અમદાવાદ, ગુજરાત | ૦૯ મે ૨૦૨૬ | ૮ મે એટલે વર્લ્ડ થેલેસેમિયા દિવસ.. થેલેસેમિયા મેજર નામની મહાભયાનક બીમારીને સમગ્ર સમાજમાંથી જાકારો આપવા માટે અનેક સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે અમદાવાદ મુકામે શ્રી જલારામ અભ્યુદાય સદભાવના ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ અસારવાની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી પ્રાપ્ત થયેલ જૂની જહાંગીરપુરાની શાળાના મકાનમાં કાર્યરત થેલેસેમિયા ડે કેર સેન્ટર 250 થી પણ વધારે બાળકોની સુખાકારી માટે કાર્યરત છે ત્યારે વર્લ્ડ થેલેસેમિયા ડે ના રોજ થોળ – કડી રોડ ઉપર શેડફા ખાતે આવેલા પ્રખ્યાત એવા જલમાંજર ફાર્મમાં બાળકો અને તેમના માતા-પિતા માટે આનંદોત્સવનું આયોજન થયું.
વહેલી સવારે ચાર બસો દ્વારા તમામ બાળકો તથા તેમના માતા પિતાને થેલેસેમિયા ડે કેર સેન્ટરથી જલમાંજર ખાતે આવી તેમને નાસ્તો ભોજન અને સાંજનું જમણ પૂર્ણ કર્યા બાદ સૌને પરત તેમના ગંતવ્ય સ્થાન માટે મૂકવામાં આવ્યા હતા. આખા દિવસ દરમિયાન વિવિધ પ્રકારની સંવાદિત અને મનોરંજનની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
વિવિધ પ્રકારની રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકો માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા છ વર્ષથી થેલેસેમિયા ડે કેર સેન્ટર દ્વારા બાળકો માટે ભોજન સહિતની વિવિધ સવલતો સવલતો, મેડિકલ સેવાઓ, દવાઓ, તમામ પ્રકારના મેડિકલ ટેસ્ટ, ડોક્ટરોનું માર્ગદર્શન તથા અન્ય તમામ જરૂરી સેવાઓ સંપૂર્ણપણે નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે. આ ભગીરથ કાર્યમાં તથા માતબર રકમના ખર્ચને પહોંચી વળવા માટે જે જે દાતાશ્રીઓ દ્વારા પોતાની લક્ષ્મી આરોગ્ય યજ્ઞમાં અર્પણ કરવામાં આવે છે તે તમામનો પણ આ તબક્કે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટની આખી ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ. સાથે સાથે આ કાર્યમાં સહયોગી સંસ્થાઓ સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, પ્રથમા બ્લડ બેન્ક, સર્વોદય બ્લડ બેન્ક પણ સતત કાર્યરત રહે છે.
આખા વર્ષની ખૂબ મોટી રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ સમયાંતરે વિવિધ સમાજસેવી સંસ્થાઓ વ્યવસાયિક પ્રતિષ્ઠાનો સંસ્થાના શુભેચ્છકો તથા સક્રિય ટીમ મેમ્બરો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ ની સમગ્ર ટીમ વતી જલમાંજર ફાર્મ વતી સહયોગી શ્રી કિરીટભાઈ તથા મૌલિકભાઈ શાહ પરિવાર અને આખી ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી મેમેન્ટો અર્પણ કરવામાં આવેલ.

