Nirmal Metro Gujarati News
article

માણસોની માનવીય સંવેદના મૃતપ્રાય થઈ ગઈ છે

હું બોલું તો તમે બોલશો કે બોલે છે
સંજય શ્રીવાસ્તવ

હમણાં તાજેતરમાં ઇન્દોરથી એક કમકમાટી ઉપજાવે તેવા સમાચાર આવ્યા. એક છોકરાએ તેની મહિલા મિત્રને જાનથી મારી નાખ્યા પછી તેના મૃતદેહ સાથે શારીરિક સંબંધ સ્થાપિત કર્યો. તે પહેલાં તે મહિલાની બેદર્દીથી નિર્મમ હત્યા કરી નાખી. આવી જ ઘટનાઓ આજે દુનિયાભરમાં સામાન્ય બાબત બની ગઈ છે. આજે દુનિયાભરમાં ગુનાઓ સતત વધી રહ્યા છે. મહિલાઓ પ્રત્યેના ગુના એક અલગ સ્તર પર પહોંચી ગયા છે. યુદ્ધની સ્થિતિમાં સૌથી વધુ અત્યાચાર મહિલાઓ સાથે જ થાય છે. આપણે ગમે તેટલા સભ્ય થઈ જઈએ પરંતુ આપણી અંદરથી જાનવરનો અંશ જતો નથી. આપણે હંમેશા જંગલી જ રહીએ છીએ. મારકાપ હંમેશાથી આપણા જીવનનો હિસ્સો રહી છે. માણસ વાસ્તવિકતામાં ક્યારેય માણસ રહ્યો જ નથી. ઇતિહાસ સાક્ષી છે કે રામાયણ કાળથી લઈને મહાભારત કાળ સુધી અને ત્યારપછીની તમામ સભ્યતા ક્યારેય યુદ્ધથી અછૂતી રહી નથી. આજે આખું વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના આરે ઊભું છે. રશિયા યુક્રેનમાં શું કરી રહ્યું છે તે જગજાહેર છે. ઇઝરાયેલે પેલેસ્ટાઇનમાં શું કર્યું તે સર્વવિદિત છે. અમેરિકા ઈરાનને ધમકી આપી રહ્યું છે અને આ ધમકી ક્યારે યુદ્ધનું રૂપ લઈ લે તે કહી શકાય નહીં. માણસના જીવની કોઈ કિંમત રહી નથી. આજે સમગ્ર વિશ્વમાં જે માહોલ છે તે કોઈનાથી છુપાયેલો નથી.

આપણું નૈતિક પતન થઈ રહ્યું છે. સમાજને નવી દિશા બતાવનારા લોકોનો સંપૂર્ણપણે લોપ થઈ ચૂક્યો છે. આજે જેટલા પણ ધર્મગુરુઓ છે તેઓ કોઈ કામના નથી. ધર્મગુરુઓનું પોતાનું જ નૈતિક પતન થઈ ચૂક્યું છે તો પછી તેઓ શું માર્ગદર્શન આપશે. શરીર પર કપડાં નહીં પહેરે પરંતુ ધનની અસીમ લાલસા છે. ભારતમાં બિલાડીના ટોપની જેમ બાવાઓની ફોજ તૈયાર થઈ ગઈ છે પરંતુ તે બધા જ નકામા છે, તે લોકોનું કામ લોકોને બેવકૂફ બનાવીને માત્ર પૈસા પડાવવાનું છે. ધાર્મિક શિક્ષણ તો અર્થહીન બની ગયું છે. ઇસ્લામવાળા જે ધાર્મિક શિક્ષણ આપે છે તેનાથી માત્ર આતંકવાદીઓ જ પેદા થાય છે. હિન્દુઓના ધાર્મિક ગુરુઓ પણ માત્ર કર્મકાંડીઓ જ પેદા કરે છે તેમને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, એક પણ વ્યક્તિ સંસ્કારી બની શકતો નથી. કોઈનામાં માનવતા પેદા થાય તે વાત આકાશના તારા તોડવા જેવી સાબિત થાય છે. સમાજમાં માત્ર કટ્ટરતા, ઈર્ષ્યા, દ્વેષ અને નફરતનો જ બોલબાલા છે.

