અમદાવાદ, ગુજરાત | ૨૮ માર્ચ ૨૦૨૬ — શહેરના વિશાલા પરિસર ખાતે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે વિશાલા અને વિચાર ટ્રસ્ટ દ્વારા ગુજરાતી રંગભૂમિનાં પીઢ તથા યુવા કલાકારોને વધાવવાનો અને સાથે વાળુ કરવાનો 14મો અવસર યોજાઇ ગયો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેનશ્રી જય શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.
સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આજે એક અદભૂત અને પવિત્ર સંયોગ સર્જાયો છે—ભગવાન શ્રીરામનો જન્મોત્સવ અને ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ એક જ દિવસે ઉજવાઈ રહ્યા છે. ભગવાન શ્રીરામનો જન્મ બપોરે 12 વાગ્યે મનાવવામાં આવે છે, જ્યારે શ્રીજી મહારાજનો જન્મોત્સવ રાત્રે 10:10 વાગ્યે ઉજવાય છે. રામનવમી 27 તારીખે હોવાથી 2 અને 7નો સરવાળો 9 થાય છે, અને તે અનુસંધાને 9 પ્રતિભાશાળી કલાકારોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર આયોજન ઈશ્વરની કૃપાથી શક્ય બન્યું છે અને આ 14મો સમારંભ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે વિખ્યાત નાટ્ય સમ્રાટ પી. ખરસાણી સાહેબે 27 માર્ચને વર્લ્ડના સ્ટેટ ડે તરીકે ગણાવ્યો હતો. તે પ્રસંગે વિચાર આવ્યો કે આ દિવસ વિશાલાનો જન્મદિવસ પણ છે, તો તેને વધુ વિશેષ બનાવવો જોઈએ. શરૂઆતમાં 85 વર્ષથી વધુ વયના કલાકારોને એવોર્ડ આપવાનો વિચાર હતો, પરંતુ સમય જતાં તે વયમર્યાદા 65 વર્ષ સુધી લાવવામાં આવી. કેટલાક વરિષ્ઠ કલાકારોએ કહ્યું કે “ઉગતા સૂરજને પૂજવું જોઈએ, અમને કેમ પૂજવા આવ્યા?” ત્યારે તેમણે વિનમ્રતા પૂર્વક જવાબ આપ્યો કે “અમે આપના આશીર્વાદ લેવા આવ્યા છીએ, કારણ કે તમે આખી જિંદગી નાટ્યકલાને અર્પણ કરી છે,” અને આ ભાવના સાથે આ પરંપરાનો સુંદર આરંભ થયો.
વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે વિશાલા પરિસરમાં 2026ના વિજેતા પીઢ કલાકારોના સન્માનમાં શ્રી કિરણ જોષી, શ્રી આદિતી દેસાઈ, શ્રી ડાયના રાવલ, શ્રી કિરણ ભટ્ટ, શ્રી વિજય રાવલ, શ્રી કપિલદેવ શુકલ, શ્રી શેતલ રાજડા, શ્રી પરેશ શુકલ, શ્રી જનક રાવલને સન્માનિત કરાયા હતા અને 2026ના યુવા કલાકારોમાં શ્રી નીલ સોની, કુ. પ્રિયલ પારેખને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે યોજાયેલ આ અવસરમાં ગુજરાતી થિયેટરમાં જેમનું અભૂતપૂર્વ યોગદાન છે તેવા ગુજરાતી રંગભૂમિના નટસમ્રાટ શ્રી રાજુ બારોટને આ સમગ્ર કાર્યક્રમ સમર્પિત કરવામાં આવ્યો હતો.

