વાતચીતના બહાને બોલાવીને છરી હુલાવી દેવાઈ
રમઝાન દરમિયાન સાલીક અને અજીમ પાર્ક નજીક રહેતા રેહાન પઠાણ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૩ એપ્રિલ ૨૦૨૬ –– અમદાવાદ શહેરમાં ગુનાહિત ઘટનાઓમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં જુહાપુરા વિસ્તારમાં ૧૯ વર્ષીય યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ ઘટના માત્ર જૂની અદાવત જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર થયેલા વિવાદના કારણે બનેલી હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક વિગતો મુજબ મૃતક યુવકની ઓળખ મોહમ્મદ સાલીક આસિફ શેખ તરીકે થઈ છે, જે જુહાપુરાના જુવેરિયા ફ્લેટમાં રહેતો હતો. માહિતી મુજબ રમઝાન દરમિયાન સાલીક અને અજીમ પાર્ક નજીક રહેતા રેહાન પઠાણ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ બાદ સાલીકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેને કારણે બંને પક્ષો વચ્ચે તણાવ વધુ વધી ગયો હતો. આ તરફ ઘટનાના દિવસે સાલીક તેના મિત્રો સાથે આઈશા મસ્જિદ નજીક રેહાન અને તેના સાગરિતોને મળવા ગયો હતો. શરૂઆતમાં વાતચીત થતી હતી, પરંતુ થોડા જ સમયમાં વાત ઉગ્ર બની અને બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. પરિસ્થિતિ બગડતા રેહાન પઠાણે ગુસ્સામાં આવીને પોતાની પાસે રહેલી છરી વડે સાલીક પર હુમલો કર્યો અને તેના પેટમાં જીવલેણ ઘા ઝીંકી દીધા.
આ બધાની વચ્ચે ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાલીકને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ હતી. વેજલપુર પોલીસને જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રેહાન પઠાણ તથા તેના અન્ય સાથીદારોને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

