– નરેન્દ્ર જોષી
રાજદંડ પર ધર્મદંડનું આધિપત્યઃ
અમદાવાદ, ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬: ભારતીય સંસ્કૃતિનો હજારો વર્ષોનો ઇતિહાસ સાક્ષી છે કે આ ધરતી પર જ્યારે પણ સત્તા અને સત્ય વચ્ચે સંવાદ કે સંઘર્ષ થયો છે, ત્યારે તેમાંથી હંમેશા એક નવું નૈતિક મૂલ્ય પ્રગટ્યું છે. ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના આ ઐતિહાસિક પ્રજાસત્તાક પર્વે, જ્યારે દેશ તેની લોકશાહીની મજબૂતી અને સાંસ્કૃતિક પુનરુત્થાનની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો પ્રખર અવાજ સનાતન ધર્મના આત્માને જગાડવાનું કાર્ય કરી રહ્યો છે. આ વિવાદો, સંઘર્ષો અને તર્ક-વિતર્કની પાછળ એક અત્યંત ગહન પૌરાણિક સત્ય છુપાયેલું છે, જે સમજવું આજના યુગમાં અનિવાર્ય છે. પ્રાચીન ભારતમાં જ્યારે કોઈ સમ્રાટ ચક્રવર્તી પદ પ્રાપ્ત કરતો અને તેનો ભવ્ય રાજ્યાભિષેક થતો, ત્યારે તે મિથ્યાભિમાનના વમળમાં ફસાઈને સિંહાસન પર બિરાજમાન થઈ ત્રણવાર ગુંજતા અવાજે ઉચ્ચારતો હતો કે ‘અદંડ્યોસ્મિ, અદંડ્યોસ્મિ, દંડ્યોસ્મિ’ – એટલે કે હવે હું સર્વોચ્ચ છું, આ પૃથ્વી પર મને દંડ આપનાર કે સજા કરનાર કોઈ નથી, હું તમામ કાયદાઓથી પર છું. તે જ ક્ષણે, સભામાં ઉપસ્થિત રાજગુરુ કે ઋષિ પોતાના આસન પરથી ઉભા થતા અને પોતાના હાથમાં રહેલો પવિત્ર લાકડાનો દંડ, જેને ’ધર્મદંડ’ કહેવામાં આવતો, તેનાથી રાજાના મસ્તક પર હળવા ત્રણ પ્રહાર કરતા અને ત્રણવાર અત્યંત ગંભીરતાપૂર્વક ઉચ્ચારતા કે ‘ધર્મદંડ્યોસી, ધર્મદંડ્યોસી, ધર્મદંડ્યોસી’ – એટલે કે હે રાજન, તું ભ્રમમાં છે, તારા ઉપર પણ ધર્મનો દંડ છે અને જો તું પથભ્રષ્ટ થઈશ તો માત્ર આ ધર્મ જ તને દંડિત કરવાની અને સત્તા પરથી ઉતારવાની શક્તિ ધરાવે છે. આ પરંપરાનો ગૂઢ અને શાશ્વત સંદેશ એ હતો કે પૃથ્વી પરની કોઈ પણ ભૌતિક સત્તા, ભલે તે કેટલી પણ શક્તિશાળ હોય, તે હંમેશા નૈતિકતા, ન્યાય અને શાસ્ત્રોના અંકુશ નીચે જ હોવી જોઈએ.
