કૃષ્ણ કર્મનો અધ્યક્ષ છે,નિષ્પક્ષ છે.
કૃષ્ણ:ત્રિ-સત્ય-વ્યવહારિક, પ્રતિભાષિક અને પારમાર્થિક સત્યનો માલિક છે.
વ્યાસપીઠને પ્રિય થવું હોય તો રાગથી નહીં, અનુરાગથી સાંભળો.
જેનો સીધો સંબંધ દ્વારિકાધીશ સાથે જોડાયેલો છે એવા ઉડુપી-કર્ણાટક ખાતે ગવાઇ રહેલી રામકથામાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા પ્રસંગો અને રહસ્યો પર રવિવાર-છઠ્ઠા દિવસનો સંવાદ સાધતા બાપુએ ઉપનિષદનાં મંત્રગાનથી કથા આરંભ કરી જણાવ્યું કે ભગવાન કૃષ્ણ ગીતાનાં ન્યાયથી આઠ રૂપમાં ગવાયા-એવો આ મંત્ર છે.જોકે કોઈ કંઈ બતાવી શકતું નથી,છતાં પણ આપણે ચેષ્ટા કરીએ છીએ.એકમાત્ર દેવ(અહીં પૌરાણિક દેવતા નહીં પણ દિવ્યતાના રૂપમાં) બધામાં ગુપ્ત રૂપે વ્યાપ્ત છે.
કૃષ્ણનાં કેશવ નામનો અર્થ,કેશવ એટલે-ઈચ્છે તો રહસ્ય ખોલે,ઈચ્છે તો ન ખોલે! કેશ-ઈવ:જેનાં વાળ ઝુલ્ફ એટલી લાંબી છે,જેની પાછળ એ ચહેરો છુપાવી પણ શકે,બતાવી પણ શકે.કૃષ્ણ અંતર ધ્યાન નથી થયો,દેખાતો બંધ થયો છે.
એ કર્મનો અધ્યક્ષ છે,નિષ્પક્ષ છે.ત્રણ પ્રકારનું સત્ય: વ્યવહારિક,પ્રતિભાષિક અને પારમાર્થિક સત્યનો માલિક છે.
વલ્લભાચાર્યજી કહે છે કૃષ્ણના પાંચ સ્વરૂપો: આત્મસ્વરૂપ,મન સ્વરૂપ,પ્રાણ સ્વરૂપ,ઇન્દ્રીય અને શરીર સ્વરૂપ છે.
કૃષ્ણ છે તો રસ છે,રાસ છે,રીસ છે.કૃષ્ણ છે તો બધું જ છે,જગતમાં માત્ર કૃષ્ણ સિવાય કંઈ નથી.
સાધવીય ભાષામાં આ પાંચ વસ્તુ કરવાથી કર્મ બંધન નહીં લાગે,કદાચ શાસ્ત્રો પણ એની સાથે ચોક્કસ સહમત થશે.
એક:રાગ-દ્વેષથી મુક્ત કર્મ.બે-અહંકાર મુક્ત કર્મ બંધનમાં નહીં નાખે.આપણે કંઈ નથી કરતા,બધું થઈ રહ્યું છે.માણસ જેટલો સહજ થશે કર્મ એટલું ઓછું બાંધશે.ત્રણ-પોતાનાં માટે નહીં,જગતનાં કલ્યાણ માટે કરેલું કર્મ બંધનમાં નહીં નાખે.દોરીનાં એક-એક ધાગાઓ અલગ કરી નાખવાથી એ બાંધવા યોગ્ય નહીં રહે.ચાર-પ્રત્યેક કર્મ પરમાત્માને રાજી કરવા માટે હોય.પાંચ-ફળની આકાંક્ષા વગરનું કર્મ બાંધશે નહીં,કારણ કે એ આપણો કર્માધ્યક્ષ છે.
વ્યાસપીઠને પ્રિય થવું હોય તો રાગથી નહીં અનુરાગથી સાંભળો.વ્યક્તિ નહીં પીઠને જુઓ.
એવું પણ પૂછાયેલું કે આપ કથાકાર નહિ,મનોરથી હોત તો કોની કથા કરાવત?બાપુએ કહ્યું કે તો ત્રિભુવન દાદાની કથા કરાવત!
ચારે ભાઇઓનાં નામકરણ સંસ્કાર,વિદ્યા સંસ્કાર થયા.ગુરુ પાસેથી વિદ્યા,વિનય,નિપુણતા,ગુણ અને શીલ આ પાંચ તત્વો મેળવીને પોતાની ચેતના દીક્ષિત કરી શકાય છે.વિશ્વામિત્રનું આગમન,સિતા રૂપી ભક્તિ,શક્તિ,શાંતિની ખોજમાં મન,બુધ્ધિ,ચિત્ત, અહંકારનું દર્શન,ધનુષ્ય ભંગ,વિવાહ પ્રસંગ બાદ વિશ્વામિત્રનાં ગમન સાથે બાલકાંડનું સમાપન થયું.
Box
કૃષ્ણ કેવો છે?
एको देवः सर्वभूतेषु गूढः सर्वव्यापी सर्वभूतान्तरात्मा।कर्माध्यक्षः
सर्वभूताधिवासः साक्षी चेता केवलो निर्गुणश्च॥
(-શ્વેતાશ્વતરોપનિષદ અધ્યાય-૬,મંત્ર-૧૧)
न तत्र सूर्यो भाति न चन्द्रतारकं
नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः।
तमेव भान्तमनुभाति सर्वं
तस्य भासा सर्वमिदं विभाति॥
(-કઠોપનિષદ-૨.૨.૧૫,મૂણ્ડક તથા શ્વેતાશ્વતરોપનિષદમાં પણ છે.)
(એક જ પરમેશ્વર બધાં જીવો(ભૂતો)માં છૂપાયેલો છે.
સર્વવ્યાપી તથા બધા પ્રાણીઓનો અંતરાત્મા(ભીતરી આત્મા) છે.
બધા કર્મોનો અધ્યક્ષ(માલિક/નિરીક્ષક),બધા જીવોનું નિવાસ સ્થાન(આશ્રય) છે.
બધાને જોનાર-સાક્ષી,પરમ ચેતનરૂપ એકલો (અદ્વૈત),ત્રણે ગુણ(સત્વ-રજ-તમ)થી પર,નિર્ગુણ છે.)
(ત્યાં સૂર્ય,ચંદ્ર,તારાઓ પ્રકાશિત નથી થાતાં,એ વીજળીઓ પણ નથી ચમકતી,તો લૌકિક અગ્નિ તો કેમ ચમકે!
એ જ એકમાત્ર પ્રકાશિત થાય છે,પછી જ બધું પ્રકાશિત થાય છે.એની આભાથી જગત આખું ભાસે છે.આ પરમ પ્રકાશને કોઇ બાહ્ય પ્રકાશની જરુર નથી,એ જ બધા પ્રકાશોનો સ્ત્રોત છે.
એના હોવા માત્રથી જોવું,જાણવું,હોવું સંભવ છે.)
== સમાપ્ત ==

