સારરૂપમાં સનાતન ધર્મનું દર્શન કરવું હોય તો રામચરિતમાનસ જુઓ.
માનસનાં ધર્મરથની આખી વાત સનાતન ધર્મનું દર્શન કરાવે છે.
વ્યાસપીઠ પર રચાઇ નાનકડી સનાતન ધર્મસંસદ.
સનાતન ધર્મની આત્મા કહે છે કે એ ફોલોવર્સ નહિ,પણ ફ્લાવર્સ બનાવે છે.
ભારતમાં રહીને આપણે બધા જ ભારતીય છે અને ગાયનું દૂધ અમૃત છે,ગાયનું ઘી દવા છે,ગાય એક પ્રાણી નહીં આખા વિશ્વનો પ્રાણ છે:ચીફ ઇમામ ઓફ ઇન્ડિયા.
દિલ્હીનાં ભારત મંડપમ્ ખાતે ચાલી રહેલી રામકથા આઠમા દિવસમાં પ્રવેશી ત્યારે આરંભે કથા વાચિકા અને મૂક પ્રાણીઓ પ્રત્યે સેવા કરતી ચિત્રલેખાજીએ વ્યાસ વંદના કરી અને પોતાની વાત કરતા કહ્યું કે અતિ કૃપા હોય ત્યારે આવા સદગુરુ મળે છે.સાધુનાં એક-એક આભૂષણો બાપુમાં દેખાય છે.ગુરુ રાજ રાજેશ્વરજીએ પોતાનો ભાવ રાખ્યો.સ્વામી મૈથિલિ શરણજી અને આચાર્ય મનીષજીએ પણ સમયોચિત પ્રવચન કર્યું.
કથા આરંભ કરતા બાપુએ કહ્યું કે ગઈ રાત્રે એક પત્ર મળ્યો,થોડોક આક્રમક પત્ર હતો.જાણવા માગતા હતા કે તમે જે ગ્રંથને લઈને સનાતન ધર્મની વાત કરો છો એ ગ્રંથમાં સનાતન ધર્મની કોઈ ગંધ છે કે નહીં? બાપુએ કહ્યું કે ગંધ તો એને આવે જેને નાક હોય! એને મહેસુસ થાય.પણ વેદોના જેટલા ભાષ્યકાર થયા છે.જેણે વેદ વિચારને વ્યાપક બનાવ્યા છે એમાંના એક ભગવાન સાયનાચાર્યજીએ કહ્યું છે કે ચાર બિંદુ છે સનાતન ધર્મના ગ્રંથ માટે:
એ છે જ્ઞાન વિજ્ઞાનની જેમાં વાતો હોય,જે જીવને પ્રમાદી ન બનાવે પણ કર્મયોગી બનાવે,ત્રીજું બિંદુ કહ્યું ઉપાસના પદ્ધતિનું જ્ઞાન આપે અને આ બધું જ કરતા-કરતા સાધકને શરણાગતિ અને પ્રપન્નતા તરફ ગતિ કરાવે.આ ન્યાયથી કહીએ તો
રામચરિતમાનસ સનાતન ધર્મનો અંતિમ ગ્રંથ છે. કારણ કે આ ચારેય વસ્તુ રામચરિત માનસનાં આરંભમાં છે.રામકથાના ચાર ઘાટ-કૈલાશપીઠનો જ્ઞાનઘાટ,કર્મઘાટ, ઉપાસના ઘાટ અને તુલસીજીનો દીનતા અને પ્રપન્નતાનો ઘાટ-જ્યાંથી રામકથા શરૂ થાય છે.
સારરૂપમાં સનાતન ધર્મનું દર્શન કરવું હોય તો રામચરિતમાનસ જુઓ. લંકાકાંડમાં રાવણ રથ પર અને રામને પગપાળા યુદ્ધ કરતા જોઈ વિભિષણ અધીર થયો ત્યારે રામે કહ્યું કે જેનાથી વિજય મળે છે એ રથ અલગ હોય છે અને ત્યાં ધર્મરથની આખી વાત સનાતન ધર્મનું દર્શન કરાવે છે.
શ્રીમદ ભાગવતમાં સનાતન ધર્મના ૩૦ લક્ષણો બતાવ્યા છે.આ ૩૦નો દશાંશ-એટલે ત્રણ લક્ષણો કથાના પૂર્ણાહુતિના દિવસે હું કહીશ.
