Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

આ સંસ્થાનાં સૂત્રોમાં ભારતીય દર્શન ખૂબ દેખાય છે,કોઇ માને ન માને અલગ વાત છે

 

સો ટકા શાંતિ શક્ય નથી,ત્રણ ગુણોથી નવ્વાણું ટકા શાંતિ સ્થાપી શકાય.

યુનોનાં સંવિધાનમાં ભારતીય વિચાર છે પણ અહીંની સુરક્ષા સમિતિમાં ભારતને પ્રવેશ નથી!

રામ સ્મરણ અંદરના સત્વનું નિર્માણ,પોષણ અને અસદનું નિર્વાણ કરે છે.

રામ-નામ પણ છે,મહામંત્ર પણ છે.

બીજા દિવસની કથામાં બાબા રામદેવ,જેઠાદાદા તેમજ દ્વારિકાનાં કેશવાનંદજીની વિશેષ ઉપસ્થિતિમાં બાપુએ કહ્યું કે આ મારું આ તારું એમાં રત જગત છે ત્યારે ભારતીય મનીષિઓ મારું-તારું છોડીને વસુધૈવ કુટુંમ્બકમનું કહે છે.ઉપનિષદમાં સત શબ્દનો મહિમા,ભગવદગીતામાં સમ શબ્દ પર ભાર દેવાયો છે અને રામચરિતમાનસમાં સત તથા સમ ઉપરાંત ‘સબ’ શબ્દ પર ભાર મૂકાયો છે.આ પંક્તિઓમાં વારંવાર સબ શબ્દ આવે છે.વિનોબાજી કહે છે અહં શબ્દમાંથી હમ્ છૂટી જાય તો શાંતિ સ્થાપી શકાય.તુલસીદાસજી આ હમ્ પર કામ કરી રહ્યા છે.

દુનિયામાં સો ટકા શાંતિ સ્થપાય?રાજપીઠ,વ્યાસપીઠ,કર્મપીઠ,પ્રેમપીઠ,ભાવપીઠ…કોઇ પણ હોય.આ સંસ્થાનાં સૂત્રોમાં ભારતીય દર્શન ખૂબ દેખાય છે,કોઇ માને ન માને અલગ વાત છે.વેદો,માનસમાં બધું ઓલરેડી છે જ એનો આનંદ છે.જગત બને ત્યારે સ્હેજ રજોગુણ હોય જ.રજોગુણ હોય ત્યાં થોડી અશાંતિ હોવાની જ.નવ્વાણુ ટકા શાંતિ સ્થાપી શકાય.૩૩-૩૩ ટકા ત્રણે ગુણોથી આ નવ્વાણું ટકા શાંતિ આવે.૩૩ ટકા લોકોના વિચારો સદવિચાર થઇ જાય,૩૩ ટકા લોકોની વાણી સદવાણી બને અને ૩૩ ટકા લોકોનું આચરણ સદ આચરણ થઇ જાય તો શાંતિ સ્થાપી શકાય.

સદવિચાર,સદઉચ્ચાર,સદાચારથી વિશ્વમાં નવ્વાણુ ટકા શાંતિ સ્થાપી શકાય.બાપુએ કહ્યું કે વિચારને પણ હું બ્રહ્મ કહું છું.શબ્દ તો બ્રહ્મ છે જ અને વાણી પણ બ્રહ્મ છે.

બાપુએ બાજપાઇને યાદ કરતા જણાવ્યું કે પહેલીવાર તેઓ અહીં હિન્દીમાં બોલેલા.

આવો સતનો સંકલ્પ કરીએ,’સબ’ની સાથે સમ રહે એમ આપણે કાર્યરત બનીએ.

વિનોબાજી કહેતા એક વ્યક્તિ સારો વિચાર લઈ અને સો ડગલાં ચાલે એ સ્વાગત છે,પણ સો વ્યક્તિ એક વિચાર લઈને દસ કદમ ચાલે એ વધારે સારું છે. આ સંસ્થા વિશે બાપુએ કહ્યું કે યુનોએ ભારતના વિરુદ્ધમાં ઘણી વખત નિવેદનો આપ્યા છે પણ ભારતે હંમેશા સાથ આપ્યો છે,ભારતે એને છોડ્યું નથી.

બાપુએ કહ્યું કે આપણી બુદ્ધિ અશુદ્ધ થાય છે એના ત્રણ કારણ છે:એક-ભેદબુદ્ધિ.

આ સંસ્થાનો વિચાર છે એમાં હ્યુમનરાઇટ-માનવ અધિકારની ઘોષણાનાં બધા જ ભારતનાં વિચાર છે. સંગ ગચ્છધ્વં,સંવદધ્વં,સહનાવવતુ-આ ભારતના વિચાર છે,કોઈ ઈજ્જત આપે ન આપે એ અલગ વાત છે.