આપણે માત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં જ આધુનિક થઈ રહ્યા છીએ પરંતુ માનવીય સંવેદનાથી જોજનો દૂર થઈ રહ્યા છીએ. ચંદ્ર અને મંગળ પર પહોંચી જવાથી કંઈ થવાનું નથી. જ્યાં સુધી માણસ માણસ સુધી ન પહોંચે ત્યાં સુધી વાત બનવાની નથી. આપણે અત્યારે પાષાણ યુગમાં નથી જીવી રહ્યા. કદાચ આજનો માણસ પાષાણ યુગના માણસ કરતા પણ બદતર થઈ ગયો છે. જ્યારે આપણને કપડાં પહેરવાનું જ્ઞાન નહોતું તે સમયે આપણે માંડ માંડ પાંદડા વગેરેથી આપણી જાતને ઢાંકતા હતા. પછીથી પ્રાણીઓની છાલને કપડાં તરીકે પહેરીને પોતાની જાતને ઢાંકતા હતા. પરંતુ આજે જ્યારે કપડાંની શોધ થઈ ચૂકી છે તેમ છતાં આજની મહિલાઓ પોતાની જાતને નગ્ન પ્રદર્શિત કરીને ખબર નહીં શું મેળવવા માંગે છે. લંપટ પુરુષો માટે મહિલાઓનું ખુલ્લું શરીર હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. કેટલીક મહિલાઓને પોતાના અંગ પ્રદર્શન કરવામાં મજા આવે છે. આવું કરવું ખરેખર મહિલાઓ પ્રત્યેના ગુનાઓને જન્મ આપે છે. તે પણ સાચું છે કે તાલિબાનોની જેમ મહિલાઓને બુરખામાં રાખવી યોગ્ય નથી અને તેને બિલકુલ પ્રોત્સાહન ન આપવું જોઈએ પરંતુ તેની સાથે સાથે મહિલાઓએ પોતાના અંગોનું પ્રદર્શન કારણ વગર ન કરવું જોઈએ. મહિલાઓને બુરખામાં રાખવી પણ માનવતાની વિરુદ્ધ છે, સભ્ય સમાજ તેની મંજૂરી આપી શકે નહીં પરંતુ તેની સાથે સાથે મહિલાઓએ જાતે જ એવા વસ્ત્રોની પસંદગી જરૂર કરવી જોઈએ જે તેમની નગ્નતાને પ્રદર્શિત ન કરી શકે. આપણે પાછા પાષાણ યુગમાં નથી ફરવાનું. ખરેખર તો આપણે અંદરથી સભ્ય બનવાનું છે. આજે કહેવા ખાતર આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ પરંતુ આપણું આચરણ પાષાણકાળ જેવું જ છે.

