રાષ્ટ્રપતિના જન્મદિવસ પર મોદીએ કહ્યું- “આખા દેશને તમારા પર ગર્વ”
મોદી ઓડિશામાં ભાજપ સરકારના બે વર્ષ પૂરા થવાના અવસરે રાજ્યના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર પહોંચ્યા : “વિકાસ રા ધારા, ઓડિશા સારા” કાર્યક્રમમાં ભાગ લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભુવનેશ્વર, તા.૨૦ જૂન ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં ભાજપ સરકારના બે વર્ષ પૂરા થવાના અવસરે રાજ્યના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર પહોંચ્યા હતા. તેમણે અહીં “વિકાસ રા ધારા, ઓડિશા સારા” કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને રૂ.૪૭૬૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુનો આજે ૬૮મો જન્મદિવસ છે.PM પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું- આજે ઓડિશાની એક દીકરી દેશના આટલા ઊંચા બંધારણીય પદ પર પહોંચીને આપણું માર્ગદર્શન કરી રહી છે. આ આપણા બધા માટે ગર્વની વાત છે.
આ પહેલા પીએમ મયૂરભંજ સ્થિત પહાડપુરમાં રાષ્ટ્રપતિ મુર્મુના સાસરે ગયા હતા. રાષ્ટ્રપતિની સાથે પીએમ પહાડપુર સ્થિત સ્કિલ ટ્રેનિંગ હબ ગયા હતા. ત્યાં વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી હતી. PM સંથાલ સમુદાયના પવિત્ર સ્થળ સંથાલી જાહેરા અને હો જાહેરામાં પૂજા-અર્ચના પણ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે રથયાત્રા અને અન્ય તહેવારોની વચ્ચે ઓડિશામાં લોકશાહી અને વિકાસનો પણ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. તેમણે રાજ્યની BJP સરકારના બે વર્ષ પૂરા થવા પર અભિનંદન પાઠવ્યા હતા.
મોદીએ કહ્યું કે, ઓડિશાની દીકરી દ્રૌપદી મુર્મુ આજે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર છે. તેમણે સમગ્ર ઓડિશા અને મયૂરભંજની ઓળખને મજબૂત કરી છે. હું તેમની સાથે પહાડપુર ગયો હતો. મેં ત્યાં બાળકોના ચહેરાની ચમક જોઈ. રાષ્ટ્રપતિ જીને જોઈને બાળકોને એવું લાગતું હતું જાણે તેમની માતા આવી હોય.
વધુમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ મુર્મુના સાસરિયાના ગામ પહાડપુરને ’સૂર્યપુર સોલાર ગ્રામ’ તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી ગામની આવક અને સુવિધાઓ વધશે.
મોદીએ કહ્યું કે, ૨૦૩૬માં ઓડિશાની સ્થાપનાના ૧૦૦ વર્ષ અને ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થશે. ઓડિશાના વિકાસને વિકસિત ભારતના લક્ષ્ય સાથે જોડતા તેમણે કહ્યું કે, “ઓડિશા આગળ વધશે, ત્યારે દેશ પણ આગળ વધશે.”
પીએમ મોદીએ કહ્યું કે, રાજ્ય સરકારના બે વર્ષ પૂરા થવા અને મોટી સંખ્યામાં લોકોનું કાર્યક્રમમાં સામેલ થવું તેમના માટે ખાસ છે. પીએમે કહ્યું કે અહીંના લોકોનો સ્નેહ અને આપણા પણું તેમને વારંવાર ઓડિશા આવવા માટે પ્રેરિત કરે છે.
પીએમએ ૬૦૦ મેગાવોટના અપર ઇન્દ્રાવતી પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ અને IB થર્મલ પાવર સ્ટેશનના સ્ટેજ-ૈૈંં વિસ્તરણની આધારશિલા રાખી હતી. આ વિસ્તરણમાં ૬૬૦-૬૬૦ મેગાવોટના બે નવા યુનિટ સ્થાપવામાં આવશે.
તેમણે ઝારસુગુડાના લખનપુરમાં ભારત કોલ ગેસિફિકેશન એન્ડ કેમિકલ્સ લિમિટેડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જ્યારે ભુવનેશ્વરમાં ૩૦૦ ટન ક્ષમતાવાળા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ અને કાઠાજોડી નદી પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાને બૌધમાં ઢાલપુર-હરભંગા રોડ પહોળો કરવાનો પ્રોજેક્ટ, દ્ગૐ-૩૫૩ના નુઆપાડા-ઘાટીપાડા ફોરલેન પ્રોજેક્ટ અને કુસુમડીહી મેગા લિફ્ટ સિંચાઈ પરિયોજનાની પણ શરૂઆત કરાવી હતી.
આ સિવાય IGNOUના રીજનલ સેન્ટર, રાયરંગપુરમાં ઇન્ડોર બેડમિન્ટન કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને આદિવાસી સંશોધન કેન્દ્રની આધારશિલા રાખવામાં આવી હતી.
રેલવે ક્ષેત્રમાં ૭૩૨ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા બે મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવ્યા હતા. જેમાં હિંડોલ રોડ-મેરામાંડલી મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ પણ સામેલ છે, જે ૪૦૯ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
વડાપ્રધાને બૌધમાં ૩૦૦ બેડની હોસ્પિટલ બિલ્ડિંગ, વિવિધ જિલ્લાઓમાં ૨૪ અટલ બસ સ્ટેન્ડ અને ૯ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ NH-57 પર નયાગઢ બાયપાસ અને કુસુમી સ્માર્ટ સિંચાઈ પરિયોજનાની ભૂગર્ભ પાઇપલાઇન જેવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