માનવ અધિકાર વિશે ઋષિમુનિઓના પાંચ હજાર વર્ષ પહેલાંના વિચાર માનવા જ પડશે.જેના સંવિધાનમાં ભારતીય વિચાર છે પણ અહીંની સુરક્ષા સમિતિમાં ભારતને પ્રવેશ નથી!

બુદ્ધિની અશુદ્ધિનું બીજું કારણ છે:અહંકાર-અહમબુદ્ધિ અને ત્રીજું છે: વ્યભિચારિણી બુદ્ધિ,જે કોઈ નિર્ણય નથી કરી શકતી.

બાપુએ કહ્યું કે એને સરખા કરવા માટે ત્રણ ઉપાય છે યજ્ઞ,દાન અને તપ.ભેદ ખતમ કરવા યજ્ઞ કરવો જોઈએ.યજ્ઞ ભેદબુદ્ધિનો નાશ કરે છે.યજ્ઞમાં વાહ વાહ નહીં સ્વાહા કરવું પડે છે.દાન દ્વારા અહમબુદ્ધિ શુદ્ધ થાય છે.દાન અહંકાર વધારે એવું નથી,દાનનો મતલબ છે-ત્યાગ.ત્યાગથી અહંકારની માત્રા ઓછી થશે અને તપથી વ્યભિચારિણી-ભટકતી બુદ્ધિ સ્થિર થશે.

બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં નવ વખત અતિ સુંદર શબ્દ આવ્યો છે એ રહસ્ય પણ આપણે ખોલશું.અહીંના બંધારણમાં ભારતીય વિચારધારાનું પ્રાબલ્ય છે.

બાપુએ કહ્યું કે આ કથા વિશેષ છે એવું નથી,એટલું બધું મહત્વ આપવાની જરૂર નથી,મારા માટે બધી જ જગ્યાએ કથા મહાન છે.

કથાનાં ક્રમમાં હનુમાનજીની વંદનાથી આગળ વધી અને બાપુએ કહ્યું કે હનુમાન માત્ર બંદર નથી સુંદર છે રામ મંગલમૂર્તિ છે,એમ હનુમાનજી પણ મંગલમૂર્તિ છે.કોયલ મધુર બોલે એ સમજમાં આવે પણ કાગડો મધુર બોલે એ માનસમાં છે.એમ મનુષ્ય મધુર બોલે એ સમજાય પણ રામચરિત માનસમાં એક વાનર (હનુમાન)મધુર વચન બોલે છે. સીતાજીની વંદના ગાતા કહ્યું:

જનક સુતા જગજનનિ જાનકી;

અતિશય પ્રિય કરુણાનિધાન કી.

તાકે જુગ પદ કમલ મનાવઉં;

જાસુ કૃપા નિર્મલ મતિ પાવઉં.

સત્ય,પ્રેમ,કરુણાનાં ત્રણેય સૂત્રો આ વંદનામાં દેખાય છે.સીતા સત્ય છે,અતિશય પ્રિય એટલે પ્રેમ અને કરુણા નિધાનમાં કરુણા છે.આમ આ સત્ય, પ્રેમ અને કરુણાની પણ વંદના છે.આપણે નખશિખ પવિત્ર વ્યક્તિની પૂજા કરીએ એમ વિચારોની પણ પૂજા કરીએ છીએ.સિતારામ વંદનામાં બે છે પણ લીલા માટે એ બે છે હકીકતમાં એ અભિન્ન છે.

બોંતેર પંક્તિઓમાં રામનામ મહિમાનું ગાન થયું.અહીં રામ સંકીર્ણ નથી,આપની રૂચિ હોય એ નામ.રામ- સૂર્ય,ચંદ્ર,અગ્નિનું બીજ તત્વ છે.પ્રણવનું પર્યાય છે.ઓમકાર સ્વરૂપ છે.બ્રહ્મા,વિષ્ણુ,મહેશ રૂપ છે.રામ સ્મરણ અંદરના સત્વનું નિર્માણ,પોષણ અને અસદનું નિર્વાણ કરે છે.રામ-નામ પણ છે,મહામંત્ર પણ છે.રામનામની પરિક્રમા કરીને ગણેશ પ્રથમ પૂજ્ય બન્યા.

Related posts

Meril Life Sciences Empowers Healthcare Leaders with Digital Technologies to Build Supply Chain Efficiency

Reporter1

FLO Ahmedabad felicitates Elite Mrs India pageant runners-up

Reporter1

India’s Municipal Green Bonds Market Could Mobilise up to USD 2.5 Billion with the Right Reforms: CEEW Green Finance Centre

Reporter1
Translate »