તંત્રીની કલમે….
ભારતમાં અનામતનો પ્રશ્ન હવે માત્ર નોકરી કે શિક્ષણમાં કેટલા ટકા બેઠકો કોને મળશે એટલો સીમિત રહ્યો નથી. તે સામાજિક ન્યાય, સમાન તક, મેરિટ, યુવાનોના ભવિષ્ય અને રાજકીય વિશ્વાસ સાથે જોડાયેલો પ્રશ્ન બની ગયો છે. તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર સહિત વિવિધ સ્થળોએ અનામત નીતિના વિરોધમાં અવાજો ઉઠ્યા છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ આ વિરોધ વચ્ચે અનામતને બંધારણીય અધિકાર ગણાવી સંવાદ માટે સરકાર તૈયાર હોવાની વાત કરી છે.
આ પરિસ્થિતિને માત્ર ‘અનામતના સમર્થક’ અને ‘અનામતના વિરોધી’ એવા બે ખાંચામાં વહેંચવી દેશ માટે જોખમી છે. અનામતનો મૂળ હેતુ ઐતિહાસિક રીતે વંચિત અને સામાજિક રીતે પાછળ રહી ગયેલા વર્ગોને સમાન તકના દરવાજા સુધી પહોંચાડવાનો હતો. તેથી તેને એક ઝાટકે નકારી શકાય નહીં. પરંતુ બીજી તરફ, સામાન્ય વર્ગના એવા યુવાનોની ચિંતા પણ અવગણાય નહીં કે જેઓ મર્યાદિત સરકારી બેઠકો, મોંઘું શિક્ષણ અને અપૂરતી રોજગારી વચ્ચે સ્પર્ધા કરી રહ્યા છે. પ્રશ્ન એ છે કે સરકાર તેમની અસુરક્ષા દૂર કરવા શું કરી રહી છે?
બિહાર આ સમગ્ર સંકટનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. રાજ્યમાં અનામતની મર્યાદા વધારવાના નિર્ણયને લઈને કાનૂની પડકાર ઊભો થયો હતો અને પટના હાઈકોર્ટમાં ૬૫ ટકા અનામત સામે સમાન તક તથા ‘મેરિટ’ અંગે દલીલો થઈ હતી. બીજી તરફ, આજના બિહારના યુવાનોનો ગુસ્સો માત્ર અનામત પૂરતો નથી. મ્ઁજીઝ્ર પરીક્ષામાં કથિત ગેરરીતિઓ, પેપર લીક અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને વિદ્યાર્થીઓ રસ્તા પર આવ્યા છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ વિદ્યાર્થીઓની ફરિયાદોને સમર્થન આપ્યું છે, જ્યારે રાહુલ ગાંધીએ પોલીસ કાર્યવાહી અને પરીક્ષા વ્યવસ્થાની જવાબદારી અંગે સરકારને ઘેર્યા છે.
અહીં ‘ય્ીહ-ઢ’ની માનસિકતા સમજવી જરૂરી છે. આજનો યુવાન સોશિયલ મીડિયા પર દુનિયાભરની તકો જુએ છે, પરંતુ પોતાના દેશમાં પરીક્ષા માટે વર્ષો રાહ જુએ છે. એક પરીક્ષા રદ થાય, પેપર લીક થાય અથવા ભરતી અટકી જાય તો તેની પાછળ માત્ર એક સરકારી નોકરી જતી નથી; પરિવારની આર્થિક આશા, ઉંમર અને ભવિષ્યની યોજના પણ ખોરવાય છે. તેથી આજનો યુવાન અનામત સામે કે પક્ષમાં માત્ર રાજકીય ભાષણ સાંભળવા તૈયાર નથી. તેને પારદર્શક ભરતી, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ખાનગી ક્ષેત્રમાં રોજગાર અને યોગ્ય તક જોઈએ છે.
આ પરિસ્થિતિમાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ લાંબા સમયથી જાતિગણતરી અને સામાજિક પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવી રહી છે. પરંતુ વિપક્ષે અનામતના પ્રશ્નને માત્ર મતબેંકની રાજનીતિ ન બનાવવો જોઈએ. જેમ સરકારની જવાબદારી છે તેમ વિપક્ષની પણ જવાબદારી છે કે તે વિરોધને રચનાત્મક નીતિમાં ફેરવે. ‘અનામત બચાવો’ અથવા ‘અનામત હટાવો’ જેવા સૂત્રોથી આગળ વધીને શિક્ષણ, રોજગાર અને તકના વિસ્તરણનો વૈકલ્પિક કાર્યક્રમ રજૂ કરવો જરૂરી છે.
સરકાર માટે પણ સમય આવી ગયો છે કે તે આ પ્રશ્નને ટાળવાને બદલે રાષ્ટ્રીય સંવાદ શરૂ કરે. જાતિગત અને સામાજિક આંકડાઓના આધારે કયા વર્ગને કેટલી વંચિતતા છે તેની પારદર્શક સમીક્ષા થવી જોઈએ. સાથે સાથે અનામતની સાથે સરકારી નોકરીઓની સંખ્યા વધારવી, પરીક્ષા પ્રક્રિયાને ટેક્નોલોજીથી સુરક્ષિત કરવી, પેપર લીક સામે કડક કાર્યવાહી કરવી અને ખાનગી ક્ષેત્રમાં નવી રોજગારી ઊભી કરવી જરૂરી છે.
ભારતને એવો રસ્તો પસંદ કરવો પડશે જેમાં સામાજિક ન્યાય પણ બચે અને યુવાનોનો વિશ્વાસ પણ. અનામતને લઈને ઊભો થયેલો વિરોધ જો સરકાર અને વિપક્ષ બંને માટે માત્ર રાજકીય તક બની જશે તો દેશ વધુ વિભાજિત થશે. પરંતુ જો તેને શિક્ષણ, રોજગાર અને સમાન તક અંગેના મોટા રાષ્ટ્રીય સુધારાની શરૂઆત માનવામાં આવશે તો આજનો સંઘર્ષ આવતીકાલની શક્તિ બની શકે છે.
અંતે પ્રશ્ન ‘અનામત જોઈએ કે નહીં?’ કરતાં મોટો છે—શું ભારત દરેક યુવાનને આગળ વધવાની પૂરતી તક આપી શકે છે? સરકાર પાસે તેનો જવાબ નીતિમાં હોવો જોઈએ અને વિપક્ષ પાસે તેનો જવાબ જવાબદાર રાજકારણમાં.
નરેન્દ્ર જોષી

