વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો
તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં આકાંક્ષાને ૬૫૦ જેટલા સારા માર્ક્સ આવવાની પૂરી આશા હતી અને તે ડૉક્ટર બનવાની ખૂબ નજીક હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ જૂન ૨૦૨૬ — દેશભરમાં ચકચારી બનેલા NEET UG 2026 પેપર લીક અને પરીક્ષા રદ થવાના મામલાએ હવે એક વિદ્યાર્થિનીનો ભોગ લીધો છે. મધ્યપ્રદેશના નવગઠિત જિલ્લા મઉગંજના મગનિયા ગામમાં NEETની તૈયારી કરી રહેલી એક તેજસ્વી વિદ્યાર્થિની આકાંક્ષા ચતુર્વેદીએ પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો છે અને પીડિત પરિવાર ઊંડા સદમામાં છે.પરિવારજનોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં આકાંક્ષાને ૬૫૦ જેટલા સારા માર્ક્સ આવવાની પૂરી આશા હતી અને તે ડૉક્ટર બનવાની ખૂબ નજીક હતી. પરંતુ પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ થતાં તે ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સરી પડી હતી.આકાંક્ષાના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. તેમ છતાં, દીકરીને ડૉક્ટર બનાવવાનું સપનું પૂરું કરવા માટે પિતા કૃષ્ણ કુમાર ચતુર્વેદીએ કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર ૩ લાખ રૂપિયાની લોન લીધી હતી. આકાંક્ષા નાગપુરમાં એક ખાનગી કોચિંગમાં ભણી રહી હતી. દીકરીના ભણતરનો ખર્ચ ઉપાડવા માટે તેના પિતા નાગપુરમાં જ એક હોટલ/ઘરમાં કૂક (રસોઈયા) તરીકે નોકરી કરવા લાગ્યા હતા. સમગ્ર પરિવારને આશા હતી કે આ વખતે આકાંક્ષા સફળ થશે અને પરિવારના દિવસો બદલાશે, પરંતુ પેપર લીકની ઘટનાએ પરિવારની ખુશીઓ છીનવી લીધી.ઘટનાસ્થળેથી પોલીસને એક અત્યંત ભાવુક સુસાઈડ નોટ મળી આવી છે. આકાંક્ષાએ લખ્યું હતું કે “સોરી મમ્મી-પપ્પા, તમને ભરોસો હતો કે તમારી દીકરી ભણીને ડૉક્ટર બનશે, પણ હવે ફરીથી NEETની પરીક્ષા આપવાની મારામાં હિંમત નથી. મેં આપ બંનેને બરબાદ કરી દીધા. બીજી વખત પરીક્ષા સારી જ જશે, તેની કોઈ ગેરંટી નથી.”નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત ૩ મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષામાં મોટા પાયે અનિયમિતતા અને પેપર લીકની આશંકા સામે આવી હતી. ત્યારબાદ ૧૨ મેના રોજ આ પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલય અને NTA દ્વારા ૨૧ મેના રોજ ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરાઈ હતી. હાલમાં આ સમગ્ર કૌભાંડની તપાસ CBI કરી રહી છે અને અત્યાર સુધીમાં ૧૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.બીજી તરફ, સુપ્રીમ કોર્ટમાં પરીક્ષા પદ્ધતિ બદલવા (પેન-પેપરના બદલે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ) માટે સતત અરજીઓ થઈ રહી છે. પરંતુ આ સરકારી અને કાનૂની પ્રક્રિયાઓની વચ્ચે, વ્યવસ્થાની ખામીના કારણે એક હોનહાર વિદ્યાર્થીનીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