આજે સમગ્ર વિશ્વ હથિયારોની દોડમાં સામેલ થઈ રહ્યું છે. એકથી ચડિયાતા એક વિનાશક હથિયારોનું નિર્માણ થઈ રહ્યું છે જે આખરે માણસોની વિરુદ્ધ જ ઉપયોગમાં લેવાશે. આવનારા વર્ષોમાં શું એકવાર ફરીથી આ ધરતી માનવવિહોણી તો નહીં થઈ જાય ને. સમગ્ર વિશ્વે આ વાત પર ધ્યાન આપવું જોઈએ કે આપણે હથિયારોની દોડમાંથી પોતાની જાતને બહાર કાઢીએ. ઇતિહાસમાં કેટલીય સભ્યતાઓ આ જ મારકાપના કારણે લુપ્ત થઈ ગઈ છે. ખરેખર સારા માણસ બનવામાં તેના ઉછેરનો હાથ હોય છે અને તેમાં મા-બાપની મહત્વની ભૂમિકા હોય છે. દસથી બાર વર્ષ સુધી બાળકોનું ચારિત્ર્ય નિર્માણ થાય છે અને તેમાં સૌથી વધુ મહત્વની ભૂમિકા માતાની હોય છે. સ્ત્રીઓએ ખરેખર બહાર કામ કરવાને બદલે પોતાના ઘર પર ધ્યાન આપવું જોઈએ. ધન કમાવવાની જવાબદારી માત્ર પુરુષોના શિરે હોવી જોઈએ, તે માટે પુરુષોની આવકમાં વધારો થવો જોઈએ જેથી મહિલાઓને ઘરની બહાર કામ કરવા માટે ન જવું પડે. મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ તેનો કોઈ ઇનકાર ન કરી શકે પરંતુ પરિવારની જવાબદારી છોડીને નહીં. મહિલાઓ ઘરની બહાર જઈને કોઈ કામ ત્યારે જ કરે જ્યારે બાળકોની ઉંમર ઓછામાં ઓછી બાર કે ચૌદ વર્ષની ન થઈ જાય. પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે મહિલાઓને કોઈપણ ઉચ્ચ શિક્ષણથી વંચિત રાખવામાં આવે. પુરુષોની જેમ મહિલાઓનું શિક્ષણ પણ સમાન સ્તરનું હોવું જોઈએ. મહિલાઓ ઘરમાં જે કાર્ય કરે છે તેને સૌથી મહત્વપૂર્ણ કાર્યની શ્રેણીમાં રાખવું જોઈએ. આ કાર્ય અવેતન હોવા છતાં સૌથી મહત્વપૂર્ણ છે. આ સરકારની જવાબદારી છે કે આ મહિલાઓ માટે કંઈક આર્થિક સહાય આપવી જોઈએ.

આની સાથે સાથે લોકોએ પોતાની બિનજરૂરી મહત્વાકાંક્ષાઓ પર લગામ લગાવવી જોઈએ. ચાર લાખની કારથી કામ ચાલી શકતું હોય તો પચાસ લાખની કારની આકાંક્ષા રાખવી વ્યર્થ છે. આ માત્ર એક આંધળી દોડ છે અને લોકો તેમાં જ પીસાતા જાય છે. આજનો યુવા વર્ગ સારો પગાર મળવા છતાં ઇએમઆઇના બોજ હેઠળ દબાયેલો રહે છે. પતિ-પત્નીના કમાવા છતાં તેમના ત્યાં આર્થિક તંગી જળવાઈ રહે છે. આ માત્ર અત્યંત મહત્વાકાંક્ષાઓને કારણે થાય છે. આના પર લગામ લાગવી જોઈએ. એક મહત્વની વાત એ છે કે મહિલાઓએ પોતાની સુરક્ષાની ચિંતા જાતે જ કરવી પડશે. જો તમે કોઈપણ પુરુષ સાથે ગમે ત્યાં જતાં રહેશો તો તમારી સાથે કોઈ પણ અકસ્માત થઈ શકે છે. જોકે આટલી મોટી વસ્તીમાં આવી છૂટીછવાઈ ઘટનાઓ જ બને છે પરંતુ તે ઘટનાઓ પણ અંદર સુધી હચમચાવી દે છે. કોઈપણ ગુના માટે પુરુષ અને મહિલાઓ સમાન રીતે જવાબદાર છે. લોકોને ધાર્મિક શિક્ષણ આપવું એ જ એકમાત્ર ઉપાય છે. પરંતુ તેના માટે યોગ્ય લોકોએ આગળ આવવું જોઈએ.

Related posts

આ ગ્રંથ(માનસ) કોઈ ચોપડી નથી,પણ સાધુઓનું કાળજું છે

Reporter1

EDII Hosts Global Empowerment: 57 Women from 31 Countries Unite for Entrepreneurship Training

Reporter1

રામકથા સપ્તપદી છે

Reporter1

Leave a Comment

Translate »