આજના આધુનિક ભારતમાં જ્યારે આપણે નજર કરીએ છીએ, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારો આ જ ’ધર્મદંડ’ના આદર્શને અનુસરીને રાષ્ટ્રનિર્માણનું પવિત્ર કાર્ય કરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. મોદી સરકારના વિતેલા દાયકાઓના શાસનકાળમાં ભારતે માત્ર આર્થિક રીતે જ નહીં, પણ સાંસ્કૃતિક રીતે પણ વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર ડગ માંડ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના અંત સુધીમાં ભારત વશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે, જે મોદી સરકારની દીર્ઘદ્રષ્ટિ અને આર્થિક સૂઝબૂઝનું પરિણામ છે. એક તરફ દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સપ્રેસ-વે અને ડિજિટલ ક્રાંતિ થઈ રહી છે, તો બીજી તરફ કાશી વિશ્વનાથ કોરિડોર અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીને ભારતના સુષુપ્ત આત્માને જગાડવાનું અભૂતપૂર્વ કાર્ય થયું છે. સરકારની નીતિઓમાં છેવાડાના માનવીના કલ્યાણની જે ભાવના છે, તે વાસ્તવમાં ’અંત્યોદય’ના ધર્મનું પાલન છે. ગરીબોને આવાસ, શૌચાલય, મફત અનાજ અન આરોગ્યની સુવિધાઓ આપીને મોદી સરકારે સાબિત કર્યું છે કે સત્તા એ ભોગ માટે નહીં પણ સેવા માટેનું સાધન છે. જ્યારે પ્રધાનમંત્રી સંસદના પગથિયે મથુ નમાવે છે કે નવનિર્મિત મંદિરમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, ત્યારે તેઓ એ જ પ્રાચીન જાની ભૂમિકા ભજવે છે જે સર્વોચ્ચ સત્તા હોવા છતાં ધર્મ અને ઈશ્વર સામે નતમસ્તક રહે છે.
બીજી તરફ, જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી આજે એ જ ’ધર્મદંડ’ના પ્રતીક તરીકે સત્તા સામે સત્યનો અરીસો ધરી રહ્યા છે. સનાતન ધર્મમાં શંકરાચાર્યનું પદ એ કોઈ સામાન્ય હોદ્દો નથી, પણ તેઆદિ શંકરાચાર્યની એ અખંડ પરંપરા છે જેણે ભારતને સાંસ્કૃતિક રીતે એક તાંતણે બાંધી રાખ્યું છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ જે રીતે સત્તા સામે સંઘર્ષ છેડ્યો છે, તેને માત્ર રાજકીય લેન્સથી જોવો એ અન્યાય ગણાશે. જ્યારે કાશીના પવિત્ર ઘાટ પર તેમને ગંગા સ્નાન માટે રોકવામાં આવ્યા અને પોલીસ તંત્ર સાથે તેમનો જે સંવાદ થયો, તે આસ્થા અને વહીવટ વચ્ચેના ગંભીર મંથનનું પ્રતિબિંબ હતું. શંકરાચાર્યજી પોતાના સ્થાને બિલકુલ સાચા છે, કારણ કે તેમનું પરમ કર્તવ્ય શાસ્ત્રોક્ત વિધિઓની શુદ્ધતા અને પરંપરાની ગરિમા જાળવવાનું છે. તેમણે સરકારને સાવધ કરી કે ધર્મ એ પ્રવાસન કે ઉત્સવનો વિષય નથી, પણ તે આત્મિક અને શાસ્ત્રોક્ત અનુશાસનનો વિષય છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે તેમણે જે મર્યાદાઓનો હવાલો આપીને અધૂરા મંદિરના લોકાર્પણનો વિરોધ કર્યો, તે કોઈ પક્ષ પ્રત્યેનો વિરોધ નહોતો પણ શાસ્ત્રો પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા હતી. એક શંકરાચાર્ય જ્યારે બોલે છે, ત્યારે તેઓ કોઈ વ્યક્તિ તરીકે નહીં પણ સનાતન ધર્મના પ્રતિનિધિ તરીકે બોલે છે, અને તેમની આ નીડરતા જ લોકશાહીને જીવંત રાખે છે.
