફ્રોડના મુખ્ય સ્ત્રોત બની રહ્યા છે.
ભારતના ૬૬% બેંકિંગ લીડર્સે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ દ્વારા થતા સ્કેમને વક્રી રહેલી છેતરપિંડીનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે, જે ૫૯%ના વૈશ્વિક સરેરાશથી ઘણું વધારે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારતભરમાં UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ)ના ઝડપી સ્વીકાર અને ડિજિટલ ક્રાંતિએ સાયબર ઠગો માટે છેતરપિંડીના નવા અને સરળ રસ્તાઓ ખોલી આપ્યા છે.

