૧૪ લીલા છોડ સાથે થઈ ધરપકડ
પોલીસે જ્યારે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે મંદિરના પ્રાંગણમાં અલગ-અલગ જગ્યાએથી ગાંજાના છોડ મળી આવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ,તા.૧૮ મે ૨૦૨૬ — કચ્છ જિલ્લાની રાપર પોલીસે એક ગુપ્ત માહિતીના આધારે સફળ દરોડો પાડીને મામાદેવ મંદિરના પરિસરમાંથી ગેરકાયદે રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના ૧૪ લીલા છોડ જપ્ત કર્યા છે. પોલીસને બાતમી મળી હતી કે રાપરથી પાલનપર રોડ પર પગીવાંઢ નજીક આવેલા ‘જય હિરાસરીવાળા મામાદેવ’ના મંદિરની ચારેય તરફ આવેલી દીવાલોની અંદર પ્રતિબંધિત છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ માહિતીને આધારે પોલીસે જ્યારે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે મંદિરના પ્રાંગણમાં અલગ-અલગ જગ્યાએથી ગાંજાના છોડ મળી આવ્યા હતા.
પોલીસે આપેલી માહિતી મુજબ જપ્ત કરવામાં આવેલા આ ૧૪ લીલા છોડનું કુલ વજન આશરે ૨ કિલો ૪૭૦ ગ્રામ જેટલું થાય છે, જેની બજાર કિંમત અંદાજે ૧,૨૩,૫૦૦ રૂપિયા આંકવામાં આવી છે.
આ ગેરકાયદે વાવેતર કરવા બદલ પોલીસે છેલ્લા છ વર્ષથી આ મંદિરમાં પૂજા-અર્ચના કરતા ૬૧ વર્ષના પૂજારી સામત મમુભાઈ રબારી ઉર્ફે બાલકનાથની અટકાયત કરી છે. પકડાયેલા પૂજારી મૂળ ભુજના સૂરજપર ગામના વતની હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે રાપર પોલીસે પકડાયેલા પૂજારી વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
NDPS(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટની કલમ ૨૦(a) મુજબ, જો કોઈ વ્યક્તિ પરવાનગી વગર ગાંજાના છોડનું વાવેતર કરે છે તો ૧૦ વર્ષ સુધીની સખત કેદ તેમજ એક લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.
ગાંજો રાખવા અથવા તેની હેરાફેરી કરવાના કેસમાં જથ્થાના આધારે (ઓછી માત્રા કે વેપારી માત્રા) સજા નક્કી થાય છે. પરંતુ, વાવેતરના કિસ્સામાં છોડની સંખ્યા કે વજન જોવામાં આવતું નથી. વાવેતર કરવું એ પોતાનામાં જ એક મોટો ગુનો છે. માત્ર સરકાર દ્વારા વિશેષ હેતુઓ (જેમ કે તબીબી અથવા વૈજ્ઞાનિક સંશોધન) માટે આપવામાં આવેલી સત્તાવાર પરવાનગી કે લાયસન્સ હેઠળ જ તેનું વાવેતર કરી શકાય છે. તે સિવાયનું તમામ વાવેતર ગેરકાયદે ગણાય છે.