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું શાસન ’રામરાજ્ય’ની આધુનિક કલ્પનાને જમીન પર સાકાર કરી રહ્યું છે. એક સંન્યાસી જ્યારે શાસનની ધુરા સંભાળે છે ત્યારે તેના માટે આખું રાજ્ય તેનું પરિવાર બની જાય છે. યોગી સરકારે જે રીતે ગુનાખોરી, માફિયાવાદ અને ભ્રષ્ટાચાર સામે ’ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી છે, તે પ્રાચીન કાળના દુષ્ટ સંહારના ધર્મનું જ એક સ્વરૂપ છે. યોગીજીએ સાબિત કર્યું છે કે જો શાસકમાં દ્રઢ ઈચ્છાશક્તિ હોય, તો પ્રશાસન પણ ધર્મદંડની જેમ ન્યાય પૂરું પાડી શકે છે. અવિમુક્તેશ્વરાનંદજી અને સરકાર વચ્ચેના સંવાદો કે ક્યારેક થતી તકરારમાં હકીકતમાં બંને પક્ષો સાચા છે. શાસક તરીકે સરકારની જવાબદારી ૧૪૦ કરોડ લોકોની સુરક્ષા, વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવાની હોય છે, જેના કારણે ક્યારેક પોલીસ તંત્રને આકરા નિર્ણયો લેવા પડે છે. તો બીજી તરફ, શંકરાચાર્ય જેવા સંતોની જવાબદારી શાસનને નિરંકુશ થતા અટકાવવાની અને ધાર્મિક શ્રદ્ધા પર થતા આક્રમણો સામે અવાજ ઉઠાવવાની છે. આ બંને વચ્ચેનું ઘર્ષણ એ વાસ્તવમાં સત્તાનું શુદ્ધિકરણ છે.
વર્તમાન રાજકીય વાતાવરણમાં મોદી અને યોગીની જોડીએ ભારતીય રાજનીતિની વ્યાખ્યા બદલી નાખી છે. જ્યાં અગાઉ તુષ્ટિકરણની રાજનીતિ ચાલતી હતી, ત્યાં આજે ’સર્વજન હિતાય સર્વજન સુખાય’ અને ’સબકા સાથ સબકા વિકાસ’ની ધર્મધજા લહેરાઈ રહી છે. ગૌરક્ષાના મુદ્દે કેદારનાથના વિવાદોમાં કે જોશીમઠની પ્રાકૃતિક સુરક્ષાના મામલે શંકરાચાર્યજીએ જે અવાજ ઉઠાવ્યો છે, તે સરકાર માટે ટીકા નથી પણ ચેતવણીનો સૂર છે. સરકાર પણ આ મુદ્દે ગંભીરતા બતાવી રહી છે, જે આશાસ્પદ છે. સંસદમાં ’સેંગોલ’ની સ્થાપના એ આ જ સમન્વયનું સૌથી મોટ પ્રતીક છે, જે યાદ અપાવે છે કે આધુનિક ભારતમાં પણ શાસન હંમેશા ન્યાય અને ધર્મના દંડ હેઠળ જ સુરક્ષિત રહેશે.
સત્ય એ છે કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીના સંઘર્ષો અને મોદી-યોગી સરકારની રાષ્ટ્રવાદી નીતિઓ વચ્ચે ભલે ક્યારેક વિરોધાભાસ દેખાય, પરંતુ બંનેનું અંતિમ લક્ષ્ય ભારતનું હિત અને સનાતન ધર્મનું ગૌરવ જ છે. શંકરાચાર્ય પોતાના ’ધર્મદંડ’ દ્વારા સત્તાને સજાગ રાખે છે, જ્યારે સરકાર પોતાના ’રાજદંડ’ દ્વારા રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ કરે છે. આ બંને શક્તિઓ જ્યારે સાથે મળે છે, ત્યારે જ ભારત ખરા અર્થમાં વિશ્વગુરુ બની શકે છે. સનાતન ધર્મની રક્ષા અને રાષ્ટ્રની પ્રગતિ એ એક જ યજ્ઞની બે પવિત્ર આહુતિઓ છે. આ પ્રજાસત્તાક દિને આપણે એવા નૂતન ભારતના સાક્ષી બની રહ્યા છીએ જ્યાં રાજદંડ હંમેશા ધર્મદંડના આશીર્વાદ હેઠળ લોકકલ્યાણ માટે જ પ્રયોજાશે. જ્યારે સત્તા નૈતિકતાની મર્યાદામાં રહે અને ધર્મ નીડર બનીને માર્ગદર્શન આપે, ત્યારે જ ’રામરાજ્ય’ની પરિકલ્પના સાકાર થાય છે. ભારતની આ આધ્યાત્મિક લોકશાહી જ સમગ્ર વિશ્વ માટે એક નવી રાહ ચીંધશે.

