E20 સસ્તું કરો, શુદ્ધ પેટ્રોલનો વિકલ્પ આપો
પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે ઈથેનોલને પ્રોત્સાહન આપવા પાછળ અમેરિકાનું દબાણ હોવાનો આક્ષેપ કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ ઓગસ્ટ ૨૦૨૬ –– E20 ફ્યુઅલને લઈને દિલ્હીના કોન્સ્ટીટ્યુશન ક્લબમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ટાઉનહોલ મીટિંગ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી અનેક નિષ્ણાતો, વાહન માલિકો અને આ નીતિથી પ્રભાવિત લોકો સામેલ થયા હતા. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે, ૬,૦૦૦૦૦ થી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. ટાઉનહોલમાં થયેલી ચર્ચાના આધારે અવિંદ કેજરીવાલે સરકાર સમક્ષ ૩ મુખ્ય માંગણીઓ મૂકી હતી. પસંદગીનો વિકલ્પઃ પેટ્રોલ પંપ પર ગ્રાહકો પાસે પસંદગીનો વિકલ્પ હોવો જોઈએ. જે લોકો E20 ઇંધણ ઇચ્છે છે, તેઓ E20 ખરીદે અને જેમને શુદ્ધ પેટ્રોલ પસંદ છે, તેમની પાસે શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ હોવો જોઈએ.
ઓછી કિંમતઃ E20 ઇંધણની કિંમત શુદ્ધ પેટ્રોલ કરતાં ઓછી હોવી જોઈએ.
પેટ્રોલના ભાવમાં ઘટાડોઃ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો ઓછી હોવાના કારણે, પેટ્રોલની રિટેલ કિંમત ૮૪ રૂપિયા પ્રતિ લીટરથી ઓછી હોવી જોઈએ.
કેજરીવાલે પૂછ્યું કે, જો ઈથેનોલ કોઈ પણ દ્રષ્ટિએ ફાયદાકારક નથી તો, તેને પ્રોત્સાહન કેમ આપવામાં આવી રહ્યું છે? તેનાથી લોકોને મુશ્કેલી પડી રહી છે, માઇલેજ ઓછું મળે છે, અને વાહનો ખરાબ થઈ રહ્યા છે. કેજરીવાલે આક્ષેપ કર્યો કે, તપાસ કરતા ખબર પડી કે આ બધું અમેરિકાના દબાણમાં કરવામાં આવી રહ્યું છે.
કેજરીવાલે ઉમેર્યું કે, હાલમાં સરકાર એવું કહી રહી છે કે, E25અને E30 પર અભ્યાસ ચાલી રહ્યો છે, પરંતુ આ બાબત શાંત થતાં જ સરકાર E25, E30 અને E40 લાગુ કરી દેશે. કોઈ યોગ્ય અભ્યાસ કર્યા વગર જ સરકારે આ ઇંધણ લોકો પર જબરદસ્તીથી લાદી દીધું છે.

