ખાંડની અછતને લઈ સરકારનો દાવો
રાજ્યમાં કુલ ૪૫૦૦ મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી છે જેથી રાજ્યમાં નાગરિકોને સમયસર તેમની જરૂરિયાત મુજબ ખાંડ મળી રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૬ — અન્ન, નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ નોંધાયેલા અંત્યોદય અને બી.પી.એલ. કાર્ડધારકોને તહેવારોમાં ખાંડનો પૂરતો જથ્થો સરળતાથી મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. વાજબી ભાવના દુકાનદારો માટે સપ્ટેમ્બર ૨૦૨૬ માસના ખાંડ સહિતની અન્ય જણસીઓના ચલણ ભરવાની છેલ્લી તારીખ લંબાવીને હવે તા.૦૩/૦૯/૨૦૨૬ કરવામાં આવી છે.
ખાંડ વિતરણના નિયમો અને રાહત દર રાજ્યમાં અંત્યોદય તથા બી.પી.એલ. કેટેગરીના રેશનકાર્ડ ધારકોને કુટુંબના સભ્યોની સંખ્યા મુજબ ખાંડનું વિતરણ કરવામાં આવે છે. જેમાં અંત્યોદય કાર્ડધારકો માટે રૂ. ૧૫ પ્રતિ કિ.ગ્રા. તેમજ બી.પી.એલ. કાર્ડધારકો માટે રૂ. ૨૨ પ્રતિ કિ.ગ્રા.ના દરે વિતરણ કરવામાં આવે છે. આગામી તહેવારોને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા એક માસ અગાઉ એટલે કે ઓગસ્ટ-૨૦૨૬માં જ પરિવારની જરૂરિયાત મુજબ ખાંડની ફાળવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૭૧૦૦ મેટ્રિક ટન ખાંડનો જથ્થો લાભાર્થીઓને વિતરિત કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સપ્ટેમ્બર-૨૦૨૬ માસ માટે રાજ્યમાં કુલ ૪૫૦૦ મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવી છે. જેથી રાજ્યમાં નાગરિકોને સમયસર તેમની જરૂરિયાત મુજબ ખાંડ મળી રહેશે.
ખાંડના વધતા ભાવને લઈને સામાન્ય માણસ તહેવાર ટાણે જ મુંઝવણમાં મુકાયો છે. મોંઘવારીના માર વચ્ચે તહેવારોની મીઠાસ ક્યાંક ફિક્કી પડે તેવા એંધાણની સ્થિતિ હતી. તહેવારોના ટાણે રાજ્યમાં ખાંડની અછત સર્જાઈ છે. શહેરના અંદાજે ૧૦ લાખથી વધુ પરિવારોને આ વખતે સસ્તા અનાજની દુકાનેથી ખાંડ નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સસ્તા અનાજની દુકાનો માટે સપ્ટેમ્બર મહિનાની ખાંડની પરમિટ જ ઈસ્યુ ન થતા દુકાનદારોની મુશ્કેલી વધી હતી. રાજ્યમાં ૮૫૦થી વધુ દુકાનદારો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાંડ વિતરણ અને ચલણ ભરવાની તારીખ ૩ સપ્ટેમ્બર સુધી લંબાવી છે.

