જૂની પરંપરાઓ કે વિધિઓમાં કોઇ ફેરફાર કરવા માંગતા નથી
મંદિરના મેનેજમેન્ટ અને પૂજારીઓએ સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટીના ધાર્મિક વિધિને લગતાં વિવાદાસ્પદ નિર્ણયને પડકાર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ — વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં હાલ જે કાંઇ ધાર્મિક વિધિઓ ચાલી રહી છે તેને સુસંગત હોય એવા માળખામાં હાલ તે કોઇ ફેરફાર કરાશે નહીં તેવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ શ્રી જોયમલ્લા બાગ્ચીની બેંચે કોર્ટના સીનિયર એડવોકેટ શ્યામ દિવાન અને વકીલ તન્વી દુબે દ્વારા કરાયેલી લેખિત રજૂઆતની નોંધ લીધી હતી અને આદેશ કર્યો હતો કે તાજેતરમાં ફાઇલ કરાયેલા સ્ટેટસ રિપોર્ટનો પ્રતિભાવ આપવા માટે પક્ષકારોને મંજૂરી આપવા બે સપ્તાહ બાદ આ કેસને બોર્ડ ઉપર નોંધવામાં આવશે.ઠાકુર શ્રી બાંકેબિહારીજી મહારાજના મંદિરની મેનેજમેન્ટ કમિટિ અને મંદિરના પૂજારીઓ દ્વારા કરાયેલી અરજીની કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઉચ્ચ સત્તાધારી કમિટિની નિયુક્તિ કરાઇ હતી અને આ કમિટીએ મંદિરની સદીઓથી ચાલી આવતી ધાર્મિક વિધિઓ અંગે વિવાદાસ્પદ નિર્ણય લીધો હતો. જે મંદિરના પૂજારીઓ અને મેનેજમેન્ટ કમિટીને માન્ય નહોતા જેના કારણે તેઓ અરજદાર બનીને આ કમિટીના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.આ અગાઉ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જારી કરાયેલાં બાંકેબિહારીજી ટેમ્પલ ટ્રસ્ટ વટહુકમની કેટલીક જોગવાઇઓના અમલ સામે સ્ટે ઓર્ડર મૂક્યો હતો અને અલ્હાબાદ હાઇકોર્ટના નિવૃત્ત જજ અશોક કુમારના અધ્યક્ષપદે ૧૨ સભ્યોની ક ઉચ્ચસત્તાધારી કમિટિની નિમણૂંક કરી હતી અને તેને બાંકે બિહારીજીના મંદિરના રોજ-બરોજના કામકાજ અને વહીવટ ઉપર દેખરેખ રાખવાની ફરજ સોંપી હતી.દિવાને કોર્ટને કહ્યું હતું કે તેમને રવિવારે સાંજે સ્ટેટસ રિપોર્ટ સોંપવામાં આવ્યો હોઇ આ રિપોર્ટનો જવાબ આપવા માટે તેમને બે સપ્તાહનો સમય અપાવો જોઇએ. તેમની દલીલના જવાબમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે અમે મંદિરની હાલની સદીઓજૂની પરંપરાઓ કે વિધિઓમાં કોઇ ફેરફાર કરવા માંગતા નથી. કોર્ટે આ મુજબની સ્પષ્ટતા કર્યા બાદ સુનાવણી મોકૂફ રાખી હતી.

