Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક હુમલાથી ફફડાટ! રશિયાના એન્જિનિયરોએ ભાગવું પડ્યું

IAEAની પણ ચેતવણી

અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત સૈન્ય દળોએ ઈરાનના મહત્વના ગણાતા બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નજીકના વિસ્તારોને નિશાન બનાવ્યા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
તેહરાન, તા.૫ એપ્રિલ ૨૦૨૬ — મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત જોખમી વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત સૈન્ય દળોએ ઈરાનના મહત્વના ગણાતા બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નજીકના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં પ્રોજેક્ટાઈલના ટુકડા વાગવાથી એક સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) દ્વારા કરવામાં આવી છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો છે કે, ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં બુશેહર ફેસિલિટી પર ૪ વખત બોમ્બમારો કરવામાં આવ્યો છે. જોકે, IAEA એ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે, હુમલા બાદ વિસ્તારમાં રેડિયેશનના સ્તરમાં કોઈ વધારો નોંધાયો નથી. પ્લાન્ટના મુખ્ય હિસ્સા સુરક્ષિત છે, પરંતુ સાધનો ધરાવતી ઓક્સિલરી બિલ્ડિંગને નુકસાન થયું છે.

આ હુમલા બાદ રશિયાની સરકારી ન્યુક્લિયર કંપની રોસાટોમે પ્લાન્ટમાં કામ કરી રહેલા ૧૯૮ રશિયન સ્ટાફ મેમ્બર્સને તાત્કાલિક અસરથી બસો દ્વારા ઈરાન-આર્મેનિયા સરહદ તરફ રવાના કરી દીધા છે. રોસાટોમના વડા એલેક્સી લિખાચેવે જણાવ્યું હતું કે, હુમલાના ૨૦ મિનિટ બાદ જ આ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.

માત્ર ન્યુક્લિયર પ્લાન્ટ જ નહીં, પરંતુ ઈરાનના ઉર્જા હબ ગણાતા ખુઝેસ્તાન પ્રાંતમાં પણ અનેક પેટ્રોકેમિકલ પ્લાન્ટ્‌સ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. મહશહર પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ભીષણ વિસ્ફોટો અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બંદર ઈમામ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને ફજર ૧ અને ૨ જેવી કંપનીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલાઓમાં આશરે ૫ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે, તેણે સેન્ટ્રલ ઈસ્ફાહાન પ્રાંતમાં અમેરિકાનું એક સ્ઊ-૧ ડ્રોન તોડી પાડ્યું છે. આ ઉપરાંત, ઈરાની સત્તાવાળાઓએ બે અમેરિકન યુદ્ધ વિમાનોને પણ પાછા ખસેડવાની ફરજ પાડી હોવાનું જણાવ્યું છે. IAEA ના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ન્યુક્લિયર સાઇટ્‌સ કે તેની આસપાસના વિસ્તારો પર ક્યારેય હુમલો ન થવો જોઈએ. પરમાણુ અકસ્માતનું જોખમ ટાળવા માટે તમામ પક્ષોએ મહત્તમ સંયમ રાખવો જરૂરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેહરાનમાં થયેલા એક મોટા હુમલામાં ઈરાનના ઘણા ટોચના લશ્કરી નેતાઓ માર્યા ગયા છે. તેમના ટ્રૂથ સોશિયલ પ્લેટફોર્મ પર ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘણા ટોચના ઈરાની કમાન્ડરોને માર્યા ગયા છે. આ સાથે તેમણે એક વિડીયો ક્લિપ પણ શેર કરી જેમાં મોટા વિસ્ફોટો અને વિમાનોના અવાજો સંભળાય છે. રાષ્ટ્રપતિએ આ હુમલાના સમય અંગે વધુ કોઈ વિગતો આપી નથી.

ટ્રમ્પે ઈરાનના લશ્કરી નેતાઓનો ઉલ્લેખ કરતી વખતે ચોક્કસ કયા વ્યક્તિઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે સ્પષ્ટ કર્યું નથી. ટ્રમ્પે એવા સમયે હુમલા વિશે માહિતી જાહેર કરી હતી, જ્યારે ઈરાન પર હુમલા અંગે ૧૦ દિવસનો અલ્ટીમેટમ સમાપ્ત થવાના આરે છે. આ શનિવારે જ ટ્રમ્પે કહ્યું હતું કે ફક્ત ૪૮ કલાક બાકી છે, ચેતવણી આપી હતી કે જો હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાન પર વિનાશ વેરશે.

ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે ઈરાનના ઘણા લશ્કરી નેતાઓ જેમણે અત્યંત અસમર્થતા અને મૂર્ખાઈ સાથે દેશનું નેતૃત્વ કર્યું હતું, તેહરાનમાં કરવામાં આવેલા આ મોટા હુમલામાં માર્યા ગયા છે. જો કે, વ્હાઇટ હાઉસે હજુ સુધી જે અહેવાલ મુજબ માર્યા ગયા છે તે લશ્કરી નેતાઓની કોઈ યાદી જાહેર કરી નથી, જો ટ્રમ્પનો દાવો સાચો સાબિત થાય છે, તો તે ૨૮ ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયા પછી ઈરાની શાસન માટે બીજો મોટો ફટકો હશે.

Related posts

‘ઈરાન સાથે યુદ્ધના ભયાનક પરિણામો આવશે’ : રશિયા

Master Admin

૨૪ કલાકની અંદર જ ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો લીધો નિર્ણય

Master Admin

પરમાણુ-મિસાઈલનું રક્ષણ કરીશું, USને દરિયામાં ધરબીશુંઃ મોજતબા

Master Admin

Leave a Comment

Translate »