સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’!
ઈવી પોલિસીનો મોટાઉપાડે એલાન કરી દીધુ પણ સરકારે ઈવી વાહનોનું વધુ વેચાણ થાય તે માટે ઝાઝો રસ દાખવ્યો નહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૯ મે ૨૦૨૬ — પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવવધારાથી સામાન્ય નાગરિકની કમર ભાંગી ગઈ છે, ત્યારે પ્રદૂષણ મુક્તિ માટે ઈલેક્ટ્રિક વાહનો અપનાવવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. ત્યારે સરકાર ગમે તેટલી ડિજિટલ પીપૂડી વગાડે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ડેક્સ સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત છેક ૧૬મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. વાહન ચાર્જિંગ પોઈન્ટ ઉપલબ્ધ કરાવવાની બાબતમાં રાજ્ય દેશમાં ૨૨મા ક્રમે અને કોમર્શિયલ ઈલેક્ટ્રિક વાહનો અપનાવવામાં ૨૭મા ક્રમે ફસડાયું છે. આ આંકડા સાબિત કરે છે કે સરકાર પાસે માત્ર ભાષણોનું જ રિચાર્જ છે, વાહનો ચાર્જ કરવાનું કોઈ ઠેકાણું નથી.ગુજરાતની EV પોલીસીની અમલવારીમાં પાંચ-પાંચ વર્ષ થયા છતાં કેવી અમલવારી કરી છે અને કેટલી ઈચ્છા શક્તિ છે તેની પોલ કેન્દ્ર સરકારના અહેવાલમાં જ ખુલ્લી પડી છે. ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઈન્ડેક્સ સૂચકાંકમાં સમગ્ર દેશમાં ગુજરાત ૧૬મા ક્રમાંકે છે. ઈલેક્ટ્રિક વાહનો ખરીદી અને કામગીરીને પ્રોત્સાહન મુદ્દે સૂચકાંકમાં ગુજરાતે ૧૦૦માંથી ૩૭ સ્કોર, રીસર્ચ અને ડેવલોપમેન્ટ સૂચકાંકમાં ૪૬ સ્કોર, ઈવી ચાર્જિંગ ઈન્ળાસ્ટ્રક્ચર વિકાસ સૂચકાંકમાં ૪૪ સ્કોર, ખાનગી ઇલેક્ટ્રિક વાહનો અપનાવાનો સૂચકાંકમાં ૫૧ સ્કોર, કોમર્શિયલ ઈલેક્ટ્રિક વાહનો અપનાવાનો સૂચકાંકમાં માત્ર ૫ સ્કોર મેળવ્યાં છે.ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પોઈન્ટ સૂચકાંકમાં ૨૪ સ્કોર મેળવ્યો છે. એટલે કે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ઈલેક્ટ્રીક વાહનોની પ્રોત્સાહન, ખરીદી, વ્યવસ્થાતંત્રના વિકાસ-પ્રગતિમાં ગુજરાતનો ૧થી ૧૦ રાજ્યોમાં પણ સમાવેશ થતો નથી જે દર્શાવે છે કે, રાજ્ય સરકાર પર્યાવરણનાં સુધારણાને લઈને કેટલી ગંભીર છે તે બાબત ઉજાગર કરે છે. વર્ષ ૨૦૨૩માં ૧૦૬, વર્ષ ૨૦૨૪માં ૩૩૧, વર્ષ ૨૦૨૫માં ૧૨૪ અને વર્ષ ૨૦૨૬ માર્ચ સુધીમાં ૧૩૭ ઈલેક્ટ્રિક બસ નોધાઈ છે. વર્ષ ૨૦૧૪-૨૦૨૧ સુધી છ વર્ષમાં ગુજરાતમાં માત્ર ૭,૯૨૩ વિધાથીઓને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ જ્યારે ૮૭ ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓની સબસિડી અપાઈ છે. મોંઘા પેટ્રોલથી કંટાળીને જો કોઈ ઈલેક્ટ્રિક વાહન ખરીદી પણ લે, તો રસ્તા પર નીકળ્યા પછી તેને ચાર્જિંગ પોઈન્ટ શોધવા પડે તેમ છે. ગ્રીન એનજીના નામે મસમોટી જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનું અંધણ કરતી સરકાર ઈવી વાહનોની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં ઊંઘતી ઝડપાઈ છે. સરકારની આ નીતિગત નિષ્ફળતા સામે રાજકીય મોરચે આકરા પ્રહારો શરૂ થઈ ગયા છે. એવી માંગ ઉઠી છેકે, ઈલેક્ટ્રિક વાહનોના પ્રમોશન માટે માત્ર કાગળ પરની વાતો બંધ કરી જમીન પર સચોટ કામગીરી કરવામાં આવે. ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર વિશેષ સબસિડી આપવામાં આવે.ઈવી પોલિસીનો મોટાઉપાડે એલાન કરી દીધુ પણ સરકારે ઈવી વાહનોનું વધુ વેચાણ થાય તે માટે ઝાઝો રસ દાખવ્યો નહી. એટલુ જ નહીં, સરકારે ટુ વ્હિલર પર ૨૦ હજાર અને ફોર વ્હીલર પર ૧૫ લાખ રૂપિયા સુધીની સબસીડી આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ વર્ષ ૨૦૨૪થી ઇવી ટુ વ્હિલર પર સીધી કેશ સબસિડી બંધ કરી દીધી છે, પરિણામે ઈવી વાહનોના વેચાણ પર અસર પહોંચી હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે ઈવી વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન સહિત અન્ય ઈનળાસ્ટ્રકચરની સુવિધા પણ ઊભી કરી નહી. લાંબી મુસાફરીમાં ચાર્જિંગની સમસ્યાને લીધે લોકોએ ઈવી વાહનો ખરીદવાનું ટાળી રહ્યાં છે.