સનાતન ધર્મના ૧૮ જેટલા પ્રતીકો ગુજરાતી લેખક, કવિ ગાયક મનોજ જોશી તરફથી મોકલવામાં આવ્યા એનું પઠન પણ કર્યું અને ઓશોએ સનાતન ધર્મ વિશે જે-જે મુદ્દાઓ કહેલા એ ચિંતક-પ્રવચક-લેખક ભદ્રાયુભાઈ વચ્છરાજાનીએ મોકલેલા એની વાત પણ બાપુએ કરી.
સનાતન ધર્મની આત્મા કહે છે કે એ ફોલોવર્સ એટલે કે અનુયાયી નહીં પણ ફ્લાવર્સ બનાવે છે.સનાતન ધર્મના પ્રતીકોમાં સૌથી પ્રથમ પ્રતીક ઓમ છે.એ સિવાય સ્વસ્તિક,ત્રિશુલ,શંખ,કમળનું ફૂલ,શ્રી યંત્ર, નટરાજ,દીવો,કળશ,રુદ્રાક્ષ,તુલસીપત્ર,ચક્ર,નંદી, અક્ષય વટ,નમસ્કારની મુદ્રા,તિલક,હંસ વગેરે છે.
વ્યાસપીઠ ઉપર યોજાઈ એક નાનકડી સનાતન ધર્મસંસદ.
વિશ્વ શાંતિ મિશનનું સપનું પૂરું કરવા માટે પાંચ વિવિધ ધર્મમાંથી આવેલા ધર્મચાર્યો- પ્રતિનિધિઓએ એકબીજા સાથે હાથ ભેળવીને ઉભા રહી અને પોતાની પ્રતિભદ્રતા વ્યક્ત કરી.જેમાં શીખ ધર્મના ભાઈ પરમજીતસિંહ,નેક્સ્ટ ટુ દલાઇ લામાં ગણાય એવા બૌદ્ધ ભિક્ષુ સંગમ સંઘજી,શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર આચાર્ય નર્મદાશંકર પુરીજી અને ચીફ ઈમામ ઓફ ઇન્ડિયા-જેને કૃષ્ણના વંશજ ગણાવવામાં આવે છે એણે પોત-પોતાની વાત રજૂ કરી.
એ બધી વાતનો સુર એ હતો કે અત્યાર સુધી આ હોલમાં અનેક કાર્યક્રમો થયા પણ આટલો સારો ઐતિહાસિક કાર્યક્રમ થયો નથી.
ચીફ ઇમામ ઓફ ઇન્ડિયા કે જે રામ મંદિર પ્રતિષ્ઠા વખતે પણ જેને આમંત્રણ મળેલું તેણે પોતાની વાત કરતા જણાવ્યું કે જીવનમાં પહેલી વખત રામકથામાં ઉપસ્થિત થયો છું.પણ આપણા બધાના વિચારો ખૂબ સંકીર્ણ બની ગયા છે.નમાજ સંસ્કૃતનો ભારતીય શબ્દ છે.સાઉદી અરબમાં નમાજ કહીએ તો કોઈ સમજતું નથી.નમા એટલે ઝૂકવું અને અજ એટલે ઈશ્વર.ઈશ્વરની સામે ઝૂકી જઈએ એને નમાજ કહે છે.રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ગયો ત્યારે ઘણા જ ફતવાઓ મારા વિરુદ્ધ નીકળેલા,માફી માંગવાની વાત કરેલી, આજે ફરીથી બધાની સામે કહું છું કે હું ક્યારેય માફી નહીં માંગુ.ભારતમાં રહી અને આપણે બધા જ ભારતીય છે અને સાથે પોતાની વાતને ટેકો આપતા કહ્યું કે ગાયનું દૂધ અમૃત છે,ગાયનું ઘી દવા છે અને ગાય એક પ્રાણી નહીં આખા વિશ્વનો પ્રાણ છે આવું બાપુની સામે કહેવા આવ્યો છું.
એ જ રીતે લોકેશ મુનીએ પણ જણાવ્યું તે મારા આ આયોજનને કારણે જૈન ધર્મના તમામ ફીરકાઓ તરફથી મને ટેકો મળ્યો છે.પાંચ ખુરશી ઉપર જાણે કે નાનકડા ભારતનું સનાતનનું સ્વરૂપ દેખાય છે.લોકેશ મુનિએ કહ્યું કે હું કોઇ પંથ કે કોઇ વાસી નહિ પણ
હું મહાવીરવાસી છું,મહાવીર પંથી છું.

