Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે બેસો. ધરતીનાં છેવાડેથી ત્રિભુવનને મળી રામ જન્મની વધાઇ. ગ્રંથ પાસે પણ સમય ન મળે તો બુદ્ધપુરુષની પાદુકાની પાસે બેસો. અહંકાર કેન્સર જેવી ગાંઠ છે. ધૈર્ય રાખવું એ જ શૌર્ય છે. ભગવદ કથા પરમ એકાંત છે

 

આર્જેન્ટિનાનાં ઉસૂઆયામાં મનમોહક સૌંદર્ય અને સતત પડી રહેલા હલ્કા બરફનાં ફોરાંઓ વચ્ચે ગવાઇ રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસે જણાવ્યું કે સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે બેસો.ગ્રંથ પાસે પણ સમય ન મળે તો બુદ્ધપુરુષની પાદુકાની પાસે બેસો.વિષ્ણુપ્રિયા-ચૈતન્ય મહાપ્રભુની ધર્મ પત્ની જ્યારે ચૈતન્યએ સન્યાસ લીધો ત્યારે એની પાદુકાની પાસે બેઠી.

કોઈ માણસ સંસાર છોડે એનું શું કારણ હશે?કારણ વગર કાર્ય થતું નથી,જોકે પરમાત્માને આ સિદ્ધાંત લાગુ પડતો નથી.પણ સંસાર છોડવાના આટલા કારણ હોઈ શકે:પરિવારમાં તિરસ્કારને કારણે. મહાભારતમાં પાંડવ-કૌરવ કુળના નાશ પછી યુધિષ્ઠિર ગાંધારી અને ધૃતરાષ્ટ્રને રાજ ભવનમાં લાવ્યા.પરંતુ ભીમે એક વખત અપમાનજનક શબ્દો કહ્યા અને આ મેણાને કારણે બંનેએ ઘર છોડવાનું નક્કી કર્યું.વલ્કલ ધારણ કર્યા ત્યારે પાંડવોની માતા કુંતીએ પણ વલ્કલ ધારણ કરી લીધા.

માણસમાં આઠ પ્રકારનો અહંકાર હોય છે:બળનો અહંકાર,ધનનો,રૂપનો,કુળનો,વિદ્યાનો પદ અને પ્રતિષ્ઠાનો,ત્યાગનો અને ધર્મનો અહંકાર.

અહંકાર કેન્સર જેવી ગાંઠ છે.

કોઈ જ્ઞાનાર્થે-જ્ઞાન માટે ઘર છોડે છે,કોઈ અર્થાર્થે પૈસા કમાવવા માટે ઘર છોડે છે.ગુરુની કોઈ પણ ચીજ ગુરુ જ હોય છે.આમ છતાં પાદુકાની તુલનામાં કોઈ આવતું નથી.

ઓમ સહનાવવતુ…. મંત્ર માત્ર ગુરુ-શિષ્ય માટે જ નથી.ભાઈ-ભાઈ વચ્ચે,પતિ-પત્ની વચ્ચે,મિત્ર-મિત્ર વચ્ચે,રાજા અને રૈયત વચ્ચે,શ્રોતા અને વક્તાની વચ્ચે પણ આ હોવું જોઈએ.મંત્ર કહે છે કે અમારા બંનેનું સાથે રક્ષણ,હો બંનેનું સાથે પાલન હો,બંને સાથે પરાક્રમ કરીએ,બંનેની વિદ્યા તેજસ્વી હોય અને એકબીજાનો દ્વૈષ ન કરીએ.

ધૈર્ય રાખવું એ જ શૌર્ય છે,કાયર ધીરજ નથી રાખતા.

એ પછી કથા પ્રવાહમાં પાર્વતીની તપસ્યા બાદ શિવ પાર્વતીના વિવાહ થયા.વિવાહ પછી વેદવિદિત કલ્પવૃક્ષની છાયામાં શિવ બેઠા છે ત્યારે અવસર જોઈને પાર્વતી રામના વિશે પ્રશ્ન પૂછે છે.

ભગવદ કથા પરમ એકાંત છે.રામ જન્મના પાંચ કારણો બતાવ્યા.એ વખતે આસુરી વૃત્તિનો કાળો કેર જોઈને પૃથ્વી અકડાઈ અને ઋષિમુનિઓ પાસે ગઈ ત્યાંથી દેવતાઓ પાસે ગયા અને બધા મળીને બ્રહ્માની સાથે મળી અને સ્તુતિ કરી.આકાશવાણી થઈ સૌ પોતાનાં ધામ તરફ ગયા.

રામ અવધનાં દશરથના રાજમહેલમાં કૌશલ્યાની ગોદમાં અવતરિત થયા.રામના પ્રાગટ્યનાં ગાયન પછી પૃથ્વીના સૌથી છેલ્લા છેડેથી ત્રિભુવનને રામ જન્મની વધાઈ સાથે આજની કથાને વિરામ આપવામાં આવ્યો.

કથા-વિશેષ:

શિવ વિવાહ પછી રામકથા કેમ?

શિવ પાર્વતીનાં વિવાહ એટલે શ્રદ્ધા અને વિશ્વાસનું મિલન,જ્યાં સુધી હૃદયમાં શ્રદ્ધા અને વિશ્વાસ ન મળે,ત્યાં સુધી રામ જન્મ ન થાય.

શિવ-પાર્વતી વિવાહ એટલે,

શબ્દ અને સૂરતાનું મિલન.

શિવ અને શક્તિનું મિલન.

જન્મા અને અજન્માનું મિલન.

અગુણ અને સગુણનું મિલન રામ જન્મ તરફ લઈ જાય છે.

સગુણ અને નિર્ગુણનું મિલન.

વિનાશી અને અવિનાશીનું લગ્ન રામ જન્મ સુધી લઈ જાય છે.

મંગળ અને અમંગલનું મિલન.

મહાદેવ અને મહાદેવીનું મિલન.

પરમેશ્વર અને પરમેશ્વરીનો વિવાહ.

આવા અનેક અર્થો શિવ અને પાર્વતીનાં વિવાહ માટે કરી શકાય છે.

Related posts

How to Manage Diabetes Distress and Burnout Better?

Reporter1

Cautiontopublicagainstdealingon‘OpinionTradingPlatforms

Reporter1

ભારતીય રાજનીતિમાં વિકાસ અને પારદર્શિતાનો નવો અધ્યાયઃ ડિજિટલ ક્રાંતિની સકારાત્મક અસર

Master Admin
Translate »